Team Chabuk-National Desk : આપણે ત્યાં પરાપૂર્વથી ચાલ્યો આવતો એક નિયમ છે. કહો કે વિધિ છે. દુલ્હન જ્યારે વિદાય થવાની હોય ત્યારે માતા પિતા અને ગમતાં વ્યક્તિઓને ગળે લાગી ભરપેટ-ચોંધાર આંસુએ રડી લે. આવું દરેક જગ્યાએ થાય છે. વર્ષોથી થાય છે. પણ રડવાની પણ એક લિમિટ હોય. ઓરિસ્સાના સોનપુરમાં એક દુલ્હન એટલું રડી કે હ્રદય રોગનો હુમલો આવી ગયો અને ત્યાં જ બેશુદ્ધ થઈ ઢળી પડી. ઢળી પડ્યા પછી એ કોઈ દિવસ માટે ઊભી ન થઈ.
પરિવારજનોએ તેના શરીરમાં ચેતના લઈ આવવા માટે ઘણી મહેનત કરી. હોસ્પિટલે ખસેડવામાં આવી પણ ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધી. હરખનું ટાણું દુ:ખમાં તબ્દિલ થઈ ગયું. પોસમોર્ટમ બાદ તેના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવી.
વિસ્તારથી વાત
સોનપુરના જુલંડા ગામમાં રહેનારી મુરલી સાહુની દીકરી ગુપ્તેશ્વરી સાહુ જેને પ્રેમથી રોજી કહેવામાં આવતી હતી તેના લગ્ન હતા. લગ્ન હતા બલાંગીર જિલ્લાનાં ટેટલ ગામમાં રહેનારા બિસીકેસનની સાથે. શુક્રવારે 5 માર્ચના રોજ જ્યારે વિદાય પ્રસંગ આવ્યો ત્યારે દુલ્હન સ્વજનોને ભેટીને રડી રહી હતી. લાંબા સમય સુધી રડ્યા બાદ અચાનક તે મૂર્છિત થઈને ઢળી પડી. સંબંધીઓએ તેના મોઢામાં પાણી છાંટ્યું. હાથ-પગની માલિશ કરવામાં આવી. પણ રોજી બેભાન જ રહી.
એ પછી તાત્કાલિક તેને ડૂંગુરિપાલી સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી. જ્યાં ડોક્ટરોએ તેની તપાસ કરી અને બાદમાં તેને મૃત ઘોષિત કરી દેવામાં આવી. ડોક્ટરોનાં જણાવ્યા પ્રમાણે હ્રદયરોગનો હુમલો આવ્યા પછી તેનું મૃત્યુ થયું. ઘટનાની જાણકારી મળ્યા પછી તાબડતોબ પોલીસ પણ હોસ્પિટલ પહોંચી અને મૃતદેહનું પોસમોર્ટમ કરાવવામાં આવ્યું. જે પછી મૃતદેહને સ્વજનોને સોંપી દેવામાં આવ્યો.
જુલુંડા ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે રોજી ઘણી જ ચિંતિત રહેતી હતી. થોડા મહિના પહેલા જ તેના પિતાનું મોત થઈ ગયું હતું. ત્યારથી તે ચિંતિત અને દુ:ખી રહેતી હતી. તેના મામા અને કેટલાક સામાજીક કાર્યકર્તાઓએ એકઠા થઈ તેના લગ્નનું આયોજન કર્યું હતું.
ગુજરાતમાં પણ આવું જ થયું
ઓરિસ્સાની માફક જ એક કિસ્સો ગુજરાતમાં બની ગયો. જ્યાં પણ ઓરિસ્સાની રોજીની માફક જ વિદાય સમયે દુલ્હનની મોત થઈ ગઈ. જોકે અહીં દુલ્હનનાં મોત પાછળનું કારણ સાવ નોખું છે. દુલ્હનને ભારે તાવ આવતો હતો. એ જાણકારી મેળવવા માટે કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો અને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો.
1 માર્ચનાં રોજ લગ્નના વખતે જ વધુને ભારે તાવ આવતો હતો. જેથી વિદાય બે દિવસ પાછળ ઠેલવવામાં આવી હતી. ગુરૂવારનાં 4 માર્ચનાં રોજ વિદાય સમયે જ અચાનક દુલ્હન ઢળી પડી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી. જ્યારે ડોક્ટરોને તાવની વાત જણાવવામાં આવી તો ડોક્ટરોએ તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવ્યો. હવે લગ્નમાં હાજર તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને વધુની અંતિમવિધિ પણ કોરોના ગાઈડલાઈન પ્રમાણે જ કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત