Team Chabuk-Gujarat Desk: ક્યાંક રોમન અંકો, ક્યાંક શોધ અને શોધકોના નામ, ક્યાંક વૈજ્ઞાનિક પ્રયોગોમાં ઉપયોગમાં લેવાતા પત્રોના ચિત્રો છે, તો વળી ક્યાંક વેદ-પુરાણોના શ્લોકો, ક્યાંક ગુજરાતી અંગ્રેજી મહિનાઓ દર્શાવતી આકૃતિ દોરાયેલી છે, તો ક્યાંક સમય દર્શાવતી ઘડિયાળ દૃશ્યમાન થાય છે.
અમદાવાદના વિરમગામ તાલુકાના સૂરજગઢ ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં પ્રવેશતાંની સાથે જ આ શાળા અન્ય શાળાઓથી જુદી પડે તેવું અનુભવાય. કારણ કે આ શાળાના વિદ્યાર્થીઓને શાળામાં આવતા જતા, રિસેસમાં રમતા જમતા, શાળા સિવાયના સમયમાં હરતા ફરતા, એમ સરવાળે વર્ગખંડની બહાર ગમ્મત સાથે જ્ઞાન અને વિજ્ઞાનના પાઠ મળી રહે તેવું વાતાવરણ રચવામાં આવ્યું છે.

સૂરજગઢ ગામની પ્રાથમિક શાળામાં 13 માર્ચ 2007થી કાર્યરત શિક્ષક અરવિંદભાઈ વાઘેલાના પ્રયાસોથી શાળાની રોનક બદલાઇ છે. વિદ્યાર્થીઓને ભાર વિનાનું ભણતર પ્રાપ્ત થાય તે હેતુથી તેમણે અભ્યાસક્રમ અને સામાન્ય જ્ઞાનને માત્ર પુસ્તક પૂરતું સીમિત ન રાખી પ્રાથમિક શાળાના પરિસરમાં આવેલી વિવિધ દીવાલો પર જ્ઞાનવર્ધક ચિત્રો કંડારી શાળાને આગવી ઓળખ અપાવી છે.

અરવિંદભાઈ વાઘેલાએ રચનાત્મક ચિત્રોથી શાળાની અદભુત સજાવટ કરી છે. દીવાલો પર છોટા ભીમ ગણિતના દાખલા શીખવતો હોય, ચાર્ટ દ્વારા સરળતાથી ચડતા અને ઉતરતા ક્રમની સમજ, જિલ્લા અને તેના વડા મથકોને અલગ પ્રકારના રંગ, ત્રિકોણ, વર્તુળ જેવા આકારોની નવીન રીતે પ્રસ્તુતિ કરાઈ છે. જેનાથી શાળાના વિદ્યાર્થીઓને શાળા સમય સિવાય પણ રોકાવું પસંદ પડે છે.

સૂરજગઢ પ્રાથમિક શાળાના આચાર્ય નરેશભાઈ જણાવે છે કે, અમે સૌ શિક્ષકો અને સહાયક સ્ટાફ શાળામાં એક પરિવારની જેમ રહીએ છીએ. થોડા વર્ષો પહેલા અરવિંદભાઈએ પ્રયોગાત્મક ધોરણે દીવાલો પર ચિત્રો કંડારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને રાજીખુશીથી સૌએ વધાવ્યો હતો. આજે તેમનાં ચિત્રોને કારણે સૂરજગઢ પ્રાથમિક શાળાને માત્ર અમદાવાદ જ નહીં અન્ય જિલ્લાઓમાં પણ ખ્યાતિ મળી છે. અરવિંદભાઈનો આ કલાત્મક કર્મ-યજ્ઞ અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ છે. આ બાબતે શિક્ષક અરવિંદભાઈ જણાવે છે કે, આપણે ત્યાં શિક્ષકોને માતા સમાન સન્માન આપવામાં આવે છે એટલે જ દેશી ભાષામાં શિક્ષકને ‘મા-સ્તર’ કહેવાય છે. ત્યારે એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં જ્ઞાનની અભિવૃદ્ધિ કરવાની જવાબદારી વર્ગખંડ પૂરતી સીમિત રહેતી નથી, તેવું માનીને શાળાના સમગ્ર પરિસરમાં બાળકોને ચિત્ર સ્વરૂપે શીખ આપવાનો પ્રયાસ કર્યો છે.
આમ, બાળકોને સરળતાથી સમજાય તે પ્રકારે દોરાયેલાં ચિત્રોથી અઘરા વિષય પણ સહેલા બની ગયા છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ પણ અરવિંદભાઈ વાઘેલાના ભણાવવાના આ અનોખા અભિગમની પ્રશંસા કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
