Homeગામનાં ચોરેદેશના લોકોને ગર્વ થશે કે જે બન્ને વેક્સિનને મંજૂરી મળી છે તે...

દેશના લોકોને ગર્વ થશે કે જે બન્ને વેક્સિનને મંજૂરી મળી છે તે ભારતમાં જ બની છે

નવા વર્ષે એક બાદ એક ખુશખબરી આવી રહી છે. 2021ના પ્રથમ દિવસે જ ભારતમાં પ્રથમ વેક્સિનને મંજૂરી મળ્યા બાદ હવે બીજી વેક્સિનના ઉપયોગને પણ લીલીઝંડી આપી દેવામાં આવી છે. DGCIએ સીરમ ઈન્સ્ટિટ્યૂટની વેક્સિન કોવિશીલ્ડને અને ભારત બાયોટેકે વિકસાવેલી કોવેક્સિનને આકસ્મિક ઉપયોગ માટે મંજૂરી આપી છે. હવે આ બન્ને વેક્સિન દેશભરમાં લોકોને આપવામાં આવશે. SECએ 1 જાન્યુઆરીના રોજ સૌપ્રથમ કોવિશીલ્ડ વેક્સિનના આકસ્મિક ઉપયોગ માટે અને 2 જાન્યુઆરીએ કોવેક્સિનના ઉપયોગ માટે મંજૂરી આપવા માટે DGCIને રજૂઆત કરી હતી. જે બાદ આજે DGCI બન્ને વેક્સિનના દેશભરમાં આકસ્મિક ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

કોવિશીલ્ડ અને કોવેક્સિનના ઉપયોગને મંજૂરી મળતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખુશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે કહ્યું કે, ‘દેશના લોકોને ગર્વ થશે કે જે બન્ને વેક્સિનને મંજૂરી મળી છે તે ભારતમાં જ બની છે.’ વડાપ્રધાને વેક્સિન માટે મહેનત કરી રહેલા વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાને પણ અભિનંદન પાઠવ્યા છે.

કોરોના વેક્સિનની મંજૂરી પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, DCGIએ 2 વેક્સિનને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ વેક્સિનેશન શરૂ કરીશું. 4 તબક્કા નક્કી કરવામાં આવ્યા છે. તમામ સર્વે પૂર્ણ થયા છે, ચાર તબક્કાના લીસ્ટ પણ તૈયાર છે. વેક્સિન આવ્યા બાદ તાત્કાલિક વેક્સિનેશન શરૂ થશે. પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર, ડોક્ટર,નર્સને વેક્સિન અપાશે. બીજા તબક્કામાં કોરોનાકાળમાં કામ કરનારા કર્મીઓને વેક્સિન આપવામાં આવશે. ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને વેક્સિન અપાશે અને ચોથા તબક્કામાં ગંભીર બીમારીવાળા 50 વર્ષથી ઓછી ઉમરવાળાને વેક્સિન આપવામાં આવશે.

DGCIના નિર્દેશક વીજી સોમાનીએ જણાવ્યું કે, ‘બન્ને વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેનો ઉપયોગ આકસ્મિક પરિસ્થિતિમાં કરી શકાશે.’ DGCIના જણાવ્યા મુજબ બન્ને વેક્સિનના બે-બે ડોઝ ઈન્જેક્શન મારફતે આપવામાં આવશે.

DGCIના નિર્દેશક વીજી સોમાનીએ કહ્યું કે, ‘સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)એ 1 જાન્યુઆરી અને 2 જાન્યુઆરીના રોજ કોવિશીલ્ડ અને કોવેક્સિનને આકસ્મિક ઉપયોગ માટેની મંજૂરી આપવા રજૂઆત કરી હતી. ત્યારબાદ બન્ને વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી અપાઈ છે.’

DGCIએ જણાવ્યા મુજબ સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડને ક્ષમતા 70.42 ટકા હતી. જે બીજા દેશમાં કરેલા અભ્યાસની સાથે મેચ થતાં હતા. DGCIએ કહ્યું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા આ વેક્સિન ઉપર દેશભરમાં ક્લિનિકલ ટ્રાયલ ચાલુ રહેશે.

