Team Chabuk-Gujarat Desk: કોરોના વાઇરસના કારણે લગ્ન પ્રસંગો પર પણ મોટી અસર પહોંચી છે. અનેક પરિવારોએ હાલની પરિસ્થિતિને જોતાં લગ્ન રદ કરી દીધા છે. જે પરિવાર લગ્ન કરી રહ્યા છે તેઓ પણ મર્યાદિત સંખ્યામાં મહેમાનોને બોલાવીને લગ્ન સંપન્ન કરી રહ્યા છે. જો કે ઘણી જગ્યાએ લગ્નમાં સરકારની ગાઈડલાઈન કરતાં વધુ લોકો પણ એકઠાં થતાં હોવાનું સામે આવી રહ્યું છે. જેના કારણે હવે પોલીસને લગ્ન સમારોહમાં રેડ પાડવાની નોબત આવી છે.
હાલમાં કોરોના વાઇરસના વધતા સંક્રમણના કારણે ઓછા લોકોને બોલાવીને લગ્ન સમારોહ યોજવાની સરકારે મંજૂરી આપી છે. પરંતુ મધ્યપ્રદેશમાં એક જગ્યાએ સરકારના નિયમની વિરુદ્ધ જઈને વધુ મહેમાનોની વચ્ચે લગ્ન સમારોહ ચાલતા હતા. મધ્યપ્રદેશના ઇંદોરના રાઉમાં આ લગ્ન સમારોહ યોજાયો હતો. આ લગ્ન સમારોહમાં વધુ લોકો એકઠાં થયા હોવાની પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર જઈને લગ્નમાં ભંગ પડાવ્યો હતો. હવે વર અને કન્યાના પરિવારોને કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવાનો વારો આવ્યો છે.
27 એપ્રિલે સાંજે રાઉના એક પરિવારમાં વરરાજાના મોટાભાઈએ ઝાકમઝોળ વચ્ચે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. કોરોનાની ગાઈડલાઈનને નજર અંદાજ કરીને રાઉના બ્રજ વિહાર કોલોનીમાં આ રિસેપ્શન યોજાઈ રહ્યું હતું. રિસેપ્શનમાં નિયમ કરતાં વધુ લોકો એકઠાં થયા હતા. આ વાતની જાણ રાઉ પોલીસને થઈ હતી.
બ્ર વિહાર કોલોનીમાં રિસેપ્શનમાં નિયમ કરતાં વધુ લોકો એકઠાં થયા હોવાની માહિતી મળતાં પોલીસ મહેમાન બનીને પહોંચી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને પોતાનો રંગ દેખાડતા હાજર મહેમાનોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ આવી હોવાની જાણ થતાં રિસેપ્શનમાં જમવા આવેલા લોકો પાછળના રસ્તેથી ભાગ્યા હતા. જો કે પોલીસે વર અને કન્યા પક્ષમાંથી શંકરલાલ ગોયલ અને દેવી સિંહ પરમારની ધરપકડ કરી લીધી હતી. આ મામલે મહામારી ફેલાવવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.
રાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અન્ય એક જગ્યાએ ચાલતા લગ્નમાં પણ પોલીસ પહોંચી હતી અને કાર્યવાહી કરી હતી. નયાપુરા વિસ્તારમાં ચાલી રહેલા લગ્નમાં પણ વધુ સંખ્યામાં લોકો એકઠાં થયા હોવાની જાણ પોલીસને થઈ હતી અને પોલીસ લગ્ન સ્થળ પર પહોંચી હતી. પોલીસને જોઈને મહેમાનો ભાગવા લાગ્યા હતા. આ મામલે પણ ત્રણ લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો