Homeગામનાં ચોરેડીએપી ખાતરના ભાવ મામલે સરકારની મોટી જાહેરાત, હવે આટલા રૂપિયામાં મળશે ખાતર

ડીએપી ખાતરના ભાવ મામલે સરકારની મોટી જાહેરાત, હવે આટલા રૂપિયામાં મળશે ખાતર

Team Chabuk-National Desk: ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા ઘણા દિવસથી રાસાયણિક ખાતરના ભાવ વધારા મુદ્દે વાદ-વિવાદ ચાલી રહ્યો હતો તેનો આજે અંત આવ્યો છે. સરકારે રાસાયણિક ખાતર પર મળતી સબસિડીમાં વધારો કરી દીધો છે. જેથી ખેડૂતોને ખાતર પર વધુ કિંમત ચૂકવવી નહીં પડે. કેન્દ્ર સરકાર ખાતર પર આપવામાં આવતી સબસિડીની ટકાવારી વધારવાનો નિર્ણય લીધો છે. જેથી ખેડૂતો પણ હાશકારો અનુભવી રહ્યા છે.

કેન્દ્ર સરકારે ખાતર પર અપાતી સબસિડી વધારવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આતંરરાષ્ટ્રીય બજારમાં ખાતરની કિંમતોમાં વધારો થવાથી ખાતરના ભાવ વધારાની વાતો ચાલી રહી હતી. ખાતર બનાવતી કંપનીઓએ ખાતરની કિંમતમાં તોતિંગ 58 ટકા સુધીનો વધારો પણ ઝીંકી દીધો હતો. ખાતરમાં ભાવ વધવાથી ખેડૂતોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો હતો. ખેડૂતો આ ભાવ વધારાને પાછો ખેંચવા માટે સરકાર સમક્ષ ઘણા સમયથી માંગણી કરી રહ્યા હતા. જેથી અંતે સરકારે ખાતર પર અપાતી સબસિડીમાં વધારો કરીને ખેડૂતોને મોટી રાહત આપી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરની કિંમતોમાં વધારો થયો હોવા છતાં ખેડૂતોને ડીએપી ખાતરની થેલી 1200 રૂપિયામાં જૂના ભાવથી જ મળશે. ભાવ વધારાનો આ બોઝ કેન્દ્ર સરકાર ભોગવશે. હવેથી કેન્દ્ર સરકારે ખાતરની થેલી પર 140 ટકા સબસિડી વધારી છે. જેથી ખેડૂતોને 50 કિલોની ખાતરની થેલી 1200 રૂપિયામાં જ મળી રહેશે. પહેલાં ખેડૂતોને એક ખાતરની થેલી પર 500 રૂપિયા સબસિડી સરકાર તરફથી મળતી હતી. પરંતુ 140 ટકા સબસિડી વધારાતા હવે એક થેલી દીઠ 500 રૂપિયાના બદલે 1200 રૂપિયા સબસિડી મળશે. આમ ભાવ વધારા બાદ જે ડીએપી ખાતરની થેલી 2400 રૂપિયામાં ખેડૂતોને મળવાની હતી તે હવે 1200 રૂપિયામાં જ મળશે.

કેન્દ્ર સરકારે ખેડૂત હિતમાં નિર્ણય લઈને આ સબસિડીમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકાર આ સબસિડી પાછળ 14,775 કરોડનો બોજ પડશે.

આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધ્યા છે છતાં ખેડૂતોને જૂના ભાવથી ખાતર મળશે. ખેડૂતોનું કલ્યાણ સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા છે. સરકાર ખેડૂતોના જીવનને વધુ સારું બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેથી આતંરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધવા છતાં અમે ખેડૂતોને જૂના ભાવથી ખાતર આપવાનો નિર્ણય લીધો છે. આજના આ નિર્ણય પછી ડીએપી ખાતરની એક બેગ 2400 રૂપિયાની જગ્યાએ 1200 રૂપિયામાં જ મળશે.

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પણ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, સરકાર દર વર્ષે રાસાયણિક ખાતરની સબસિડી પાછળ લગભગ 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ આ વધારો અત્યાર સુધીનો સૌથી વધુ છે. ડીએપી ખાતરની થેલી પર આટલી સબસિડી પ્રથમ વખત વધારવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments