ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમની કારમી હાર બાદ બીજી ટેસ્ટમાં શાનદાર જીત થતાં સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય રહાણેની આગેવાનીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. બેટિંગ અને અને બોલિંગ બન્નેમાં ભારતીય ટીમનો દેખાવ ઉત્કૃષ્ટ રહ્યો. બીજી ટેસ્ટ મેચના જીતના હીરો 6 ખેલાડી રહ્યા. પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમના એક ખેલાડીએ પોતાની હાર પાછળ ભારતીય સ્પિનર બોલર અશ્વિન કારણભૂત હોવાનું કહ્યું છે.
ઓસ્ટ્રેલિયન ટીમના બેટ્સમેન માર્નસ લાબુશેને બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા કેમ હાર્યું તેના વિશે વાત કરતાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન રવિચંદ્રન અશ્વિનની આગેવાનીમાં ભારતીય બોલરોની જાળમાં ફસાઈ ગયા. બન્ને ટેસ્ટ મેચની ચારમાંથી 3 ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 191, 195 અને 200 રન કરીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જેમાંથી અશ્વિને 10 વિકેટ ખેરવી હતી. જેમાં આર.અશ્વિને સ્ટીવ સ્મિથને બે વખત શિકાર બનાવ્યો જ્યારે લાબુશેનને એક વખત આઉટ કર્યો હતો.
ઓસ્ટ્રેલિય બેટ્સમેન માર્નસ લાબુશેને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મેં પહેલાં ક્યારેય અશ્વિનનો સામનો નથી કર્યો. તેનો કોઈ હિસાબ નથી મળતો કે તે એક મહાન બોલર હોવા ઉપરાંત તે કેટલો ચતુર બોલર પણ છે.
લાબુશેને આગળ કહ્યું કે, ભારતીય ટીમ ઘણી તૈયારી સાથે મેદાનમાં આવી હતી. અમે તેમની જાળમાં ઘણીવાર ફસાઈ ગયા. ભારતીય ટીમે શાનદાર બોલિંગ કરી, પછી તે સ્પિન હોય કે ઝડપી બોલિંગ બન્નેમાં શાનદાર દેખાવ કર્યો. સાથે જ લાબુશેને સ્મિથના ફોર્મ અંગે વાત કરતાં સ્મિથનો બચાવ કર્યો.
લાબુશેને પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમની ફિલ્ડિંગ અંગે વાત કરતાં કહ્યું કે, ભારતીય ટીમે સાઈડમાં ફિલ્ડર ગોઠવીને અમને રન બનાવવાના ચાન્સ ઓછા આપ્યા. ભારતીય ટીમ એક રણનીતિ સાથે ઉતરી હતી અને તેનો બખૂબી અમલ કર્યો. લેગ સાઈડ પર રન બનાવવા અમારા માટે મુશ્કેલ હતું. સાથે જ ભારતીય ટીમે કેચ પણ સારા પકડ્યા. આવતી મેચમાં અમારે પણ ભારતીય ટીમ પર દબાણ લાવવાની રણનીતિ બનાવવી પડશે.
બીજી ટેસ્ટમાં આર.અશ્વિને કુલ પાંચ વિકેટ ઝડપી હતી જેમાં પ્રથમ ઈનિંગમાં અશ્વિને મેથ્યુ વેડ, સ્ટિવ સ્મિથ અને કેપ્ટન ટીમ પેઈનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો જ્યારે બીજી ઈનિંગમાં માર્નસ લાબુશેન અને જોશ હેઝલવુડની વિકેટ ખેરવી હતી. પ્રથમ ઈનિંગમાં અશ્વિને ભારતીય બોલરો તરફથી સૌથી વધુ 24 ઓવર ફેંકી હતી જેમાં તેણે સૌથી ઓછી 1.50ની ઈકોનોમી સાથે 35 રન આપ્યા હતા જ્યારે બીજી ઈનિંગમાં પણ સૌથી વધુ 37.1 ઓવર ફેંકી અને 1.90ની ઈકોનોમીથી 71 રન આપ્યા હતા.
આમ, આર.અશ્વિને ભારતીય બોલર તરફથી સૌથી વધુ ઓવર ફેંકીને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને કાબુમાં રાખ્યા. અશ્વિનની ધારદાર બોલિંગના કારણે વિરોધી ટીમના બેટ્સમેનના બેટથી નીકળતા રનની ગતિ ધીમી રહી. જેથી ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર દબાણ વધતું રહ્યું અને સમયાંતરે વિકેટ ભારતીય બોલરોને મળતી રહી.
ત્રીજી ટેસ્ટ ક્યારે ?
બે ટેસ્ટ મેચ પૂર્ણ થઈ ચૂકી છે બન્ને ટીમ 1-1 મેચ જીતી ચૂકી છે ત્યારે હવે ત્રીજી ટેસ્ટ મેચ 7 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે ત્યારે સિડની સર કરવા બન્ને ટીમ હાલ પ્રેક્ટિસમાં પરસેવો પાડી રહી છે. ત્રીજી ટેસ્ટ મેચથી ભારતીય ટીમમાં રોહિત શર્મા પણ જોડાઈ જશે. રોહિત શર્માને ટીમમાં સામેલ કરાતાં કદાચ ખરાબ ફોર્મમાં ચાલી રહેલા મયંક અગ્રવાલ અથવા હનુમા વિહારીને બેન્ચ પર બેસવું પડી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત