Team Chabuk-National Desk: છત્તીસગઢના કોરબા ખાતે એક ઘરમાંથી પચ્ચીસ સાપ નીકળતા રેસક્યુની ટીમ પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. તમામ સાપને પકડવામાં રેસક્યુની ટીમને કલાકો સુધી પરસેવો પાડવો પડ્યો હતો. આ ઘટના જિલ્લાના શાંતિનગર વિસ્તારની છે. જ્યાં એક ઘરમાં એક બે નહીં પચ્ચીસ સાપ રહેતા હતા.
રેસક્યુ ટીમે સાપને પકડ્યા બાદ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, સાપની સંખ્યા એટલી બધી હતી કે ગણી ગણીને થાકી ગયા હતા. જોકે રેસક્યુની ટીમની સંયુક્ત મહેનત પણ તમામ સાપને કાબુમાં નહોતી કરી શકી. રેસક્યુની ટીમે કહ્યું હતું કે, જો સાપ નીકળવાની સૂચના આપવામાં આવશે તો અમે ફરી આવીશું. જોકે આટલી મોટી સંખ્યામાં સાપ નીકળવાની ઘટના બનતા સ્થાનિકોની મેદની પણ ઉસ્તાહમાં જોવા ઉમટી પડી હતી.
આ ઘટના જેમના ઘરમાં બની તે નિગમ કર્મચારી રામનાથ સાહુ છે. તેમના ઘરમાંથી અચાનક સાપ નીકળવા માંડ્યા. સાપ નીકળવાની ઘટના બની રહી હતી ત્યારે તેમના પરિવારમાં બે બાળકો સહિત 6 લોકો ઉપસ્થિત હતા. ધડાધડ બિલાડીના ટોપની જેમ સાપ ફૂટી નીકળતા પરિવારના મોભીએ તાત્કાલિક રેસક્યુ ટીમને સૂચિત કર્યા હતા. જ્યારે રેસક્યુની ટીમ પહોંચી ત્યારે પરિવારના લોકો ભયના ઓથાર તળે હતા. રેસક્યુની ટીમે એક બાદ એક સાપ પકડવા માંડ્યા હતા.
રેસક્યુ ટીમના સભ્ય જિતેન્દ્ર સારથીએ કહ્યું હતું કે, સાપની સંખ્યા એટલી બધી હતી કે અમે ગણતરી નહોતા કરી શક્યા. અત્યાર સુધી અમે 25 સાપની ગણતરી કરી છે. વધુ સાપ પણ હોય શકે છે, કારણ કે તે ઘરના દરેક ખૂણામાંથી નીકળી રહ્યા હતા. જો ફરી સાપ નીકળે છે તો અમારે તેમને પકડવા આવવું પડશે.
જિતેન્દ્રએ પરિવારની સ્થિતિ અંગે કહ્યું કે, જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે લોકો ખૂબ ડરેલા હતા. એ પછી અમારી ટીમે મળીને એક બાદ એક સાપને ડબ્બામાં પૂરવાની પ્રક્રિયાનો આરંભ કર્યો અને જંગલમાં સુરક્ષિત છોડી મૂક્યા. જિતેન્દ્રએ કહ્યું કે, આ પિટપિટિયા સાપ છે. અંગ્રેજીમાં તેને બફ સ્ટ્રિપ્ડ કિલબેક કહેવામાં આવે છે. આ ઝેરીલા નથી હોતા.
આ પ્રકારના સાપ કરડતા નથી. મધ્યપ્રદેશ શહેરમાં તેને સાત બહેન જેવું હુલામણું નામ આપવામાં આવ્યું છે. આ સાપનો દેખાવ એવો હોય છે કે ભલભલા લોકો ધ્રુજી ઉઠે છે. આ સાપ શાંત હોય છે અને શરમાળ પ્રકૃતિના હોય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત