Homeદે ઘુમા કેરહાણે અને પુજારાને બીજો મોટો ઝટકો, ગ્રેડ-એમાંથી ગ્રેડ-બીમાં મોકલી દેતા પગાર પાંચ...

રહાણે અને પુજારાને બીજો મોટો ઝટકો, ગ્રેડ-એમાંથી ગ્રેડ-બીમાં મોકલી દેતા પગાર પાંચ કરોડમાંથી ત્રણ કરોડ થઈ ગયો

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવેલા અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને બીજો મોટો ઝટકો આપ્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર બંને સીનિયર ખેલાડીઓના ગ્રેડમાં બદલાવ કરવામાં આવ્યો છે અને તેમને ડિમોટ કરવામાં આવ્યા છે. પુજારા અને રહાણેને ગ્રેડ-એમાંથી ગ્રેડ-બીમાં મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ 2021ના ટી ટ્વેન્ટી વિશ્વકપ બાદ ટીમથી બહાર રહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ મોટો ઝટકો લાગ્યો છે. તેને ગ્રેડ-એથી સીધા ગ્રેડ-સીમાં ડિમોટ કરવામાં આવ્યો છે. હાર્દિકની જગ્યાએ હાલ વેંકટેશ ઐય્યર ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી રહ્યો છે.

વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાને પણ નુકસાન થયું છે. સાહાને ગ્રેડ-બીથી ગ્રેડ-સીમાં મોકલી દેવામાં આવ્યો છે. સાહા, પુજારા અને રહાણે ત્રણેને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ ટીમમાં જગ્યા મળી નથી. ભારતીય ટીમના એક સમયના આધારભૂત બેટ્સમેન પુજારા અને રહાણે છેલ્લા કેટલાય સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા છે.

આ વર્ષે 27 ખેલાડીઓ

બોર્ડ જાન્યુઆરીથી એપ્રિલની વચ્ચે, દર વર્ષે વાર્ષિક કોન્ટ્રેક્ટની ઘોષણા કરે છે. ગત કોન્ટ્રેક્ટમાં 28 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વખતે 27 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈના કોન્ટ્રેક્ટ લિસ્ટમાં ખેલાડીઓને ચાર પ્રકારના ગ્રેડ મળે છે. જેમાં એ પ્લસ, એ, બી અને સી સામેલ છે. દરેક ગ્રેડમાં એક નક્કી સેલરી હોય છે. એ પ્લસ ગ્રેડને વાર્ષિક સાત કરોડ રૂપિયા મળે છે. એ ગ્રેડને વાર્ષિક પાંચ કરોડ રૂપિયા મળે છે. બી ગ્રેડને ત્રણ કરોડ જ્યારે સી ગ્રેડને એક કરોડ રૂપિયા મળે છે.

આ વખતે પણ ત્રણ જ ખેલાડીઓ

ગત વર્ષની લિસ્ટમાં ગ્રેડ-એ પ્લસમાં ત્રણ ક્રિકેટર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વખતે પણ આ લિસ્ટમાં ત્રણ ખેલાડીઓ જ છે. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ. ગ્રેડ એમાં રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કે.એલ.રાહુલ, મોહમ્મદ શમી અને ઋષભ પંત. ગત વર્ષે ગ્રેડ એમાં દસ ખેલાડીઓ હતા. નવી લિસ્ટમાં પાંચ થઈ ગયા છે.

કોને ફાયદો થયો કોને નુકસાન થયું?

રહાણે અને પુજારાને ગ્રેડ-એથી બીમાં મોકલવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યાને ગ્રેડ-એમાંથી ગ્રેડ-સીમાં મોકલવામાં આવ્યો છે, તો સાહાને ગ્રેડ-બીમાંથી ગ્રેડ-સીમાં મોકલી દેવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર ઈશાંત શર્માને ગ્રેડ-એમાંથી ગ્રેડ-બીમાં મોકલી દેવામાં આવ્યો છે. કુલદીપ યાદવ અને નવદીપ સૈની પહેલા ગ્રુપ-સીમાં હતા, પરંતુ હવે તેઓ લિસ્ટમાંથી જ બહાર નીકળી ગયા છે. મયંક અગ્રવાલને ગ્રુપ-બીમાંથી સીમાં ડિમોટ કરવામાં આવ્યો છે. જેમને ફાયદો થયો છે તેવા ખેલાડીમાં મોહમ્મદ સિરાઝને ગ્રેડ-સીમાંથી ગ્રેડ-બીમાં સ્થાન મળ્યું છે. સૂર્યકુમાર યાદવ જે આ પહેલા ગ્રેડમાં સામેલ નહોતો તેને ગ્રેડ-સીમાં જગ્યા મળી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments