Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં આવેલ બેવર પ્રખંડની દાઉદપુર સરકારી પ્રાઈમરી શાળામાં એંસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી 60 વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિના છે. અધિકારીઓને આ શાળામાંથી એવી ફરિયાદ મળી હતી કે, એસસીના વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજન માટે જે વાસણોનો ઉપયોગ કરે છે તેને અલગ રાખવામાં આવે છે. આ વાસણ બાળકોને જ ધોવા પડે છે.

ફરિયાદ મળ્યા બાદ શુક્રવાર 24 સપ્ટેમ્બરના રોજ અધિકારીઓએ શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ અધ્યાપિકા ગરીમ રાજપૂતને નિલંબિત કરી દેવામાં આવી હતી. આ સિવાય બે રસોયાને પણ તેમની ફરજમાંથી સ્વંતત્ર કરી દેવામાં આવ્યા, કારણ કે એમનું કહેવું હતું કે, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વાસણોને તેઓ અડકી નથી શકતા.

મૈનપુરી બેઝિક શિક્ષા અધિકારી કમલ સિંહે આ અંગે કહ્યું કે, ‘નવનિર્વાચિત સરપંચ મંજૂ દેવીના પતિ દ્વારા જાતિગત ભેદભાવની ફરિયાદ સાચી ઠરી છે. અમને ફરિયાદ મળી. નિરીક્ષણ માટે એક ટીમને શાળામાં મોકલવામાં આવી. અનુસૂચિત જાતિના બાળકો અને અન્ય બાળકો દ્વારા ઉપયોગમાં લેવાતા વાસણો અલગ અલગ રાખવામાં આવ્યા હતા. પ્રખંડ વિકાસ પદાધિકારી અને અન્ય પદાધિકારીઓએ શાળાની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન રસોયણ સોમવતી અને લક્ષ્મી દેવીએ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના વાસણો અડકવાની ના પાડી દીધી હતી. તેમણે જવાબ આપ્યો હતો કે, જો આવું કરવામાં આવ્યું તો તેઓ શાળામાં કામ નહીં કરી શકે. તેમણે જાતિસૂચક અપશબ્દનો પણ પ્રયોગ કર્યો હતો. એ પછી રસોઈ બનાવનારીઓની સામે શાળા પ્રશાસને લાલ આંખ કરી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી.’

આ અંગે સરપંચ મંજૂ દેવીના પતિ સાહબ સિંહનું કહેવું છે કે, ‘કેટલાક બાળકોના માતાપિતાએ એમને 15 સપ્ટેમ્બરના રોજ છૂત-અછૂત અંગે જણાવ્યું હતું. 18 સપ્ટેમ્બરે હું એક બેઠકમાં શાળામાં ગયો હતો. મેં જોયું તો રસોઈ ગંદી હતી. તેમાં ફક્ત દસ દસ પ્લેટ રાખવામાં આવી હતી. મેં રસોઈ બનાવનારાઓને પૂછ્યું કે બાકીની થાળીઓ ક્યાં છે? તો તેમણે કહ્યું કે રસોઈમાં જે થાળીઓ હતી તે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓની હતી, જ્યારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની થાળીઓ અલગ રાખવામાં આવી હતી. મને એ પણ માહિતી મળી કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોતાના વાસણ ધોવા અને અલગ રાખવા માટે મજબૂર કરવામાં આવતા હતા. કેમ કે અન્ય જાતિનું કોઈ તેમને અડકવા તૈયાર નહોતું.’

ફરિયાદ થતાની સાથે જ સ્થાનિક પત્રકારો અને અધિકારીઓએ આ મુદ્દાને ઉઠાવ્યો હતો. સાહબ સિંહે આ અંગે જણાવ્યું હતું કે, ગામની 35 ટકા વસતિ દલિતની છે. ઠાકુરોની સંખ્યા પણ એટલી જ છે, બાકીના અન્ય જાતિના લોકોની વસતિ છે.

દલિતો સાથેની આ ઘટના પ્રકાશમાં આવતા નેતાઓ પોતાનો રાજકીય પાપડ શેકવા પણ મોડે મોડે પહોંચી ગયા હતા. મૈનપુરી એ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું ગઢ માનવામાં આવે છે. સમાજવાદી પાર્ટી દ્વારા સમર્થિત મૈનપુરી જિલ્લા પંચાયતની સીટ જીતનારા શુભમ સિંહનું કહેવું છે કે, તેમણે ગામનો પ્રવાસ કર્યો હતો. ભાજપ દલિત ઉત્થાનના મોટા મોટા દાવા કરે છે. એ સમુદાયના કેટલાક લોકોને સાંકેતિક પદ આપે છે. પણ આ ઉત્તર પ્રદેશની વાસ્તવિકતા છે. દાયકાઓ પહેલા ડૉ.બી.આર.આમ્બેડકરને પોતાના શાળાકાળ દરમિયાન આવી છૂત-અછૂતનો સામનો કરવો પડ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અધિકારીઓ દ્વારા કાર્યવાહી કર્યા બાદ કેટલાય વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જેમાં દાઉદપુરના બાળકો પોતાની થાળીને ધોવા માટે હેન્ડપમ્પનો ઉપયોગ કરતા દેખાય રહ્યા છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પોતાના ક્લાસમાં અભ્યાસ કરી રહ્યા હોય છે. એક વાલીનું કહેવું છે કે, અમે પહેલા આ મુદ્દાને ઉઠાવ્યો હતો. વીડિયોમાં તેઓ કહે છે કે, અહીં બાળકો આવે છે. અહીં વાસણ ધોવડાવવામાં આવે છે. શિક્ષકો ધોવડાવે છે. મેં ખૂદ જોયું છે. શિક્ષકોને કહ્યું, તો તેમણે આ કાને સાંભળ્યું અને આ કાને કાઢી નાખ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત