Team Chabuk-Sports Desk: કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સુકાની પદેથી રાજીનામું આપ્યા બાદ હવે સૌથી છેલ્લે ટીમે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. આરસીબીનો નવો કેપ્ટન ફાફ ડુપ્લેસિસ છે. કોહલીએ ગત વર્ષે આઈપીએલના બીજા ફેઝમાં કેપ્ટન પદેથી રાજીનામું આપવાની વાત કરી હતી. આ પહેલા તેણે ભારતીય ટીમના ટી ટ્વેન્ટીના સુકાની પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું. જણાવી દઈએ કે ડુપ્લેસિસ આરસીબીનો સાતમો કેપ્ટન બનશે.
ડુપ્લેસિસ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કમાન રાહુલ દ્રવિડ, કેવિન પીટરસન, અનિલ કુંબલે, ડેનિયલ વિટોરી, વિરાટ કોહલી અને શેન વોટ્સનના હાથમાં રહી હતી. ડુપ્લેસિસ આફ્રિકાનો પ્રથમ ખેલાડી હશે જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન બનશે. આ પૂર્વે તે લાંબા સમય સુધી ચૈન્નઈ સુપર કિંગ્સની ટીમ સાથે જોડાયેલો હતો. જે ટીમ ચાર વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂકી છે. હવે જોવાનું છે કે વર્ષોથી ટ્રોફી મેળવવા માટે ઝઝૂમી રહેલી બેંગ્લોરની ટીમને આ વખતે ડુપ્લેસિસ ખિતાબ અપાવી શકે છે કે નહીં.
ફાફ ડુપ્લેસિસે સુકાની બન્યા બાદ કહ્યું હતું કે : ‘મને સુકાની બનાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. મેં ઘણી આઈપીએલ મેચ રમી છે. કોઈ પણ વિદેશી ખેલાડી પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આરસીબીએ મને આને લાયક સમજ્યો એ માટે હું તેનો આભારી છું.’ બીજી તરફ ડુપ્લેસિસને ટીમનો સુકાની બનાવવા પર પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે : ‘હું તેમની આગેવાનીમાં રમવા માટે તૈયાર છું. તેમની સાથે શ્રેષ્ઠ ભાગીદારી માટે તૈયાર છું.’
ડુપ્લેસિસના આઈપીએલ કરિયર પર નજર નાખવામાં આવે તો વર્ષ 2012થી 2015 સુધી તે ચૈન્નઈ સુપરકિંગ્સનો સભ્ય ખેલાડી હતો. 2016 અને 2017માં જ્યારે ચૈન્નઈની ટીમને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી ત્યારે તે પુણે સુપર જાયન્ટ્સની ટીમ તરફથી રમ્યો હતો. ચૈન્નઈએ 2018માં ફરી તેને ખરીદ્યો. એક ખેલાડી તરીકે હતો ત્યારે ચૈન્નઈની ટીમ વર્ષ 2018 અને 2021માં ચેમ્પિયન બની હતી. ડુપ્લેસિસે અત્યાર સુધીમાં આઈપીએલ મેચમાં કેપ્ટનશિપ નથી કરી. ફાફની બેટીંગ પર નજર કરવામાં આવે તો તેણે 100 મેચમાં 34.94ની એવરેજ સાથે 2935 રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર 96 રહ્યો છે. 22 હાફ સેન્ચુરી ફટકારી છે. આઈપીએલમાં ડુપ્લેસિસનો સ્ટ્રાઈક રેટ 131.09નો રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત