પ્રશ્ન : અત્યારે આપ શું વાંચો છો ?
હું એક સાથે બે ત્રણ પુસ્તકો વાંચતો હોઉં છું. અત્યારે સમરસેટ મોમની ‘‘ટેન નોવેલ્સ એન્ડ ધેર ઓથર્સ’’ વાંચું છું. બીજી મેક્સિકન-અમેરિકન કથાકાર સાન્ડ્રા રિસ્નેરોસની ‘‘ધ હાઉસ ઓન મેંગો સ્ટ્રીટ’’ નામની નુવેલા છે. ત્રીજું પુસ્તક ગાંધીજીનું છે. સંપાદન છે. પુસ્તકનું નામ છે ‘‘હિંદુ ધર્મનું હાર્દ.’’
પ્રશ્ન : અત્યારે કંઈ નવું લખવાનું આયોજન છે ?
હા, એક ફેન્ટેસી પ્રકારની નવલકથા લખવાનું વિચારું છું. ત્રણ પુસ્તકો મારી નજરમાં છે. સર્વેન્ટિસની ‘‘ડોન કિહોટે’’, જોનાથન સ્વિફ્ટની ‘‘ગલિવર્સ ટ્રાવેલ્સ’’ અને લુઈ કેરોલની ‘‘એલિસ ઈન વન્ડરલેન્ડ’’. સાથે મારો અનુભવ, મુંબઈની હાઈ-સોસાયટીનો, મુંબઈના શેરીફ તરીકેનો અને હોસ્પિટલના ઓપરેશન ટેબલ પર એન્જ્યોગ્રાફી વખતે ટીવી સ્ક્રિન પર મારું પોતાનું હ્રદય ધબકતું જોવાનો. શું આવશે એ કંઈ ખબર નથી, પણ કંઈક ચોક્કસ આવશે એ ખબર છે.
પ્રશ્ન : તમારે માટે પૈસાનું કેટલું મહત્વ છે ?
પૈસા ઘણું છે, બધું નથી. પૈસાથી મજા, મસ્તી, મૌજ ખરીદી શકાય છે. કદાચ થોડો આનંદ પણ મેળવી શકાય છે, પણ સુખ માટે પૈસા ગૌણ છે. સુખ મનની સ્થિતિ છે. પણ પૈસા હોય તો આંખો ઝૂકતી નથી, ગરદન ટટાર રહે છે, આકાશ ઉપર ચાલ્યું જાય છે. સિંધીમાં કહેવત છે : ઊંટ એક પૈસે મળતો હતો ત્યારે મોંઘો હતો અને સો રૂપિયે મળે છે ત્યારે સસ્તો છે! કારણ કે, એ વખતે ખિસ્સામાં એક પૈસો ન હતો, આજે સો રૂપિયા છે! પૈસાથી ખરીદી કરનાર જો વસ્તુની કિંમત જ જુએ અને વસ્તુનું મુલ્ય ન સમજે તો એની દયા ખાવી જોઈએ.
પ્રશ્ન : મજાની ક્ષણ ?
વરસાદી સાંજે, વ્હિસ્કીનો ગ્લાસ, ફરીદા ખાનમનો અવાજ, ઉપર ઝૂલતું કટલેસનું ઝુમ્મર, રેશમી કબાબ અને ખામોશ બેઠેલી સ્ત્રી.
પ્રશ્ન : આદર્શ દિવસની તમારી કલ્પના ?
પથારીની બહાર ન નીકળવું, વાંચવું, ખાવું, સૂવું. ફરીથી વાંચવું, ખાવું, સૂવું અને ટેલિફોનનું ન વાગવું. અને મરી ગયેલા એકાદ દોસ્ત સાથે ઊંઘમાં વાતો કરવી.
પ્રશ્ન : મૃત્યુનો ડર લાગે છે ?
દોસ્તોને ચિત્તાઓ પર જલાવી દીધા પછી 70માં વર્ષમાં પ્રવેશ કર્યા પછી, મૃત્યુ પાંચ-સાત વર્ષ દૂર ઊભું રહેલું દેખાઈ રહ્યું છે. કોઈ લાંબા દર્દમાં શરીર ફસાઈ જાય અથવા શરીર અપંગ થઈ જાય અથવા જલ્દી મરી ન શકાય એવી શક્યતાઓ ક્યારેક ધ્રૂજાવી જાય છે. પણ આવતી કાલના કલ્પિત ભયના પડછાયામાં આજની રોશની જિંદગી બુઝાવીને ખૂણામાં ઘૂસી જવું એ મારી પ્રકૃતિ નથી. ઝીરો-ઝીરો-સેવનના સર્જક ઈયાન ફ્લેમિંગે મરતી વખતે કહ્યું હતું, ઈટ્સ અ લાર્ક! (જીવવાની) બહુ મજા પડી ગઈ! ઈચ્છું છું મને પણ એ અંતિમ ક્ષણે એવી જ કોઈક ફિલિંગ થાય!
પ્રશ્ન : ઈશ્વરમાં માનો છો ?
