Team Chabuk-National Desk: કોરોના મહામારીની વચ્ચે દેશભરમાં CBSE ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. 8થી વધારે રાજ્યોએ બોર્ડની પરિક્ષા પર કોરોનાની મહામારીના કારણે ચોકડી મારી દીધી છે. જોકે છત્તીસગઢને નવો ચિલો ચાતર્યો છે અને વિદ્યાર્થીઓને મજા કરાવી દીધી છે.
છત્તીસગઢે ઘરે બેઠા વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી છે. વિદ્યાર્થીઓ પરીક્ષાનું પ્રશ્નપત્ર ઘરે લઈ જઈને આરામથી પેપર લખી શકે છે. તમામ પેપર માટે પાંચ દિવસનો પર્યાપ્ત સમય આપવામાં આવ્યો છે. એટલે કે 100માંથી 100 માર્ક લેવાની પૂરતી તક છે.
ખુલ્લુ ખેતર મળી ગયું હોય તો ચરવાની મજા જ આવે. આ રીતે વિદ્યાર્થીઓ ગાઈડમાંથી ઉઠાંતરી કરી રહ્યાની ઘટના પણ બની રહી છે. વિદ્યાર્થીઓનો વાંક દેખાઈ નથી રહ્યો, કારણ કે મોકળું મેદાન હોય તો કોઈ પણ આમ કરે. વિદ્યાર્થીઓ કેટલાક પ્રશ્ન માર્ગદર્શિકામાંથી જોઈ લખી રહ્યા છે તો ઘણા ઓનલાઇન પણ શોધી રહ્યા છે. છત્તીસગઢની કેટલીક યૂટ્યૂબ ચેનલોએ પણ સવાલના જવાબ અપલોડ કરી દિવાળીમાં હોળી જેવો તહેવાર કરી નાખ્યો છે. તમામ પેપરના પ્રશ્નો પાંચ દિવસમાં લખવાના છે. 1 જૂનના રોજ જેણે પેપર લખ્યાં છે તેને 6 જૂનના રોજ જમા કરવાના રહેશે.
આ અંગે જ્યારે શિક્ષામંત્રીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે રોકડું પરખાવી દીધું હતું. તેમણે પરીક્ષા ન દઈ રહેલા અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ અને પ્રશાસનના ખભે બંદૂક રાખી કહ્યું હતું કે, અહીં કમ સે કમ વિદ્યાર્થીઓ જવાબ તો લખી રહ્યાં છે. એક બાજુ વિદ્યાર્થીઓ માર્ગદર્શિકામાંથી કોપી કરી લખી રહ્યા છે ત્યારે શિક્ષણમંત્રી મુંગેરી લાલ કે હસીન સપને જેવો જવાબ આપી રહ્યા છે કે, પેપર યોગ્ય રીતે તપાસવામાં આવશે.
એક બાજુ યુટ્યુબ પર જવાબ મૂકાઈ ગયા છે ત્યારે શિક્ષણમંત્રી એવો જવાબ આપી રહ્યા છે કે જે બાળકે આખું વર્ષ અભ્યાસ જ નથી કર્યો તેમને તો કેવી રીતે ખબર પડશે કે આ સવાલનો જવાબ આ માર્ગદર્શિકામાં આ ઠેકાણે આવેલો છે. આધુનિક ટેક્નોલોજીના જમાનામાં અને આવી ખુલ્લી છૂટ વચ્ચે તો મંત્રીજી ઠોઠ જ અસલી હોશિયાર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત