ગોવાબાપાઃ ચાબુક બે દિવસમાં બે એવી ઘટના જોવા મળી જેનાથી મને વિચાર આવ્યો કે બહુ ભણી ગણીને જો ખોટા કામ જ કરવા હોય તો ભણલું નક્કામું હો.
એવી તે કઈ બે ઘટના બની ગોવાબાપા ?
ચાબુક તને પહેલી ઘટનાની વાત કરું તો રાજકોટના રેન્જ ડીઆઈજી છે સંદિપસિંહ. કોઈ ભેજાબાજે સંદિપસિંહનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી તેમના મિત્રોને રિકવેસ્ટ મોકલી એટલે મિત્રોને લાગ્યું કે રેન્જ ડીઆઈજી સાહેબે નવું એકાઉન્ટ બનાવ્યું હશે બાદમાં આ ઠગે મિત્રોને મેસેજ કરીને રૂપિયાની મદદ કરવા માગણી કરી. આમ આ ઠગબાજ રૂપિયા પડાવવા માગતો હતો પરંતુ રેન્જ ડીઆઈજી સાહેબને આ વાતની જાણ થતાં તેઓએ આ અંગે સાઈબર ક્રાઈમને જાણ કરતાં તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજી ઘટના ઘટી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરી સાથે. અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાએ olx પર ઘરનો જૂનો સોફો વેચવા મૂક્યો હતો. આ સોફો વેચાઈ તો ગયો પરંતુ રૂપિયા ન મળ્યા. ઉલ્ટાનું તેના એકાઉન્ટમાં બે વ્યવ્હારમાં કૂલ 34 હજાર રૂપિયા કપાઈ ગયા.
વડાપ્રધાન કેમ ગરમ થયા
ચાબુક ગરમ થવું એટલે ગુસ્સે થવું.
ખબર છે ગોવાબાપા આગળ બોલો.
ચાબુક આજે લોકસભામાં વડાપ્રધાન ગરમ થઈ ગયા. બન્યું એવું કે આજે લોકસભામાં જ્યારે વડાપ્રધાન પોતાનું સંબોધન રજૂ કરી રહ્યા હતા અને સંબોધનમાં કૃષિ કાયદાની અને બંગાળની ચૂંટણીની વાત આવી. પરંતુ આ દરમિયાન કોંગ્રેસના નેતા અધીર રંજન ઉભા થઈ ગયા અને વડાપ્રધાનના સંબોધનની વચ્ચે બોલવા લાગ્યા. જે વડાપ્રધાનને પસંદ ન પડ્યું અને વડાપ્રધાને અધીર રંજનને કહી દીધું કે, ‘અધીર રંજનજી આ વધુ થઈ રહ્યું છે. અધીરજી આ સારું નથી લાગી રહ્યું, તમે આવું શા માટે કરી રહ્યા છો ? પહેલાં તો તમે આવું નહતા કરતાં.’ જો કે બાદમાં સ્પીકરે મામલાને શાંતિનું સ્વરૂપ આપ્યું અને સંબોધન આગળ વધ્યું.
ઉમેદવારોને કરોડોની ઓફર ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ હવે તો કરોડો કરોડોની ઓફર કરાયાના આરોપ લાગી રહ્યા છે ચાબુક. વાત એવી છે કે અમદાવાદના વસ્ત્રાલ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ભારતીબહેન પંચાલે છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લીધું હતું. હવે તેમને આ ફોર્મ 50 લાખ રૂપિયા લઈને પરત ખેંચ્યું હોવાનો આરોપ તેમની જ પેનલમાં રહેલા કોંગ્રેસના વસ્ત્રાલના ઉમેદવાર આશિષ પટેલે લગાવ્યો છે. આશિષ પટેલે તો એમ પણ કહ્યું છે કે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ઈશારે મારા સગા-સંબંધી અને મિત્રોના માધ્યમથી ચાર કરોડ રૂપિયાની ઓફર થઈ છે. ફોર્મ પરત ખેંચવા ધાક-ધમકી અને દબાણ થઈ રહ્યું છે. ખોટા કેસ ઠોકી દેવાની પણ ધમકી મળી રહી હોવાનું આશિષ પટેલે કહ્યું છે.
ચૂંટણીઓમાં આવા સોદા થતા હોવાનું દરેક વખતે સાંભળવા મળે છે. પ્રજાના મતના સોદા થતાં પણ આપણે જોયા છે. હવે ચાબુક આમાં આપણે ક્યાં મોઢે લોકતંત્રની વાત કરવી. આ તો એવી વાત થઈ, ‘રૂપિયા વાપરો અને ચૂંટણી જીતો.’
આવતીકાલથી ચૂંટણી પ્રચાર
ઉમેદવારો જાહેર થઈ ગયા, ફોર્મ ભરાય ગયા, જેઓને ફોર્મ પાછા ખેંચવાના હતા તેઓએ ખેંચી લીધા. હવે આવતીકાલ એટલે કે 11 ફેબ્રુઆરીથી ચૂંટણી પ્રચાર શરૂ થઈ રહ્યો છે. સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારમાં નીકળશે. ચૂંટણી સભાઓ પણ યોજાશે. પરંતુ મારે તમામ પાર્ટીઓને એટલું જ કહેવું છે કે, ચૂંટણી પ્રચારમાં ભૂલતા નહીં કે કોરોના હજુ ગયો નથી. માસ્ક પહેરજો અને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખજો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત