Team Chabuk_national Desk: એક જાણીતી સિનિયર અભિનેત્રીના દીકરાએ મિલકત માટે પોતાની સગી માતાની બેઝબૉલના બેટથી ફટકા મારી મારીને હત્યા કરી નાખી હોવાની અરેરાટીભરી વાત બહાર આવી છે. 74 વર્ષીય જાણીતી એક્ટ્રેસ વીણા કપૂરની હત્યા તેમના દીકરાએ કરી હોવાના સમાચારોથી ગ્લેમર વર્લ્ડ સ્તબ્ધ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વીણાના હત્યાની જાણકારી નીલુ કોહલી નામની અન્ય એક સિનિયર અભિનેત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે. વીણા કપૂરે ટીવી શો ‘મેરી ભાભી’માં કામ કર્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 74 વર્ષનાં વીણા કપૂરનો નાનો દીકરો સચિન છેલ્લા ઘણા સમયથી બેકાર હતો. તેથી 43 વર્ષીય સચિન તેની માતા વીણા સાથે જુહુની ‘કલ્પતરુ’ સોસાયટીવાળા ફ્લેટમાં શિફ્ટ થઇ ગયો હતો. એ સમયે વીણાને અંદાજ પણ નહોતો કે એક દિવસ તેનો આ સગો દીકરો જ તેનો હત્યારો બની જશે.
સચિનનો તેની માતા વીણા સાથે કરોડો રૂપિયાના ફ્લેટને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જ્યારે વીણા કપૂરે તેના પુત્રની વાત ન માની ત્યારે દીકરો દાનવ બન્યો અને સગી માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સચિનની સાથોસાથ પોલીસે ઘરના નોકર લાલુ કુમાર મંડલની પણ ધરપકડ કરી છે. આ ઘટના બાદ બોલિવૂડ એક્ટ્રેસ નીલુ કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
નીલુ કોહલીએ લખ્યું હતું કે ‘વીણા જી, તમે આના કરતાં વધુ સારી વસ્તુઓ માટે હકદાર હતાં. મારું દિલ તૂટી ગયું. તમારા માટે આ પોસ્ટ કરું છું, બીજું તો હું શું કહી શકું? હું આજે અવાચક છું. હું આશા રાખું છું કે આટલાં વર્ષોના સંઘર્ષ પછી તમે હવે શાંતિથી આરામ કરી રહ્યાં હશો.’
વીણા કપૂરનો નાનો દીકરો સચિન છેલ્લા ઘણા સમયથી કોઈ જ કામધંધો નહોતો કરતો. તેથી જ પોતાનું ગુજરાન ચલાવવા માટે તે પોતાની માતા સાથે તેમના ઘરમાં રહેવા આવી ગયો હતો. આ એક્ટ્રેસનો બીજો પુત્ર અમેરિકામાં રહે છે. મોટા પુત્રના ફોનનો એક્ટ્રેસે કોઈ જવાબ ન મળતાં તેમને શંકા ગઈ હતી. આ પછી તેણે ચોકીદારને ઘરે મોકલીને માતાની સ્થિતિ અંગે જાણવા માટે કહ્યું હતું. ત્યાર પછી આખી વાત સામે આવી હતી.
મૃતદેહ છુપાવવા નોકરની મદદ લીધી
પોલીસના જણાવ્યા અનુસાર, વીણાના નાના પુત્ર સચિન કપૂરે તેની હત્યા કર્યા બાદ મૃતદેહને ફ્રિજના ખોખામાં પેક કર્યો હતો, જેથી કોઈને શંકા ન થાય. આરોપી પુત્રએ મોટી પેટી રાખવા માટે નોકરની મદદ લીધી હતી.
મોટા પુત્રને હતી શંકા
આ બાદ મોટા પુત્રને શંકા હતી કે તેની માતા સાથે કંઈક અજુગતું થઈ ગયું છે, તેથી જ તેણે વિલંબ કર્યા વિના જુહુ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો સત્ય બહાર આવ્યું હતું. પોલીસ પૂછપરછમાં સચિને પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીનું કહેવું છે કે તેણે ગુસ્સામાં આવીને માતાના માથા પર બેટથી હુમલો કર્યો. આ પછી મૃતદેહને રાયગઢ જિલ્લા પાસે નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