ના અને હા. ઈશ્વર એ માણસે કલ્પના કરેલું કલ્પન છે. માણસે સર્જેલું એક સર્જન છે. હું ઈશ્વરમાં માનતો નથી. પણ નિયતિ, પ્રોવિડન્સ, કિસ્મત, પ્રાક્તન, ભવિતવ્ય, ભાગ્ય, નસીબ, ફેટ…મનુષ્યનો જેના પર અંકુશ નથી એવું કંઈક ચોક્કસ છે. ગ્રીક નાયકની જેમ તમારો વિનાશ નિશ્ચિત છે, પણ તમે મૃત્યુ સાથે શતરંજ રમો છો, તમારું એકએક મહોરું કતલ થતાં પહેલા લડી લે છે. અને એ શતરંજના નિયમ પ્રમાણે તમે મૃત્યુથી મુકાબિલ થાઓ છો. પછી રંજ નથી રહેતો પરાજયનો. લોસ એન્જેલિસ ઓલિમ્પિક્સ વખતે જબરદસ્ત પ્રયત્ન કરવા છતાં એક સેકન્ડના પણ અંશથી પી.ટી.ઉષા ચોથી આવી અને એને એક પણ ચંદ્રક મળ્યો નહીં ત્યારે શ્રીમતી ઈન્દિરા ગાંધીએ ઉષાને કહ્યું હતું : ઉષા! તું જીતી ગઈ છે, દેશ હારી ગયો છે! જિંદગી સમેટી લેવાનો દિવસ આવશે ત્યારે હું પણ કહી શકીશ : હું જીતી ગયો છું, જિંદગી હારી ગઈ છે…
પ્રશ્ન : તમારા વ્યક્તિત્વની સૌથી મોટી ખામી ?
બધા ઉપર વિશ્વાસ કરવો!
પ્રશ્ન : તમારો સૌથી મોટો ગુણ ? અને સૌથી મોટો અવગુણ ?
જિદ એ મારો સૌથી મોટો ગુણ છે અને જિદ એ મારો સૌથી મોટો અવગુણ છે.
પ્રશ્ન : ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં તમે કંઈ નવીનતા લાવ્યા હો એવું તમને લાગે છે ?
મારાં પુસ્તકોમાં હું પ્રસ્તાવનાઓ લખતો નથી. (152 પુસ્તકોમાંથી ચાર-પાંચ પુસ્તકોમાં જ પ્રસ્તાવના છે.) અર્પણ કરતી વખતે હું કોઈ વિશેષણ એ વ્યક્તિ માટે વાપરતો નથી. માત્ર નામ જ લખું છું. દરેક પુસ્તકમાં મારા દરેક પૂર્વ-પ્રકાશિત પુસ્તકનું નામ અને પ્રકાશનવર્ષ લખું છું. પુસ્તકના જેકેટ પર મારી સહી એક ‘‘લોગો’’ બની ચૂકી છે. છેલ્લા પૂંઠા પર ફોટો મૂકવાનું મેં શરૂ કર્યું હતું. જે હવે ઘણા બધા લેખકો પણ કરવા લાગ્યા છે. હું ક્યારેય જૂનો જવાનીનો ફોટો મૂકતો નથી. મારો લેટેસ્ટ સફેદ વાળ અને ચહેરા પર ઝૂરીઓવાળો ફોટો છપાય એનો આગ્રહ રાખું છું. નવલકથાના દરેક પ્રકરણ અથવા કોલમના દરેક લેખની એક શિસ્તબદ્ધ, વ્યવસ્થિત સાઈઝ હોય છે. દરેક તંત્રીને મારી સાનુરોધ વિનંતી હોય છે કે મારા વિશે એક પણ પત્ર પુરસ્કારનો કે તિરસ્કારનો, ‘‘વાંચકોના પત્રો’’માં ન છાપે. એક કોલમના લેખ સાથે ફોટો (જે આંતરાષ્ટ્રીય નિયમ છે), અંતે ‘‘ક્લોઝ અપ’’ શીર્ષકમાં એક મુખ્ય અને વિસર્ગ પછી બીજું પેટાશીર્ષક (જે અમેરિકન પ્રથા છે) છાપવાનું ગુજરાતીમાં મેં શરૂ કર્યું હતું.
પ્રશ્ન : અંતે…?
લગભગ 60 વર્ષ પહેલાં પંકજ મલ્લિકે એક ફિલ્મમાં ગાયેલા એક ગીતની લીટી હજી યાદ છે. યહ ન પૂછો ક્યા ન પાયા/ યહ પૂછો ક્યા મિલ ગયા…
[તારીખ હતી સપ્ટેમ્બર 22, 2001ની જ્યારે અભિયાન મેગેઝિનમાં ચંદ્રકાંત બક્ષીએ ગાર્ડિયન શૈલીમાં પોતાનો જ ઈન્ટરવ્યૂ લઈ લખ્યો હતો. ઈંગ્લેન્ડનું વર્તમાન પત્ર ગાર્ડિયન જેનું આ પહેલા નામ મેન્ચેસ્ટર ગાર્ડિયન હતું, તેમાં અભિનેતાઓથી લઈ વિવિધ કલાકારોના આવા ઈન્ટરવ્યૂ છપાતા હતા. ઓગસ્ટ 2003ના રોજ ચંદ્રકાંત બક્ષીની વર્તમાન શ્રેણીના એક સાથે ચાર પુસ્તકો પ્રગટ થાય છે. મૌજ અને શોખ, દૂધમાં લોહીનાં ટીપાં, મીડિયા, કાવ્ય, સાહિત્ય અને રાજનીતિ અને અનીતિકરણ. આ ચારે પુસ્તકોમાં વર્ષ 2000થી 2002 સુધી લખાયેલા લેખોનો સંગ્રહ છે. આ સાક્ષાત્કાર તમને ‘‘મૌજ અને શોખ’’ પુસ્તકમાં વાંચવા મળશે.]