Team Chabuk-National Desk : ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પશ્ચિમ બંગાળમાં ઘાતક સ્વરૂપ ધારણ કરી રહી છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના નિમટીટા રેલ્વે સ્ટેશન પર અજ્ઞાત હુમલાખોરોએ બોમ્બ દ્વારા હુમલો કરતા મંત્રી જાકિર હુસૈન ગંભીરરૂપથી ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, મંત્રીની સાથે હાજર બે લોકો પણ હુમલામાં ઘાયલ થયા છે.
રેલવે મંત્રી પીયૂષ ગોયલે આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. પીયૂષ ગોયલે કહ્યું કે, હું પશ્ચિમ બંગાળના નિમટીટા રેલવે સ્ટેશન પર થયેલા નૃશંસ બોમ્બ હુમલાની કડક શબ્દોમાં આલોચના કરું છું. આ હુમલામાં જે ઘાયલ થયા છે તેમના શીઘ્ર સ્વાસ્થ્ય લાભ માટેની પ્રાર્થના કરું છું.
પશ્ચિમ બંગાળ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, શ્રમ રાજ્ય મંત્રી હુસૈન સ્ટેશનના બે નંબરના પ્લેટફોર્મ પર રાતનાં આશરે 10 વાગ્યે કોલકત્તા જનારી ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. આ સમયે જ તેમના પર હુમલો થયો હતો. તેમણે જણાવ્યું કે, મુર્શિદાબાદ જિલ્લાના જંગીપુરાના ધારાસભ્ય અને બે અન્ય લોકો પણ જંગીપુરા ઉપ સંભાગીય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલના એક અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, મંત્રીના પગ અને પેટના નીચેના ભાગમાં ઈજા પહોંચી છે. અમે તેમને કલકત્તાની કોઈ મોટી હોસ્પિટલમાં ખસેડતા પહેલા તેમની તબિયત સ્થિર કરી રહ્યા છે.
તૃણમૂલના એક વરિષ્ઠ નેતા મંત્રી મલય ઘટકે આ હુમલાને લઈ પાર્ટીના રાજનીતિક પ્રતિદ્રંદ્રીઓને જવાબદાર ઠેરવ્યા હતા. જ્યારે તૃણમૂલમાંથી હાકી કાઢવામાં આવેલા મુર્શિદાબાદ જિલ્લા પરિષદના સભાધિપતિ મુશર્રફ હુસૈને દાવો કર્યો હતો કે આ પાર્ટીની વચ્ચે આંતરિક કલહનો મુદ્દો છે. પશ્ચિમ બંગાળમાં વર્ષ એપ્રિલ-મેમાં ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા જ થઈ રહેલા ધડાકાએ સ્થાનિક તંત્રની પણ ઊંઘ ઉડાવી દીધી છે. પોલીસ હાલ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ ફેલાય ગયો છે.
ભાજપના જિલ્લા અધ્યક્ષ શિવાજી સિંહ રોય પણ હુમલામાં ઘાયલ
તો બીજી બાજુ એક અન્ય હુમલામાં ઉત્તરી કોલકત્તાનાં ભાજપના જિલ્લા અધ્યક્ષ શિવાજી સિંહ રોય પણ ઘાયલ થયા હતા. શિવાજી, સુભેંદ્રુ અધિકારી અને શંકુદેબ પાંડા સહિતના અન્ય ભાજપના નેતાઓની સાથે જઈ રહ્યા હતા. એ સમયે જ કથિત રીતે ફૂલ બાગાનમાં કેટલાક લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો. તેમને પણ નજીકના હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં.
થોડા દિવસ પહેલા પશ્ચિમ બંગાળના ભાજપના નેતા બાબુ માસ્ટર પર હુમલો થયો હતો. તેમની ગાડી પર પણ બોમ્બથી જ હુમલો થયો હતો. 10-12 ગુંડાઓએ તેમની ગાડીને ચારેબાજુથી ઘેરી લીધી હતી અને પછી ગોળીઓ ચલાવી હતી. એ સમયે બાબુ માસ્ટર કોલકતાના બશીરહાટમાં હતા. આ હુમલામાં બાબુ માસ્ટરને ભારે ઈજા પહોંચી હતી. તેમને પણ હોસ્પિટલ ખસેડવા પડ્યાં હતાં.
આમ ચૂંટણી આવતા પહેલા જ ભાજપના નેતાઓ પર એક બાદ એક ધડાધડ હુમલાની ઘટનાઓ બની રહી છે. હવે તો બંગાળની સામાન્ય જનતા પણ ચૂંટણી પૂર્ણ થાય તેની પ્રતીક્ષામાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત