Team Chabuk-Sports Desk: ચર્ચામાં છે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટી ટ્વેન્ટી શ્રેણી. ચર્ચામાં છે આઈપીએલના ઓક્શનમાં વેચાયેલા મોંઘા ખેલાડી, ચર્ચામાં છે પાકિસ્તાનથી આવેલું હાસ્યાસ્પદ નિવેદન કે શાહીન શાહ આફ્રિદી 200 કરોડમાં વેચાયો હોત. ચર્ચામાં છે અજિંક્ય રહાણે, મનીષ પાંડે, સરફરાઝ ખાન અને યશ ધૂલની બેટીંગ. પણ ચર્ચામાં નથી સાકિબુલ ગની. આ ખેલાડીએ રણજી ટ્રોફીમાં મિઝોરમની સામે ડેબ્યુ મેચમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો નવો વિશ્વ વિક્રમ બનાવી દીધો છે.
કોલકાતામાં રણજી ટ્રોફી પ્લેટ ગ્રુપમાં ઓપનિંગ મેચ રમાઈ રહ્યો હતો. જેમાં બિહારની મેચ મિઝોરમની સામે હતી. મેચમાં બિહારે ટોસ જીતી પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો. પરંતુ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની બીજી જ ઓવરમાં ઓપનર મંગલ મહરૌર આઉટ થઈ ગયો. યશસ્વી રિશવે લખન રાજાની સાથે ટીમની ઈનિંગ સંભાળી હતી. જોકે તેઓ લાંબા સમય સુધી સાતત્યતાપૂર્ણ પ્રદર્શન નહોતા કરી શક્યા. લખન રાજા 25 રન બનાવી આઉટ થયો હતો અને આ ભાગીદારી કોઈ મોટો સ્કોર ખડકે એ પહેલા જ પડી ભાંગી હતી. એ પછી ક્રિઝ પર સાકિબુલ ગની આવ્યો.
બિહાર તરફથી રમતા સાકિબુલ ગનીએ શાનદાર બેટીંગ કરી હતી. 405 બોલમાં 341 રન ફટકારી ઈતિહાસ રચી દીધો. તેની ઈનિંગમાં 56 ચોગ્ગા અને બે છગ્ગા આવ્યા હતા. સાકિબુલ ગનીએ બાબુલ કુમારની સાથે મળી 500 રનથી વધારેની ભાગીદારી નોંધાવી હતી. ઈન્ડિયાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ પાંચમી વખત 500 કરતા વધારે રનની ભાગીદારી નોંધાઈ છે. બાબુલ કુમાર 229 પર નોટ આઉટ રહી પવેલિયન પરત ફર્યો હતો.
સાકિબુલ ગની બિહારના મોતિહારી જિલ્લામાંથી આવે છે. બિહાર માટે એ A-લિસ્ટમાં અત્યાર સુધીમાં 14 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે એક સેન્ચુરી અને કુલ 377 રન બનાવ્યા છે. સાથે જ સાકિબુલે 11 ટી ટ્વેન્ટી મેચ પણ રમ્યા છે. જેમાં એક હાફ સેન્ચુરીની મદદથી કુલ 192 રન બનાવ્યા છે. સાકિબુલ અને બાબુલ કુમારની વિસ્ફોટક ઈનિંગના કારણે બિહારે મિઝોરમ વિરૂદ્ધ પાંચ વિકેટના નુકસાન પર 686 રનનો તોતિંગ સ્કોર બનાવી ઈનિંગ ડિક્લેર ઘોષિત કરી હતી. મિઝોરમે બીજા દિવસની રમત પૂર્ણ થવા પર ત્રણ વિકેટના નુકસાન પર 40 રન બનાવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