DGCI કેવી રીતે આપે છે વેક્સિનને મંજૂરી ?

DGCI એટલે કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા જ્યારે કોઈ દવા, ડ્રગ, વેક્સિનને અંતિમ મંજૂરી આપે તે પહેલાં ઘણો અભ્યાસ કરતી હોય છે. મંજૂરી આપતા પહેલાં કોઈ દવા કે વેક્સિનના ટ્રાયલના આંકડા તપાસવામાં આવે છે. જે તે કંપની DGCI સમક્ષ સંપૂર્ણ આંકડાકીય માહિતી સાથેનું પ્રેઝન્ટેશન મૂકતી હોય છે. અને જો સમગ્ર રિપોર્ટથી DGCIને સંતોષ લાગે પછી જ વેક્સિન કે દવાને ઉપયોગમાં લેવાની મંજૂરી આપવામાં આવતી હોય છે.

દેશભરમાં ડ્રાય રન

નવા વર્ષની શરૂઆતથી જ વેક્સિન અંગેના સારા સમચાર મળતા પ્રજાને પણ હાશકારો થયો છે સાથે સરકાર પણ દેશભરમાં રસીકરણ માટેની તૈયારીમાં લાગી ગઈ છે. 2 જાન્યુઆરીથી કોરોનાની વેક્સિનનું ડ્રાય રન શરૂ કરી દેવાયું છે. ડ્રાય રનનું પરિણામ પણ સકારાત્મક મળી રહ્યું છે. કોરોના વેક્સિનને સ્ટોર કરવાની પ્રક્રિયા બાદ દેશભરમાં શનિવારથી રસીકરણની પ્રક્રિયા માટે ડ્રાય રન શરૂ થઈ ગયું છે. જેથી ઝડપથી દેશભરમાં રસીકરણ શરૂ થઈ જવાની આશા સેવાઈ રહી છે.

વોટિંગ બુથની માફક વેક્સિન બુથ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ગઈકાલે જણાવ્યું હતું કે, ‘મતદાર યાદી પ્રમાણે તૈયાર કરાયેલી યાદી મુજબ દેશમાં રસીકરણ કરાશે. વોટિંગ બુથની માફક તૈયાર કરાયેલા વેક્સિન બુથ પર હાલ તાલીમ આપવામાં આવી રહી છે. દેશના 719 જિલ્લામાં 57 હજારથી વધુ લોકોને રસીકરણ અંગેની તાલીમ અપાઈ છે.’

કેવા હશે વેક્સિન બુથ ?

સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર પોલિંગ બુથની માફક વેક્સિન બુથ હશે. દેશભરમાં જે વેક્સિન બુથ ઉભા કરાશે તેમાં અલગ વેઈટિંગ રૂમ, વેક્સિન માટેનો રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ હશે. વેક્સિન બુથ પર પ્રવેશ મેળવતી વખતે જે તે વ્યક્તિનું ટેમ્પરેચર સહિતની ચકાસણી થશે ત્યારબાદ વેઈટિંગ રૂમમાં બેસવાનું રહેશે. ત્યારબાદ વેરિફિકેશન કરાવવાનું રહેશે. વેરિફિકેશન થઈ ગયા બાદ વેક્સિન રૂમમાં વેક્સિન અપાશે. વેક્સિન અપાઈ ગયા બાદ જે-તે વ્યક્તિને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે. એક વેક્સિન બુથ પર પાંચ નિષ્ણાતની ટીમ હશે.

કોને મળશે પહેલાં રસી ?

સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને શનિવારે જણાવ્યું હતું કે, ‘હાલ સરકારની પ્રાથમિકતા ફ્રન્ટલાઈન વર્કર અને સ્વાસ્થ્ય કર્મી હશે. તેઓએ કહ્યું હતું કે સરકાર પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને ફ્રીમાં વેક્સિન આપશે જેમાં. 1 કરોડ હેલ્થકર્મીઓ અને 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર હશે. ત્યારબાદ કેવી રીતે વેક્સિનેશન તરફ આગળ વધવું તે આગામી સમયમાં સરકાર નિર્ણય લેશે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments