ગોવાબાપાઃ ચૂંટણીઓમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપથી મામલો હવે મારામારી સુધી પહોંચી ગયો છે ચાબુક. બહુચરાજીમાં જિલ્લા પંચાયતના ફોર્મ ભરવા માટેનો આજે છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે તાલુકા પંચાયતમાં કોંગ્રેસના કાર્યકરોના બે જૂથ વચ્ચે તડાફડી બોલી ગઈ. બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર અને સેવાદળના લાલજીભાઈના જૂથ વચ્ચે મારામારી થઈ ગઈ. મામલો મેન્ડેટનો હતો. ગીતાબેન દેસાઈ અને અશોકભાઈ પટેલના મેન્ડેટ ફાડી નાખવા મામલે ઉગ્ર બોલાચાલી થઈ. બાદમાં બન્ને જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી પણ થઈ. ભારે કરી હો ચાબુક, આ ચૂંટણી તો એકબીજાને દુશ્મન બનાવી દેશે હો..
કોંગ્રેસનું સંગઠન શું કરે છે ?
ચાબુક કોંગ્રેસનું સંગઠન શું કરે છે એ સવાલ કરતા મને તો થાય છે કે કોંગ્રેસ પાસે સંગઠન જેવું કંઈ છે કે નહીં ? કેમ કે જે થાનગઢ તાલુકા પંચાયતમાં થયું તેના પરથી તો લાગે છે કે કોંગ્રેસના સંગઠનમાં સંકલનમાં અભાવ છે. બન્યું છે એવું કે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસ સુધીમાં થાનગઢ તાલુકા પંચાયતની એકપણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો મેન્ડેટ રજૂ ન કરી શક્યા. થાનગઢ તાલુકા પંચાયતની તમામ 16 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સમય મર્યાદામાં મેન્ડેટ રજૂ ન કરી શકતાં હવે કોંગ્રેસ ચૂંટણી જંગમાંથી જ ફેંકાય ગયું છે. હવે અહીં ભાજપને મહેનત વગર જીત મળી જશે એ પાક્કી વાત છે.
કોંગ્રેસમાં લાખોમાં ટિકિટ વેચાય છે
આ ચૂંટણીમાં તો કોંગ્રેસની માઠી દશા બેઠી છે હો ચાબુક. રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ એવા દિનેશ ચોવટીયાએ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે. તેમણે અનુભવી નેતાઓની અવગણના થતી હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વચેટિયા મારફતે 3 થી 5 લાખમાં ઉમેદવારોની ટિકિટ વેચાય હોવાનો આરોપ પણ લગાવ્યો છે. જોકે હવે દિનેશભાઈ ભાજપમાં ભળશે તેવી ચર્ચાઓ રાજકોટમાં શરૂ થઈ છે. જોઈએ શું થાય છે.
શાળાઓ ખુલશે
ચાબુક કોરોના જેમ જેમ નરમ પડી રહ્યો છે તેમ તેમ હવે સરકાર પણ બંધ શાળાઓને તબક્કાવાર ખોલી રહી છે. સમાચાર છે કે હવે 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8નું શિક્ષણકાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. જે વિદ્યાર્થીઓને શાળાએ ન જવું હોય એ ઘરે બેઠાં ઓનલાઈન શિક્ષણ લઈ શકશે એવું પણ સરકારે કહ્યું છે. શાળાએ આવનાર વિદ્યાર્થીઓને કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.
લોકડાઉનમાં નિમયો તોડનારને મોજ
ચાબુક પહેલાં સરકાર નિયમો બનાવે પછી જે લોકો નિયમો તોડે તેના પર કેસ કરવામાં આવે અને પછી કેસ પાછા ખેંચી લેવામાં આવે. હતા ત્યાંને ત્યાં. વાત જાણે એમ છે ચાબુક કે ઉત્તરપ્રદેશની યોગી સરકારે એક નિર્ણય લીધો છે કે લોકડાઉન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર સામાન્ય લોકો પર થયેલા કેસ પાછા ખેંચી લેવામાં આવશે. સરકારની આ જાહેરાત સાંભળીને નિયમો તોડનારા લોકો મોજમાં આવી ગયા છે. આવા એક-બે નહીં પણ દોઢ લાખ લોકો છે જેના પર કેસ થયા હતા. હવે તેઓને કોર્ટ-કચેરીના ધક્કા નહીં ખાવા પડે. આ પ્રકારના કેસ પાછા ખેંચવાનું પ્રથમ કામ યોગી સરકારે કર્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત