Homeદે ઘુમા કેશ્રીલંકન બોલર્સના ચુસ્ત પ્રદર્શન સામે ભારતીય ટીમનો નિર્ણાયક T20Iમાં પરાજય

શ્રીલંકન બોલર્સના ચુસ્ત પ્રદર્શન સામે ભારતીય ટીમનો નિર્ણાયક T20Iમાં પરાજય

Team Chabuk-Sports Desk: આખરે યજમાન ટીમ શ્રીલંકાને સિરીઝ જીતનો સ્વાદ ચાખવા મળ્યો તે પણ એક ખેલાડીના પરિણામે. કોલંબોનાં આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી ટ્વેન્ટીમાં શ્રીલંકાના 24 વર્ષીય ખેલાડી વનિંદુ હસરંગાએ ભારતીય ટીમને પત્તાના મહેલની જેમ પાડી દીધી હતી. અંતિમ મેચ શ્રીલંકાએ સાત વિકેટે જીતી સિરીઝને 2-1થી પોતાને નામે કરી દીધી છે.

કોલંબોમાં રમાયેલી આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગની પસંદગી કરી હતી. પણ વનિંદુ હસરંગા અને શ્રીલંકાના બોલર્સે ભારતને વીસ ઓવરમાં માત્ર 81 રનમાં જ ઢેર કરી દીધું હતું. ભારત માટે કુલદીપ યાદવે સૌથી વધારે 23 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે હસરંગાએ ચાર ઓવરમાં નવ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી અને મેચનો હીરો સાબિત થયો હતો.

81 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલી શ્રીલંકાને રાહુલ અને ચાહરે હંફાવવાની કોશિશ કરી હતી. જોકે ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ શ્રીલંકાએ 33 બોલ બાકી હતા ત્યારે મેચ જીતી લીધી હતી. બેટીંગમાં ધનંજય ડિ સિલ્વાએ સૌથી વધારે નોટઆઉટ 23 રન બનાવ્યા હતા. હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન શિખર ધવને કહ્યું હતું કે, ટીમમાં કોવિડના અટેક બાદ ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી. ટીમ વગર જ બધાએ રોકાવાનો અને સિરીઝ રમવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ મેચ પૂર્ણ થયા બાદ ધવને શ્રીલંકાના ખેલાડીઓને રમતમાં સુધારો લાવવાની કેટલીક ટીપ્સ પણ આપી હતી.

શિખર ધવને ટીમના ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવા પર કહ્યું હતું કે, આ અમારા માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ હતી. ટીમ વગર અમે નિર્ણય લીધો હતો કે અમે રોકાશું અને સિરીઝ રમીશું. કેપ્ટન તરીકે મને આ સિરીઝમાં ઘણું જ શીખવા મળ્યું. બીજો મેચ તો ખૂબ નજીક હતો. આજે ત્રીજો અમારી બેટીંગ માટે ઓફ ડે હતો. જોકે અમારા બેટ્સમેનો તેમાંથી ઘણું શીખ્યા. અમે આજે ઘણી વિકેટ ગુમાવી દીધી અને અમારી પાસે એક લાંબી બેટીંગ લાઈનઅપ પણ નહોતી. જેથી અમે દબાણમાં આવી ગયા.

મેચ પૂર્ણ થયા બાદ શ્રીલંકાની ટીમના ખેલાડીઓ એક હર્ડલ બનાવીને શિખર ધવન પાસેથી કેટલીક ટીપ્સ લેવા લાગ્યા હતા. ધવન એ ખેલાડીઓની સાથે ઊભો રહ્યો હતો અને તેમને માર્ગદર્શન પૂર્ણ પાડતા કહ્યું હતું, બંને ટીમ સારી સ્પિરીટ સાથે મેચ રમી. શ્રીલંકાના કેપ્ટન અને ખેલાડી ક્રિકેટમાં મારા સફરને જાણવા ઈચ્છતા હતા. જેથી મેં તેમને જણાવ્યું. હું આશા રાખું છું કે તેમને આ સાંભળીને સારું લાગ્યું હશે.

ભારતે વનડે સિરીઝમાં 2-1થી જીત મેળવીને શ્રીલંકાના પ્રવાસની શરૂઆત કરી હતી. એ પછી T20I સિરીઝમાં પણ ભારતે પ્રથમ મેચ જીત્યો હતો. બીજી અને ત્રીજી T20Iમાં ભારતીય ટીમની બેટીંગમાં ધાર નહોતી દેખાઈ. શ્રીલંકામાં પહેલા T20I મેચ બાદ ભારતીય ટીમની ઉપર કોવિડ-19 અટેક થયો હતો. ભારતીય ખેલાડી કૃણાલ પંડ્યા કોવિડ પોઝિટિવ આવતા ટીમના અન્ય આઠ ખેલાડીઓને પણ આઈસોલેશનમાં ખસેડવામાં આવ્યા હતા. ટીમમાં પરિવર્તન આવ્યું હતું અને પાંચ નેટ બોલર્સનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

UAEમાં થનારા T20I વિશ્વકપ પહેલા ભારતની આ છેલ્લી T20I સિરીઝ હતી. હવે અહીંથી સીધી ભારતની ટીમ T20Iના વિશ્વકપમાં રમતી જોવા મળશે. જોકે આ પહેલા ભારતના તમામ ખેલાડીઓ IPLમાં રમતા જોવા મળશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments