Homeસિનેમાવાદતાંડવમાં એવો કયો સીન છે કે ભાજપના નેતાઓ હટાવવાની માગ કરી રહ્યા...

તાંડવમાં એવો કયો સીન છે કે ભાજપના નેતાઓ હટાવવાની માગ કરી રહ્યા છે ?

ઝાલાવાડી જલજીરા : કોરોનાના કારણે સિનેમાઘરો બંધ હોવાથી ઓટીટી પ્લેટફોર્મ પર વેબસિરીઝનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. ગત વર્ષે ઘણી બધી વેબસિરીઝો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ. ઓટીટી પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારની સેન્સરશિપ નથી. તેથી તેમાં ન્યૂડ સીન, ગાળોથી ભરપૂર ડાયલોગ હોય છે. ઘણી વખત અનેક લોકોએ કેટલીક વેબસિરીઝના ડાયલોગ અને દ્રશ્યો સામે વાંધો પણ ઉઠાવ્યો. પરંતુ નિયંત્રણ ન હોવાથી ખાસ કોઈ પરિણામ મળતું નથી. હવે વિરોધના વાયરામાં ફસાઈ છે તાંડવ. પોલિટીકલ ડ્રામા વેબ સિરીઝ તાંડવ પર હવે વિવાદ શરૂ થયો છે. સૈફ અલી. ખાન, ડિમ્પલ કાપડીયા, સુનિલ ગ્રોવર, તિગ્માંશુ ધુલિયા, ગૌહર ખાન, અનુપ સોની જેવા દમદાર કલાકારોથી સજ્જ આ વેબ સિરીઝ પર હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.

કોણે લગાવ્યો આરોપ

શુક્રવારે તાંડવ રિલીઝ થઈ. રિલીઝ થઈ તે પહેલાંથી જ કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ હવે વિરોધના મેદાનમાં પડ્યા છે ભાજપના ધારાસભ્ય. નામ છે રામ કદમ. રામ કદમ મહારાષ્ટ્રના ઘાટકોપરથી ધારાસભ્ય છે. રામ કદમે ટ્વિટ કરીને તાંડવનો વિરોધ નોંધાવતા લખ્યું કે, આખરે કેમ દરેક વખતે ફિલ્મોમાં અને વેબસિરીઝમાં હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવાનું કામ કરવામાં આવે છે. તાજુ ઉદાહરણ વેબસિરીઝ તાંડવ છે. સૈફ અલી ખાન ફરી એકવાર આવી ફિલ્મનો ભાગ બન્યો છે જેમાં હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચે છે.

રામ કદમે સીધે સીધો સૈફ અલી ખાનને નિશાને લીધો. સાથે જ તેમણે તાંડવ વેબ સિરીઝના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરને વેબ સિરીઝમાંથી ભગવાન શિવની મજાક ઉડાવતો સીન કાઢી નાખવા કહ્યું છે. અને એક્ટર જીશાન આયુબ પાસે પણ માફી માંગવાની માગ કરી છે. રામ કદમે કહ્યું કે જ્યાં સુધી વેબ સિરીઝના સીનમાં બદલાવ નહીં કરવામાં આવે ત્યાં સુધી તાંડવનો બહિષ્કાર કરવામાં આવશે.

રામ કદમ ઉપરાંત ભાજપના સાંસદ મનોજ કોટકે પણ તાંડવ વેબ સિરીઝને લઈને સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો છે. પત્ર લખીને મનોજ કોટકે ઝડપથી પગલાં ભરવાની માગ કરી છે. મનોજ કોટક માની રહ્યા છે કે તાંડવ વેબસિરીઝમાં હિંદુ વિરોધી કન્ટેન્ટ છે અને હિંદુઓની ભાવનાઓને ભડકાવવાની કોશિશ કરવામાં આવી છે.

મનોજ કોટકે ટ્વિટ કરીને લખ્યું કે, ઓટીટી પ્લેટફોર્મને સેન્સરશિપ જેવું કોઈ બંધન નથી. પરંતુ તેના કારણે સતત હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચે તેવું કરવામાં આવી રહ્યું છે. હું તેની નિંદા કરું છું. મેં આ માટે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર સાથે વાત કરી છે. તેઓને મેં અપીલ કરી છે કે ભારતની અખંડિતતાને બચાવી રાખવા માટે ઓટીટી કન્ટેન્ટને નિયંત્રણમાં લેવાની વ્યવસ્થા બનાવવામાં આવે. અમે લોકો ખૂબ ઝડપથી આ દિશામાં આગળ વધી રહ્યા છીએ.

#BOYCOTTTANDAV કરી રહ્યું છે ટ્રેન્ડ

વેબસિરીઝ તાંડવ રિલીઝ થયાના બે દિવસ થયા છે પરંતુ વિરોધનો વંટોળ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકો તાંડવ વેબ સિરીઝનો વિરોધ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર #BOYCOTTTANDAV ટ્રેન્ડ કરી રહ્યું છે. વેબ સિરીઝમાંથી જીશાન આયુબનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં તે ભગવાન શિવ બનીને એક્ટિંગ કરી રહ્યો છે. આ વીડિયોમાં જીશાન આયુબ કેમ્પસમાં વિદ્યાર્થીઓની આઝાદીની વાત કરી રહ્યો છે. તે કહે છે કે આ વિદ્યાર્થીઓને દેશમાં રહીને આઝાદી જોઈએ છે. દેશથી આઝાદી નથી જોઈતી. આ વાઈરલ વીડિયોને જેએનયુના પૂર્વ વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ કન્હૈયા કુમાર સાથે જોડવામાં આવી રહ્યો છે.

ઓટીટી પ્લેટફોર્મ પર સરકારની નજર

ગત વર્ષે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ મીડિયાને સરકારના નિયંત્રણ હેઠળ લાવવાની વાત કરવામાં આવી હતી. ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ મીડિયાને રેગ્યુલેટ કરવા માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments