Homeદે ઘુમા કેઆને કહેવાય પડ્યા પર પાટુ : ભારતનો જે ખેલાડી ફોર્મમાં હતો એ...

આને કહેવાય પડ્યા પર પાટુ : ભારતનો જે ખેલાડી ફોર્મમાં હતો એ જ ઘાયલ થઈ ગયો

Team Chabuk-Sports Desk : સિડનીના મેદાનમાં રમાય રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં છેલ્લા 49 રનના અંતરે જ છ વિકેટ ગુમાવી દેતા સોશિયલ મીડિયા પર ભારતીય ટીમની આકરી ટીકા થઈ રહી છે. સીડની ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમ પીચ પર મજબૂત દેખાતી હતી. જોકે રમતના ત્રીજા દિવસે ભારતીય ટીમ સાથે એ જ થયું જે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે થયું હતું. ત્રીજા દિવસે એવી આશા હતી કે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા મોટી ઈનિંગ રમી ભારતીય ટીમને 350થી 400ના સ્કોર સુધી પહોંચાડી દેશે અને ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પકડ મજબૂત બનાવશે. પણ તેનાથી વિરૂદ્ધ થયું.

ચેતેશ્વર પુજારાની ધીમી બેટીંગની અસર અજિંક્ય રહાણેની બેટીંગ પર પણ પડી. ગત્ત ટેસ્ટ મેચમાં સેન્ચુરી ફટકારનાર અજિંક્ય રહાણે 22 રન પર જ આઉટ થઈ ગયો હતો. એ પેટ કમિન્સની બોલમાં બોલ્ડ થઈ ગયો હતો. રહાણેના આઉટ થતા જ હનુમા વિહારી અને ઋષભ પંત પણ ક્રમશ: 4 અને 36 રને આઊટ થઈ ગયા હતા. એ પછી ભારતીય ટીમ પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ગઈ હતી અને એક બાદ એક વિકેટ પડી ગઈ હતી.

એક સમયે ભારતીય ટીમની 195 રનના સ્કોર પર 4 વિકેટ પડી હતી. જોકે એ પછી ભારતીય ટીમે માત્ર 49 રનના સામાન્ય સ્કોર પર 6 વિકેટ સામેથી આપી દીધી હોય તેવા હાલ હવાલા થયા હતા. ભારતીય ટીમ તરફથી ત્રણ વિકેટ રન આઉટમાં ગઈ હતી. એકદમ લાપરવાહીપૂર્વક દોડતા ચાર રનના સ્કોર પર હનુમા વિહારી, દસ રનના સ્કોર પર રવિચંદ્રન અશ્વિન અને શૂન્ય પર જસપ્રીત બુમરાહ આઊટ થયા હતા.

ભારતીય ટીમના ટેસ્ટ ઈતિહાસની જો વાત કરવામાં આવે તો આ સાતમી વખત એવું બન્યું કે ત્રણ બેટ્સમેન એક જ ઈનિંગમાં રન આઉટ થયા હોય. આજથી 12 વર્ષ પહેલા 2008માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ મોહાલી ટેસ્ટની બીજી ઈનિંગમાં વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ અને વીવીએસ લક્ષ્મણ આઊટ થયા હતા. ધડાધડ વિકેટો પડતા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ટીમ પર દબાણ લાદવામાં ચૂકી ગઈ હતી અને પોતે જ દબાણમાં સરકી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ કુલ 197 રનની લીડ સાથે ત્રીજી ટેસ્ટમાં શનિવારે પોતાની ઈનિંગને મજબૂત કરી દીધી છે.

પેટ કમિન્સે બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાએ ભારતને તેની પહેલી ઈનિંગમાં 244 રન પર ઓલ આઉટ કરી દીધું હતું. બાદમાં માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથની હાફ સેન્ચુરીએ ભારતીય ટીમના બોલરોને પરેશાન કર્યા હતા. ત્રીજા દિવસની રમત પૂર્ણ થતા ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં બે વિકેટના નુકસાન પર 103 રન બનાવ્યા હતા. હવે સ્મિથ 29 અને લાબુશેન 47 રન બનાવીને રમતમાં છે.

તો સાથે જ ભારતીય ટીમ માટે બે ખરાબ સમાચાર છે. ફોર્મમાં ચાલી રહેલા રવીન્દ્ર જાડેજા અને વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંત ઈજાગ્રસ્ત થયા છે. તેમને સ્કેન માટે લઈ જવામાં આવ્યા છે. જોકે બંને બીજી ઈનિંગમાં બેટીંગ માટે ઉપલબ્ધ રહેશે. સૌથી મોટી સમસ્યા એ છે કે રવીન્દ્ર જાડેજાનું બોલિંગ કરવું એ અનિશ્ચિત લાગી રહ્યું છે.

વાત જો ચેતેશ્વર પુજારાની કરવામાં આવે તો પુજારા પુલ કે હુક કોઈ પણ શોટ આત્મવિશ્વાસ પૂર્વક નહોતો રમી શક્યો. બીજી બાજુ પુજારા સ્ટ્રાઈક રેટ પણ રોટેટ નહોતો કરી શક્યો જેથી રન ન થઈ શક્યા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments