Team Chabuk-Political Desk: મધુ શ્રીવાસ્તવે આજે વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ સમયે મધુ શ્રીવાસ્તવે કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે કોઈનાથી ડરતા નહીં, આ બાહુબલી હજી જીવે છે. કોઈ તમારો કોલર પણ પકડે ને તો તેના ઘરે જઈને ગોળી ન મારું તો મધુ શ્રીવાસ્તવ નહીં. જેને લડવું હોય એ મેદાનમાં આવી જાય. કોઈનાથી ડરવાની જરૂર નથી. હિન્દુસ્તાન આઝાદ છે, કોઈ ધમકી આપતું હોય કે આ કરીશ, એ કરીશ તો હું છું, ડરવાની જરૂર નથી. આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વાઘોડિયા અને વાઘોડિયામાં ગેરકાયદે મકાનો છે એને કાયદેસર કરી આપીશ, એ મારું વચન છે.
ભાજપે ટિકિટ ન આપતાં 4 દિવસ પહેલાં જ વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મારી ટિકિટ કપાતાં મારા કાર્યકરો રોષે ભરાયા હતા, જેથી હું ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું અને હું આજે ભાજપને રામ રામ કહું છું. પાર્ટીએ મને ધારાસભ્ય તરીકે સેવાની તક આપી, પરંતુ ભાજપે ઉમેદવારી માટે ટિકિટ ન ફાળવતાં હવે હું સમાજની સેવા કરવા માગું છું અને મારા 500 કાર્યકરો સાથે ભાજપમાંથી રાજીનામું આપું છું.
વડોદરા જિલ્લાની 5 બેઠક પૈકી વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને જિલ્લા ભાજપપ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવતાં મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપી દેતાં વાઘોડિયા સહિત જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
1995માં વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ કબજો જમાવી બેઠેલા મધુ શ્રીવાસ્તવ પર ભાજપે 2022ની વર્તમાન વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ કાપીને બ્રેક મારી છે, ત્યારે મધુ શ્રીવાસ્તવે પોતાનું આર્થિક અને રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભાજપમાંથી રાજીનામું આપીને અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.
મધુ શ્રીવાસ્તવની છાપ ‘દબંગ’ અને ‘બાહુબલી’ નેતાની છે. મધુ શ્રીવાસ્તવના પિતા બાબુભાઈ શ્રીવાસ્તવ ભારતીય સેનામાં હતા. મધુ શ્રીવાસ્તવના લગ્ન સવિતાબેન સાથે થયા હતા અને તેમને 2 સંતાન દીપક અને વિજયાલક્ષ્મી છે. વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા કોકણ ફળિયાના તેઓ મૂળ રહેવાસી છે. હાલ ત્યાં પણ તેમનું મકાન છે. તેમણે 1975માં ધોરણ-10 પાસ કર્યું છે. 1979માં રેલવેમાં ટ્રકડ્રાઇવર તરીકે નોકરી શરૂ કરી હતી. ત્યાર બાદ 1982માં રાજકારણમાં પગરણ માંડ્યાં હતાં. 1982માં વડોદરા કોર્પોરેશનમાં વાડી બેઠક ઉપરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીતી આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
