આજે નવુ વર્ષ. નવા વર્ષે આપણે સંકલ્પ કરીએ કે કોરોના વાઈરસને ગમે તે ભોગે હરાવીએ. આપણા કોરોના વોરિયર્સને સાથ સહકાર આપીએ. આપણે જાતે પણ જાગૃત થઈએ અને નિયમોનું પાલન કરીએ. કેમ કે, આપણે તહેવારોની ઉજવણી કરી રહ્યા છીએ. મસ્ત છીએ. વ્યસ્ત છીએ. કોરોનાના ત્રસ્તથી ફરી વિમુખ છીએ. બીજી તરફ કોરોના યોદ્ધાઓ હોસ્પિટલમાં ખડેપગે છે.
રાજકોટ સિવિલના સ્ટાફની રજાઓ રદ્દ કરી દેવાઈ હતી. જેના કારણે નવા વર્ષે પણ પરિવારથી દૂર તેઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. અમદાવાદ સહિતના મેટ્રો સિટીની હોસ્પિટલમાં પણ કોરોના વોરિયર્સ ખડે પગે છે. ઈમરજન્સી સેવાના ભાગરૂપે 108ના કર્મચારીઓ પણ પોતાની ફરજ પર હાજર છે. ટીમ ચાબુક આવા યોદ્ધાઓને સલામ કરે છે.
ટીમ ચાબુક એ એક એક વ્યક્તિને સલામ કરે છે. જેમણે કોરોનાનો ભારતમાં પ્રવેશ થયો ત્યારથી ખડેપગે દેશની અને જનતાની સેવા કરી રહ્યા છે. સફાઈકર્મીઓએ પોતાની ડ્યુટીમાં એક દિવસની પણ બાંધછોડ નથી કરી. અસંખ્ય ડોક્ટરોએ પોતાના જીવની પરવા કર્યા વગર દિવસ રાત દર્દીઓની સારવાર કરી. પોલીસકર્મીઓ રાત દિવસ ખડે પગે રહ્યા.
વિશ્વમાં કોરોનાની સ્થિતિ
વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. વિશ્વમાં એક દિવસમાં વધુ 4 લાખ 90 હજાર 610 કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 6 હજાર 613 લોકોએ જીવ ગુમાવ્યો છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ અમેરિકાની છે. અમેરિકામાં એક જ દિવસમાં 1 લાખ 38 હજાર 249 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 519 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કુલ 5 કરોડ 48 લાખ 10 હજાર 319 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાં 13 લાખ 24 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
અમેરિકા બાદ ભારતમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ભારતમાં રવિવારે એક દિવસમાં 30 હજાર 715 કેસ નોંધાયા છે. ભારતમાં છેલ્લા અઠવાડિયામાં કેસ ઘટ્યા છે. અઠવાડિયાથી ભારતમાં એક દિવસનો કેસનો આંકડો 40થી 50 હજાર નોંધાઈ રહ્યો હતો. દિલ્લીમાં પણ સ્થિતિ સુધરી છે. દિલ્લીમાં નવા 3235 કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસથી આ આંકડો 7 હજારને પાર રહતો હતો. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 2 હજાર 544 કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ હજારથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ દેશમાં 4 લાખ 65 હજાર 500થી વધુ એક્ટીવ કેસ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસે કુલ 1 લાખ 30 હજારથી વધુ લોકોનો ભોગ લઈ લીધો છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં પણ કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે. રાજ્યમાં રોજ 1 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં સ્થિતિ ફરી વણસે તેવી શક્યતા છે. લોકોની બેદરકારીના કારણે કેસ વધી શકે છે. હાલ રાજ્યમાં 12 હજાર 553 એક્ટીવ કેસ છે. દિવાળીના તહેવારમાં લોકો નિયમોનું પાલન ભૂલી રહ્યા છે. લોકોની બેદરકારીના કારણે કોરોનાનું જોખમ ફરી વધી શકે છે. અમદાવાદમાં હોસ્પિટલમાં હોસ્પિટલના બેડ ભરાઈ રહ્યા છે. નાગરિકોએ જાતે સમજવાની જરૂર છે. સોશિયલ ડિસ્ટંસિંગ અને માસ્ક પહેરી કોરોનાને દૂર રાખી શકાય છે. જ્યાં સુધી વેક્સિન નથી ત્યાં સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટંસિંગ જ વેક્સિનનું કામ કરશે.
વેક્સિન આવે છે !
દુનિયાભરના દેશો હજુ વેક્સિનની રેસમાં છે. ભારતે પણ વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. બજારમાં હજુ કોરોનાની વેક્સિન નથી આવી પરંતુ વેક્સિનના ઉત્પાદનનું કામ મેરેથોન ગતિએ ચાલી રહ્યું છે. પૂરજોશમાં વેક્સિન પર કામ થઈ રહ્યું છે.
હાલ ભારતમાં 6 કરોડ લોકો માટે વેક્સિન તૈયાર થઈ ગઈ છે. દેશમાં સિરમ ઈન્સ્ટીટ્યૂટે એકલા હાથે કોરોનાની વેક્સિનના 4 કરોડ ડોઝ તૈયાર કરી લીધા છે. આ ઉપરાંત રશિયાની સ્પૂતનિક-5 વેક્સિન પણ દિલ્લી પહોંચી ગઈ છે. આ વેક્સિનનો ઉપયોગ પણ ત્રીજા તબક્કાના સફળ ટ્રાયલ બાદ કરવામાં આવશે. સૌથી પહેલાં કોરોના વોરિયર્સને વેક્સિનના ડોઝ આપવામાં આવશે.
શક્યતા એવી પણ છે કે આ વર્ષે અલગ-અલગ કંપનીઓની વેક્સિન બજારમાં આવી શકે છે. પરંતુ સરકારે તૈયાર કરેલી યોજના મુજબ દેશમાં પ્રથમ 30 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે. હાલ દુનિયાના 155 દેશોમાં કોરોના વાયરસની વેક્સિન પર કામ થઈ રહ્યું છે. જેમાંથી 47 દેશોમાં તબક્કાવાર પરિક્ષણ સફળ થઈ રહ્યા છે. જોકે, હજુ સુધી કોઈ દેશ અંતિમ તબક્કામાં સફળ નથી થયો. ફાઈઝર, બાયોટેક, ભારત બાયોટેક, ઓક્સફોર્ડ, સ્પૂતનિક-5 કોરોનાની વેક્સિનની સફળતા નજીક છે. ફાઈઝરે પરિક્ષણો પરથી દાવો કર્યો છે કે તે વેક્સિન બનાવવામાં 90 ટકા સફળ છે.