Team Chabuk-Sports Desk: દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2021ના બીજા લેગનો ધમાકેદાર આરંભ કર્યો છે. દ્વિતિય લેગના પોતાના પહેલા મેચમાં દિલ્હીએ હૈદરાબાદને આઠ વિકેટે સજ્જડ પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરેલી હૈદરાબાદની ટીમ વીસ ઓવરમાં નવ વિકેટના નુકસાન પર 134 રન જ બનાવી શકી હતી. જવાબમાં દિલ્હીએ માત્ર બે વિકેટ ગુમાવીને 135 રનનું લક્ષ્યાંક આરામથી પ્રાપ્ત કરી લીધું હતું. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે 35 અને શ્રેયસ અય્યરે 47 નોટ આઉટ રન બનાવ્યા હતા. આ મેચમાં દિલ્હીની ટીમ બેટીંગ અને બોલિંગ એમ બંને પાયદાનમાં હૈદરાબાદ પર ભારે પડી હતી.

મેચમાં સાઉથ આફ્રિકાના પેસ બોલર રબાડાએ દિલ્હીને પોતાની બોલિંગથી વિજય અપાવ્યો હતો. એક સમયે એવું લાગતું હતું કે હૈદરાબાદની ટીમ રબાડાના બોલિંગ અટેક પર ભારે પડી જશે, કારણ કે રબાડાની ટોટલ ઓવરમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા લાગી ચૂક્યા હતા. જોકે રબાડાએ ચાર ઓવરમાં 37 રન આપી ત્રણ મહત્વની વિકેટ લીધી હતી. જેમાં ઋદ્ધિમાન સાહા અને મનીષ પાંડે સિવાય અબ્દુલ સમદને પણ આઉટ કર્યો હતો.

રબાડાનો સાથ નિભાવવામાં મહત્વની ભૂમિકા એનરિક નોર્કિએ ભજવી હતી. તેણે 140 પ્લસની ઝડપથી બોલિંગ ફેંકીને મેદાન પર ઝંઝાવાત લાવી દીધો હતો. એનરિકે પોતાની ત્રીજી જ ઓવરમાં ઘાતક બેટ્સમેન ડેવિડ વોર્નરને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. એ પછી 13મી ઓવરમાં કેદાર જાધવને એલબીડબલ્યૂ કર્યો હતો.

બેટીંગમાં ધવને હૈદરાબાદના બોલર્સને પોતાના અનુભવથી પરેશાન કર્યા હતા. ત્રણ જ ઓવરમાં પૃથ્વી શોના આઉટ થયા બાદ ધવને ક્રિઝ પર પગ જમાવીને શ્રેયસ અય્યરની સાથે 52 રનની ભાગીદારી નોંધાવી હતી. 37 બોલમાં 42 રન કરી તે આઉટ થયો હતો. ધવન બાદ ઋષભ પંત અને શ્રેયસ અય્યરે ટીમનો વિજયપથ પૂર્ણ કરી લીધો હતો.

આ મેચમાં વિલિયમસને ટોસ જીતી પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો હતો, પણ તેમની ટીમનો એક પણ ખેલાડી મેદાન પર ઉત્કૃષ્ટ પ્રદર્શન નહોતો કરી શક્યો. ટીમને ડેવિડ વોર્નર પાસેથી વધારે આશા હતી પણ વોર્નર પણ જલ્દી જ આઉટ થઈ ગયો હતો. ટીમ ધીમે ધીમે પવેલિયનનો રસ્તો પકડવા લાગી હતી. ખાસ તો હૈદરાબાદની ટીમને બોલર ટી.નટરાજનની ખોટ સાલી હતી, કારણ કે નટરાજન અણીના સમયે કોરોના સંક્રમિત થઈ જતા તેને આઈસોલેટ થવાનો વારો આવ્યો હતો. નટરાજનની સાથે અન્ય કેટલાક લોકોને પણ આઈસોલેટ કરવામાં આવ્યા છે. આ કારણે હૈદરાબાદનો બોલિંગ અટેક નબળો રહ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત