ગોવાબાપા : હે ચાબુક તને તો ખબર છે કે પાકિસ્તાનને નવું પાકિસ્તાન બનાવીશું આમ કહીને ઈમરાન ખાન સત્તામાં આવ્યા છે, પણ હાથ કંઈ આવ્યું નથી. ન્યાં લાઈટ ચાલી જાય તો પણ ભારત ઉપર આરોપ નાખે છે. જાણે એનું ફ્યુઝ જૂનાગઢમાં ભૂલી ગયા હોય. લાઈટના જ કારણે શનિવારે એમનું ધોતીયું ઢીલું થઈ ગયું.
પાકિસ્તાનમાં શનિવારે મોડી રાતે લાઈટ ચાલી ગઈ. એક પ્રાંતમાં ગઈ હોય તો બરાબર છે ચાબુક પણ એક સાથે કરાંચી, લાહોર, પેશાવર, ઈસ્લામાબાદ, મુલ્તાન અને રાવલપિંડી. જોવા જેવા જે શહેર છે ત્યાં જ લાઈટ નહોતી. ગુજરાતી કવિ પ્રહલાદભાઈ પારેખની પેલી પંક્તિ પાકિસ્તાનમાં સાચી પડી ગઈ. આજ અંધાર ખુશ્બો ભર્યો લાગે.
પાકિસ્તાનમાં લાઈટ ચાલી જાય ચાબુક એનાથી આપણને શું ? પણ પાકિસ્તાન કહે છે કે લાઈટ પણ ભારતના કારણે જ ચાલી ગઈ છે.
‘લે એ કેવી રીતે ?’
પાકિસ્તાનના એક મંત્રી છે. મંત્રીનું નામ શેખ રશીદ છે. શેખ રશીદે કહ્યું છે કે, ભારતે પાકિસ્તાનની વીજળી એટલે કાપી નાખી જેથી તેમને ત્યાં થતા ખેડૂત આંદોલનમાંથી જગતનું ધ્યાન હટાવી શકે. પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે ટ્વીટર ઉપર આ વાતની જાણકારી પણ આપી કે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની ફ્રિકવન્સીમાં અચાનક 50થી 0 સુધીની પડતી થતા દેશભરમાં બ્લેકઆઊટ થઈ ગયું. ને તોય એને એમ લાગે છે કે ભારતના કારણે લાઈટ ગઈ. હવે જે દેશના ફ્યુઝેય બરાબર નથી એ દેશને POK રાખવું છે.
પાયલટની નોકરી ગઈ
હવે ચાબુક એક પાયલટે ટ્વીટર પર એવું લખ્યું કે, ‘‘PM ઈડિયટ છે. આ વાત તમે મારા માટે પણ બોલી શકો છો. મારા માટે આ વાત મહત્વ નથી રાખતી, કારણ કે હું પીએમ નથી. પણ પીએમ ઈડિયટ છે.’’
આ પ્રકારનું ટ્વીટ કર્યા પછી ગો એર નામની ફ્લાઈટે એને નોકરીમાંથી તગેડી મૂક્યો. 7 જાન્યુઆરીની એ તારીખ હતી ચાબુક જ્યારે આ ભાઈએ ટ્વીટ કર્યું હતું અને હવે ઘેર બેઠા છે.
ટ્વીટ પર ખતરનાક રિએક્શન આવવા લાગ્યા એટલે પાયલટ મીકીભાઈએ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું. એમને ખબર પડી ગઈ કે ટ્વીટ ખોટી દિશામાં થઈ ગયું છે. હવામાં ભૂલથી ભડાકા કરી નાખ્યા છે. આપણું પ્લેન ખોટી દિશામાં ચાલ્યું ગયું છે. પણ પછી મીકીભાઈએ ભીનું સંકેલવા નવું ટ્વીટ કર્યું. નવા ટ્વીટમાં લખ્યું કે….
‘‘હું પીએમ માટે કરેલા ટ્વીટ કે કોઈ પણ અન્ય એવા ટ્વીટ માટે, કોઈની લાગણીને ઠેંસ પહોંચી હોય તો માફી માગુ છું. હું કહેવા માગુ છું કે મારા ટ્વીટથી કોઈ પણ રીતે ગો-એર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જોડાયેલું નથી. આ મારા વ્યક્તિગત વિચાર હતા.’’
હવે પાઈટલના ટ્વીટ ઉપર ગો-એરની સંસ્થા શું કહે છે એ પણ જાણી લે ચાબુક – ‘‘આવી ઘટનામાં ગો-એરની ઝિરો ટોલરન્સ પોલિસી છે. આ તમામ કર્મચારીઓ માટે અનિવાર્ય છે કે એ કંપનીના નિયમ, કાયદા, પોલીસી અનુસાર વ્યવહાર કરે. જેમાં સોશિયલ મીડિયા પર કરવામાં આવતા વર્તનનો પણ સમાવેશ થાય છે. એરલાઇન્સ કોઈના પણ વ્યક્તિગત વિચારોથી ખૂદને જોડતું નથી.’’
હું તને શું કઉં ચાબુક કે આ કંઈ પહેલી વખત નથી કે ગો-એરના કોઈ કર્મચારીને સોશિયલ મીડિયાની તેની એક્ટિવિટીને કારણે ઘરે બેસાડી દીધો હોય. જૂન 2020માં એક તાલીમ પાયલટને કાઢી મૂક્યો હતો. ઈન્ડિયા ટુડેનો આ વિષય પર અહેવાલ હતો કે આ ભાઈએ સીતા અને હિંદુ ધર્મને લઈ આપત્તિજનક ટ્વીટ કર્યા હતા. પછી ખબર પડી કે ટ્વીટ તેમના કોઈ ટ્રેની પાઈલટે નહીં પણ આ જ નામેરી કોઈ બીજા વ્યક્તિએ કર્યા હતા. મને લાગે ગો-એરમાં કોઈ એક વ્યક્તિ કર્મચારીઓના સોશિયલ મીડિયા પર જ ધ્યાન રાખવાનું કામ કરતો હશે!!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત