Homeગામનાં ચોરેતો પ્રથમ વેક્સિન ગાંધી પરિવારને જ મળી હોત

તો પ્રથમ વેક્સિન ગાંધી પરિવારને જ મળી હોત

Team Chabuk- National Desk: દેશભરમાં કોરોનાનું રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે ભાજપ-કોંગ્રેસ વચ્ચે વેક્સિનને લઈને શાબ્દિક યુદ્ધ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લીધા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યોરોપનો દોર વધી ગયો છે. વડાપ્રધાને વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો ત્યારથી જ કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન અને ભાજપ સામે અલગ અલગ રીતે પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના આ પ્રહાર સામે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.

નવી દિલ્હીમાં આવેલા ભાજપના મુખ્યાલયે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસના મોટા નેતાઓ રાહુલ ગાંધીને સવાલ પૂછવા માગે છે પરંતુ વિપક્ષની જવાબદારીઓથી દૂર ભાગી રહ્યા છે. જુઠ, ભ્રમ અને અરાજકતાની રાજનીતિ તેઓ કરે છે તે જનતાની સામે આવવી જોઈએ.

જે પ્રકારે કોંગ્રેસ દ્વારા વેક્સિન પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે તેના જવાબમાં ગૌરવ ભાટિયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની એજન્સી ICMR, આરોગ્ય મંત્રાલય, વૈજ્ઞાનિકોએ મળીને એક વર્ષથી ઓછા સમયમાં દેશને બે વેક્સિન આપી છે. આ કોઈ નહીં ભૂલે કે કેવી રીતે કોંગ્રેસના મોટા નેતાઓએ ભારતીય વેક્સિન પર સવાલો ઉઠાવ્યા છે.

વિપક્ષ દ્વારા શરૂઆતમાં કો-વેક્સિનને દેશની વેક્સિનને બદલે ભાજપની વેક્સિન કહીને પણ વિરોધ કર્યો હતો પરંતુ આજે ગર્વની વાત છે કે આ કો-વેક્સિનના 10 લાખ ડોઝ લોકોને આપવામાં આવી ચૂક્યા છે.

વિપક્ષોને પીડા થઈ રહી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લગાવ્યા બાદ કોંગ્રેસ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જેને વળતો જવાબ આપતા ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, જે લોકો પહેલાં કહેતાં હતાં કે વડાપ્રધાન કેમ વેક્સિન નથી લેતાં. તેઓ વેક્સિનની ગુણવત્તા પર ભ્રમ ફેલાવતા હતા. પરંતુ તેમની આ ભ્રમજાળ વડાપ્રધાને વેક્સિન લીધા પછી ખતમ થઈ ગઈ છે. તેમ છતાં વિપક્ષી પાર્ટીઓને પીડા થઈ રહી છે.

ગૌરવ ભાટિયાએ કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર પણ વેક્સિનને લઈને પ્રહાર કર્યા. ગૌરવ ભાટિયાએ કહ્યું કે, અમે વીવીઆઈપી કલ્ચરને તોડીને પ્રાથમિકતાના ધોરણે લોકોના જીવ બચે તે માટે વેક્સિન આપવાની શરૂઆત કરી. પરંતુ વિચાર કરી જુઓ કે જો કોંગ્રેસની સરકાર હોત તો સૌથી પહેલાં વેક્સિન ગાંધી પરિવારને મળેત અને આ તેમનો જન્મ સિદ્ધ અધિકાર પણ માનવામાં આવેત. ત્યારબાદ તેમના કાર્યકર ભલામણ પત્ર લઈને આવેત અને તેઓને વેક્સિન મળી હોત. પરંતુ અમારા માટે ગર્વની વાત છે કે પ્રથમ ચરણમાં જે વેક્સિન લગાવવામાં આવી તે કોરોના વોરિયર્સને લગાવવામાં આવી.

મહત્વનું છે કે 1લી માર્ચે બીજા તબક્કાના રસીકરણનો પ્રારંભ થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. ત્યારબાદકોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ વડાપ્રધાન પર સવાલ કરતાં કહ્યું હતું કે, વૈજ્ઞાનિકો આ વેક્સિનનો સુરક્ષિત કહી રહ્યા હતાં તેમ છતાં વડાપ્રધાને કેમ સૌથી પહેલાં વેક્સિન લીધી નહીં.

વેક્સિનને લઈને સરકાર સામે થઈ રહેલા સતત સવાલો બાદ આજે ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસને વળતો જવાબ આપ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments