Team Chabuk-Sports Desk: ભારતના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાનું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય બન્યું છે. આફ્રિકા સામે પુજારા ફરી નિષ્ફળ જોવા મળ્યો હતો. સેન્ચુરીયનમાં રમાય રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારતની પકડ મજબૂત છે. જોકે પુજારાએ નિરાશ કર્યા છે. પુજારા શૂન્ય પર આઉટ થયો છે. ચાર ટેસ્ટની સાત ઈનિંગમાં એ બીજી વખત ખાતું નથી ખોલાવી શક્યો. મેચમાં તેને લુંગી એનગિડીએ કીગન પીટરસનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. શૂન્ય પર આઉટ થતાં જ પુજારાએ પોતાના નામ પર એક શરમજનક કિર્તીમાન નોંધાવી દીધો છે.
પુજારા નંબર ત્રણ પર બેટીંગ કરતા ભારત તરફથી સર્વાધિક શૂન્ય પર આઉટ થનારો ખેલાડી બની ચૂક્યો છે. તેણે પૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ વેંગસકરનો રેકોર્ડ તોડ્યો છે. પુજારા નંબર ત્રણ પર રમતા નવમી વખત ખાતું નથી ખોલાવી શક્યો. જ્યારે વેંગેસકર આઠ વખત શૂન્ય પર આઉટ થયા હતા. જ્યારે ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ અને ભારતના પૂર્વ ખેલાડી રાહુલ દ્વવિડ ત્રીજા સ્થાન પર છે. જે સાત વખત ત્રીજા નંબર પર રમતા આઉટ થયા છે.
વિરાટે કર્યાં નિરાશ
પુજારા બાદ વિરાટની પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા હતી. જોકે એ આશા પણ અધૂરી રહી છે. કોહલીએ મેદાન પર 94 બોલમાં 35 રન કર્યાં હતા અને રાહુલ સાથે મળી ત્રીજી વિકેટ માટે 171 બોલ પર 82 રનની ભાગીદારી નોંધાવી હતી. જેમાં કોહલીના 35 અને રાહુલના 43 રનનું યોગદાન હતું. વિરાટ લુંગી એનગિડીની બહાર જઈ રહેલી બોલને રમવાના પ્રયાસમાં વિયાન મૂલ્ડરના હાથે સ્લિપમાં કેચ આઉટ થયો હતો.
વિરાટ કોહલીએ પોતાની છેલ્લી સેન્ચુરી બાંગ્લાદેશની સામે ફટકારી હતી. ત્યારે તેની એવરેજ 54.97 હતી. આ બે વર્ષમાં તેની એવરેજ પાંચ અંક નીચે ગઈ છે. આ સમયમાં વિરાટે 14 ટેસ્ટ મેચ રમ્યા હતા. 24 ઈનિંગમાં તેણે 634 રન બનાવ્યા. 74 તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. એવરેજ 26.41ની છે. કુલ પાંચ હાફ સેન્ચુરી ફટકારી છે.
મેચની સ્થિતિ
દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે પકડ મજબૂત બનાવી લીધી છે. પ્રથમ દિવસની રમત પૂર્ણં થતાં ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવીને 272 રન બનાવી લીધા છે. પહેલા દિવસનું આકર્ષણ ઓપનર કે.એલ.રાહુલ રહ્યો હતો, જે સેન્ચુરી ફટકારી અણનમ છે. તેણે 248 બોલ પર 122 રન બનાવ્યા છે. રાહુલની ઈનિંગમાં 16 શાનદાર ચોગ્ગા અને એક ગગનચુંબી સિક્સ જોવા મળી હતી. બીજી તરફ અજિંક્ય રહાણે પણ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો છે. તે 81 બોલમાં 40 રન બનાવી નોટઆઉટ છે. બંનેની વચ્ચે ચોથી વિકેટ માટે 73 રનની ભાગીદારી નોંધાઈ છે. દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી એનગિડીએ ભારતની ત્રણે વિકેટ લીધી છે. જ્યારે અન્ય બોલર્સે નિરાશ કર્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત