Team Chabuk-National Desk: જમ્મૂ-કશ્મીરના કુપવાડામાં બે ભાજપના નેતાની પોતાના પર ખોટો આતંકી હુમલો કરાવવાના આરોપમાં ધરપકડ કરી લેવાઈ છે. બંનેએ પોતાના પર આતંકી હુમલાનું નાટક કર્યું. આ મામલે બે સુરક્ષાગાર્ડની પણ ધરપકડ કરવામાં આવી છે. ભાજપના બંને નેતાઓએ પોતાની સુરક્ષામાં વધારો કરવા આ તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે.ભાજપના આ નેતાઓનું નામ છે ઈશફાક અહમદ અને બશારત અહમદ. બંને નેતાને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે બંનેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
શુક્રવારે રાત્રે બંને નેતાઓ પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં ઈશફાક અહમદના હાથમાં ઈજા થઈ હતી. શરૂઆતમાં પોલીસે કહ્યું હતું કે, ગાર્ડથી ભૂલથી ફાયરિંગ થઈ ગયું હતું જેમાં ભાજપના નેતાને સામાન્ય ઈજા થઈ. પરંતુ વધુ તપાસમાં ખુલાસો થયો છે કે, આ એક જાણી જોઈને કરાવાયેલો હુમલો હતો.
ઈશફાક અહમદ ભાજપના જિલ્લા અધ્યક્ષ મોહમ્મદ શફી મીરનો દીકરો છે. બીજી તરફ તપાસમાં જાણી જોઈને કરાવાયેલો હુમલો હોવાનું બહાર આવતા ભાજપે પણ નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ભાજપે મીર અને તેના દીકરા ઉપરાંત બશારત અહમદને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે અને આંતરિક તપાસ શરૂ કરી છે.
જમ્મૂ કશ્મીરમાં આ પહેલો કિસ્સો નથી કે કોઈ રાજકીય પાર્ટીનો નેતા વિવાદમાં આવ્યો હોય. આ પહેલાં પણ એપ્રિલ અને મે મહિનામાં ભાજપના બે પંચાયત સભ્યો પર ગંભીર આરોપ લાગ્યા હતા. અનંતનાગ અને સોપોર વિસ્તારમાં ખોટી રીતેર રૂપિયાની ઉઘરાણી કરવાના આરોપમાં બંને ઝડપાયા હતા. આ નેતાઓ પર વેપારીઓ અને ડિલરો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવા માટે આતંકીઓની ઓળખ આપવાનો આરોપ હતો.
ગયા વર્ષે પણ અહમદ મીરની NIAએ કથિત આતંકી લિંક મામલે ધરપકડ કરી હતી. તેના પર આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનને હથિયાર સપ્લાય કરવાનો આરોપ હતો.
અહમદ મીરની એક અન્ય વ્યક્તિના કેસની તપાસમાં ધરપકડ કરાઈ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ અંગે કહ્યું હતું કે, 2020માં હિઝબુલના મુખ્ય આતંકવાદીને લઈ જતી વખતે તેમની ધરપકડ થઈ હતી. તે સમયે મીર શોપિયાં જિલ્લાના વાચીના સરપંચ હતા. તેમણે 2014માં વિધાનસભાની ચૂંટણી ભાજપના નિશાન પર લડી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત