Team Chabuk-National Desk: કોરોના જેટલો શારિરીક રીતે ભાંગી નાખે છે એટલો જ માનસિક રીતે પણ આપણને અસર કરે છે. જો મગજમાં સતત કોરોનાના વિચારો કર્યા કરીએ તો તેની અસર શરીરમાં થાય છે. તેથી મગજને કોરોનાથી દૂર રાખી અન્ય વિચારોમાં પરોવી રાખવાથી ઝડપથી સાજા થઈ જવાતું હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના બૈતૂલમાંથી સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ કોરોનાને પોતાના વિચારોમાંથી દૂર રાખીને કોરોનાને હરાવ્યો છે.
મધ્યપ્રદેશના બૈતૂલમાં એક ખેડૂત પરિવારે માત્ર આઠ દિવસમાં કોરોનાને મ્હાત આપી છે અને કોવિડ સેન્ટરમાંથી રજા લઈ ઘરે આવી ગયો છે. આ શક્ય બન્યું છે સકારાત્મક વિચારોને કારણે. પરિવારના ત્રણેય સભ્યોએ કોવિડ સેન્ટરમાં કોરોનાના વિચારો કરવાને બદલે ખેતીનું પ્લાનિંગ કર્યું. પરિવારના ત્રણેય સભ્યોએ કોવિડ સેન્ટરને પ્લાનિંગ સેન્ટર બનાવી દીધું અને મગજમાં ખોટા વિચારો લાવવાને બદલે ખેતી કઈ રીતે કરવી તેનું પ્લાનિંગ કરતાં રહ્યા. બસ આવા વિચારોના કારણે જ તેઓ માનસિક રીતે મજબૂત રહ્યા અને માત્ર આઠ દિવસમાં કોરોનાને હરાવ્યો.
બૈતૂલનો આ ખેડૂત પરિવારમાં પતિ-પત્નીને શૂગર હતું અને દીકરો પણ કોરોનાથી સંક્રમિત થયો હતો. જેથી પહેલાં મૂંઝવણ ઉભી થઈ હતી. પરંતુ ત્રણેયે પ્રથમ તો એવું વિચારવાનું જ બંધ કરી દીધું કે તેઓને કોરોના થયો છે. મેહતો દંપતી અને તેમનો દીકરો આમ સકારાત્મક વિચારોના કારણે ગણતરીના દિવસોમાં જ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા. હાલ તેઓ કોવિડ સેન્ટરમાંથી ઘરે આવી ગયા છે.
મેહતો પરિવારના શિવમ મેહતોએ જણાવ્યું કે મારા કાકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મમ્મી-પપ્પા અને મેં 10 એપ્રિલના રોજ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતાં 11 એપ્રિલે મારા મમ્મી અને પપ્પાને શાહપુરના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમે કોવિડ વોર્ડમાં ડોક્ટરની દેખરેખ નીચે તમામ નિયમોનું પાલન કર્યું. 18 એપ્રિલે અમારા ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવતા અમને રજા આપી દેવામાં આવી અને સ્વસ્થ થઈને અમે ઘરે પરત ફર્યા.
શિવમ મેહતોએ જણાવ્યું કે મમ્મી-પપ્પાને શૂગરની તકલીફ હોવાથી થોડો ડર લાગ્યો પરંતુ કોવિડ સેન્ટરમાં અમે હિંમત ન હારી. કોવિડ વોર્ડમાં અમે સકારાત્મક પ્રવૃત્તિઓ કરતાં, અમારા ખેતીના કામ વિશે વિચારવામાં મગજને કામે લગાડ્યું. અમે મગજમાંથી કાઢી નાખ્યું કે અમને કોરોના થયો છે.
શિવમના માતા રેખા મેહતોએ જણાવ્યું કે, મારો, મારા પતિ અને દીકરાનો રિપોર્ટ એકસાથે પોઝિટિવ આવતા 11 એપ્રિલે અમે કોવિડ વોર્ડમાં દાખલ થયા. પતિ અને દીકરાનો રિપોર્ટ પોઝિટિવ હોવાથી મારી હિંમત તૂટી રહી હતી પરંતુ ડોક્ટરોએ અમારી સારી દેખરેખ રાખી તેથી કોરોના સામેની જંગ માટે અમારામાં હિંમત જાગી.
સકારાત્મક વિચારોથી કોરોનાને મ્હાત આપવામાં સફળ થનાર મેહતો દંપતી અને તેમનો દીકરો હવે અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. તેઓ સૌને અપીલ કરી રહ્યા છે કે આત્મવિશ્વાસ અને હિંમત બનાવી રાખે, કોરોના હારી જશે. લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવો અને જો પોઝિટિવ હોય તો ડર બિલકુલ કાઢી નાખો. જો તમે તમારા પર વિશ્વાસ નહીં કરો તો કોરોના તમારા પર હાવી થઈ જશે. તેથી વિશ્વાસ બુલંદ રાખો કે તમે કોરોનાને હરાવશો. આમ મેહતો પરિવાર અન્ય લોકોને પણ સકારાત્મક વિચારો કરવાની પ્રેરણા આપી રહ્યા છે અને કોરોના સામે લડવા માટે લોકોને જાગૃત કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત