Homeદે ઘુમા કેબેન સ્ટોક્સનું ક્રિકેટમાં અપૂર્ણવિરામ મૂકવા પાછળનું કારણ શું?

બેન સ્ટોક્સનું ક્રિકેટમાં અપૂર્ણવિરામ મૂકવા પાછળનું કારણ શું?

Team Chabuk-Sports Desk: ભારતની સામે ઘર આંગણે શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ પહેલા ઈંગ્લેન્ડના આધારસ્તંભ ખેલાડી બેન સ્ટોકે પોતાનું નામ ખેંચી લીધું છે. થોડા સમય માટે બેન સ્ટોકે ક્રિકેટ જગતમાંથી વિરામ લેવાનું નક્કી કર્યું છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા આ અંગેની અધિકૃત જાણકારી આપવામાં આવી હતી. ઈંગ્લેન્ડ અને ભારતની વચ્ચે 4 ઓગસ્ટથી ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઈ રહી છે. 30 વર્ષીય ખેલાડી બેન સ્ટોકે પોતાનું નામ ખેંચી લેવા પાછળનું કારણ માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનું જણાવ્યું છે. આ સિવાય આ વર્ષના અંતમાં થનારા ટી ટ્વેન્ટી વિશ્વકપમાં પણ સ્ટોકની હાજરી હશે કે નહીં તે નક્કી નથી મનાઈ રહ્યું.

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા અપાયેલા નિવેદનમાં, સ્ટોકે આંગળીમાં થયેલી ઈજામાંથી ઉગરવા માટે આરામ લેવા વિરામ લઈ રહ્યો હોવાનું કહ્યું છે. જે આ મહિનાના આરંભમાં ક્રિકેટમાં તેના પુનરાગમન બાદ સંપૂર્ણ રીતે ઠીક નહોતી થઈ. બીજી બાજુ કોરોનાને લઈ ખેલાડીઓનું માનસિક આરોગ્ય ચર્ચાનો વિષય બન્યું હતું. ખેલાડીઓને મહિનાઓ સુધી બાયો બબલ્સમાં રમવું પડે છે.

ઈંગ્લેન્ડના મેન્સ ક્રિકેટના મેનેજિંગ ડાયરેક્ટર અને ઈંગ્લેન્ડના પૂર્વ સ્પીનર એશલે જાઈલ્સે કહ્યું હતું કે, ECB સ્ટોક્સના નિર્ણયને ટેકો આપે છે. બેને પોતાની ભાવનાઓ અને ભલાઈ વિષે ખુલીને વાત કરતા જબરદસ્ત સાહસ દેખાડ્યું છે. મહિનાઓ સુધી સુરક્ષિત વ્યવસ્થાતંત્રમાં રહેવાથી ખેલાડીઓ પર અસર પહોંચે છે. ખાસ તો આઝાદી સાથે પરિવારથી દૂર સમય પસાર કરવો પડકારજનક હોય છે. ગત 16 મહિનાઓથી આ પ્રકારના માહોલે ખેલાડીઓ પર અસર પાડ્યો છે.

જાઈલ્સે વધુમાં કહ્યું કે, સ્ટોક્સને શારીરિક અને માનસિક બંને બાજુથી પરત ફરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. બેનને જ્યાં સુધી જરૂર હશે સમય આપવામાં આવશે અને અમે ભવિષ્યમાં તેને ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમતા જોવા ઈચ્છીએ છીએ. જણાવી દઈએ કે ભારત સામેની મહત્ત્વની સીરીઝમાં સ્ટોક્સની જગ્યાએ ક્રેગ ઓવરટનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત સામેની સીરીઝ માટે બેન સ્ટોક્સનું ઈંગ્લેન્ડની ટીમમાં પુનરાગમન થયું હતું. તે ન્યૂઝીલેન્ડની સામે જુન મહિનામાં થયેલી બે ટેસ્ટ મેચોની સીરીઝમાં પણ નહોતો રમ્યો. એ સમયે તે ઈજામાંથી ઉગરી રહ્યો હતો. જોકે પાકિસ્તાન સામેની વનડે સીરીઝ પહેલા ઈંગ્લેન્ડની મુખ્ય ટીમને કોરોનાના કારણે ક્વોરન્ટાઈન કરવા પર તેને ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું. પોતાના નેતૃત્વ હેઠળ બેને પાકિસ્તાનને 3-0થી પરાજય આપ્યો હતો.

આઈપીએલ-2021ની સીઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે રમતા બેન સ્ટોક્સે માત્ર એક મેચમાં હાજરી પૂરાવી હતી અને ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેને પંજાબ કિંગ્સ ઈલેવન વિરૂદ્ધ મેચમાં ક્રિસ ગેલનો કેચ પકડતા સમયે ઈજા પહોંચી હતી. એ મેચમાં સ્ટોક્સે બેટીંગ પણ કરી હતી. જે બાદ રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટ દ્વારા તેમની આંગળીમાં ઈજા પહોંચી હોવાની પુષ્ટી કરી હતી.

2019માં સ્ટોક્સે ઈંગ્લેન્ડની વનડે વિશ્વકપની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વર્ષે જ તેને વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. 15 વર્ષ બાદ પ્રથમ વખત હતું કે જ્યારે ઈંગ્લેન્ડના કોઈ ખેલાડીને આ સન્માન મળ્યું હોય. આ પહેલા 2005માં ઈંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્ર્યૂ ફ્લિન્ટોફની પસંદગી થઈ હતી. બેન સ્ટોક્સની કરિયર ઉતાર-ચઢાવ ધરાવતી રહી છે. તેના કારણે ટીમે વિશ્વકપ ગુમાવ્યો પણ હતો અને મેળવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments