Team Chabuk-Sports Desk: ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમે સુરક્ષા વ્યવસ્થાનું કારણ આગળ ધરી પાકિસ્તાનના પ્રવાસને રદ કરી દીધો છે. ન્યૂઝીલેન્ડના આ નિર્ણયના કારણે પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ શોકમાં ગરકાવ થઈ ગયા છે. ક્રિકેટ નિષ્ણાતોથી લઈને ક્રિકેટના સામાન્ય ફેન્સ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. 2009માં શ્રીલંકાની ટીમ પર થયેલા પ્રાણઘાતક હુમલા બાદ પાકિસ્તાને ફરી આંતરાષ્ટ્રીય મેચો રમાડવાનો પ્રયાસ કર્યો, પણ તેમના સમયની સોય કદાચિત 2009માં અટકીને રહી ગઈ છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસ રદ કરી દેવાના કારણે પાકિસ્તાન ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને આશરે 150થી 200 કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયાના સમાચાર સામે આવી રહ્યા છે.
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર અને મશહૂર ક્રિકેટર શોએબ અખ્તરે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે ન્યૂઝીલેન્ડની આ વર્તુણકનો વિરોધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કર્યો હતો. અખ્તરનું કહેવું છે કે, ન્યૂઝીલેન્ડે હાલમાં જ પાકિસ્તાનના ક્રિકેટની હત્યા કરી નાખી છે. પાકિસ્તાનના વર્તમાન કેપ્ટન બાબર આઝમે ન્યૂઝીલેન્ડે પારોઠના પગલાં ભરતા દુ:ખ વ્યક્ત કર્યું હતું.
પાકિસ્તાનમાં કોઈ પણ વસ્તુ ખોટી થાય છે તો સામાન્ય રીતે દોષનો ટોપલો ભારત પર ઢોળવામાં આવે છે. આ વખતે પણ પાકિસ્તાનના ફેન્સ આ જ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ન્યૂઝીલેન્ડની ટીમે BCCIના પ્રભાવમાં આવી જઈ પ્રવાસ રદ કરી નાખ્યો છે. જોકે ન્યૂઝીલેન્ડનું મેનેજમેન્ટ સાફ શબ્દોમાં કહી ચૂક્યું છે કે તેમને ટીમની સુરક્ષાને લઈ ઈન્ટેલિજન્સ તરફથી ઈનપૂટ મળ્યા હતા. જેના આધાર પર જ પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો છે.
પહેલાથી નક્કી કરેલા શેડ્યુલ પ્રમાણે ન્યૂઝીલેન્ડ બાદ ઈંગ્લેન્ડની ટીમને પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો હતો. જોકે હવે ઈંગ્લેન્ડે પણ ન્યૂઝીલેન્ડની પાટીમાં જ એકડો ઘૂંટતા કહ્યું છે કે, હવે તે પણ આગામી સમયમાં વિચાર વિમર્શ કરશે અને પોતાનો મત જણાવશે. આગામી 24થી 48 કલાકની અંદર ટીમ ઈંગ્લેન્ડ પાકિસ્તાનનો પ્રવાસ કરે છે કે નહીં તે અંગેનું નિવેદન સામે રાખી દેશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB)ને 2021ની શરૂઆતમાં ત્રણ વર્ષ માટે બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ આશરે 1500 કરોડ એટલે કે 20 કરોડ ડોલરમાં વેચ્યા હતાં. જેમાં PSLના રાઈટ્સનો પણ સમાવેશ થાય છે. આથી માનવામાં આવી રહ્યું છે કે કિવી ટીમે પ્રવાસને રદ કરતા પાકિસ્તાન આર્થિક સંકટમાં સપડાય ગયું છે. તેને 200 કરોડ સુધીનું નુકસાન ગયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત