Homeગામનાં ચોરેપથ્થરમારો કરનારા ભાજપના કાર્યકર હતાં એવી એક પત્રકારને ખબર પડી જતા પોલીસ...

પથ્થરમારો કરનારા ભાજપના કાર્યકર હતાં એવી એક પત્રકારને ખબર પડી જતા પોલીસ પત્રકારને જ ઉઠાવી ગઈ

Team Chabuk National Desk: સિંઘુ બોર્ડર પર ખેડૂત આંદોલનનું કવરેજ કરી રહેલા ફ્રી લાન્સ (સ્વતંત્ર) પત્રકાર મનદીપ પુનિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. મનદીપ પુનિયા વિરુદ્ધ પોલીસે કલમ 186, 323 અને 353 હેઠળ ગુનો નોંધ્યો છે. મનદીપ પુનિયા ઉપર સિંઘુ બોર્ડર પર દિલ્હી પોલીસના એસએચઓ સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ છે. મનદીપ પુનિયાની સાથે ધર્મેન્દ્રસિંહ નામના પત્રકારની પણ પોલીસે અટકાયત કરી હતી, જો કે આજે વહેલી સવારે ધર્મેન્દ્રસિંહને પોલીસે છોડી દીધો જ્યારે મનદીપ પુનિયાની ધરપકડ કરીને કેસ ઠોકી દેવામાં આવ્યો. મનદીપ સામે પોલીસે બીન જામીનપાત્ર કલમો લગાડી છે.

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ધર્મેન્દ્રસિંહ પાસેથી પોલીસે લેખિતમાં લેવડાવ્યું છે કે ભવિષ્યમાં તે ક્યારેય પોલીસ સાથે અભદ્ર વર્તન નહીં કરે. મનદીપ પુનિયા અને ધર્મેન્દ્રસિંહ શનિવારે જ્યારે સિંઘુ બોર્ડર પર કવરેજ કરી રહ્યા હતા ત્યારે પોલીસે પકડી લીધા હતા. પોલીસે અટકાયત કરી ત્યારે બન્ને પત્રકાર બંધ કરાયેલા રોડ અને બેરિકેડ તરફ આગળ વધી રહ્યા હતા.

મનદીપ પુનિયાને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો તે પહેલા તેણે સિંઘુ બોર્ડર પર થયેલી હિંસાનો એક લાઈવ વીડિયો ફેસબુક પર શેર કર્યો હતો. જેમાં મનદીપે કહ્યું હતું કે, કેવી રીતે પોતાને સ્થાનિક કહેનાર લોકોએ પોલીસની હાજરીમાં પથ્થરમારો કર્યો.

કોણ છે મનદીપ પુનિયા?

મનદીપ પુનિયા વિશે ચાબુકે જાણવાનો પ્રયત્ન કર્યો તો તેના એક મિત્ર અને ક્લાસમેટ એવા શ્યામ મીરા સિંહની ફેસબુક પોસ્ટ ધ્યાનમાં આવી. મનદીપ પુનિયાને પોલીસ ઉઠાવી ગઈ ત્યારબાદ શ્યામે ફેસબુક પર મનદીપ પુનિયાને લઈને એક પોસ્ટ મૂકી છે. જેમાં શ્યામ મનદીપ પુનિયા વિશે જણાવી રહ્યો છે. શ્યામે લખ્યું છે કે, ‘તેણે વર્ષ 2017-18માં IIMCમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2018માં IIMC તંત્ર સામે હોસ્ટેલની માગ સાથે ભૂખ હડતાળ કરી હતી. ત્રણ દિવસની ભૂખ હડતાળના અંતે તંત્રને પીછેહટ કરવી પડી અને હોસ્ટેલ આપવી પડી. મનદીપને હું ખૂબ નજીકથી ઓળખું છું. તેને પૈસાનો મોહ નથી. IIMCમાં અભ્યાસ પછી મનદીપને ઘણી જગ્યાએ નોકરી ન દેખાઈ. તેને મીડિયામાં અમુક જગ્યાઓ જ કામ કરવાને લાયક લાગી. તે મીડિયાથી નિરાશ હતો તેવામાં તેના પિતા આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા. મીડિયાની હાલત જોઈને મનદીપ પોતાના ગામ પરત ફર્યો અને ખેતી કરવા લાગ્યો. મનદીપે ખેતી કરી પરંતુ મીડિયા ન છોડ્યું. તેને ઓનલાઈન પોર્ટલો માટે ઓછા પૈસામાં લખ્યું. મનદીપે અંગ્રેજીના પ્રતિષ્ઠિત મેગેઝિન ‘CARAVAN’ માટે પણ સંવેદનશીલ રિપોર્ટ લખી હતી.’

‘પરંતુ છેલ્લા બે મહિનાથી તે માત્ર ને માત્ર ખેડૂતોના મુદ્દાઓ પર જ લખતો હતો. તે મોટાભાગે ખેડૂત આંદોલનકારીઓના તંબુમાં સુઈ જતો હતો. ત્યાં જ જમી લેતો હતો. અને ત્યાંથી જ ખેડૂતો પર થઈ રહેલા અત્યાચાર પર પળ-પળની ખબર આપતો રહેતો હતો. જ્યારે ભાજપના ગુંડા સ્થાનિક લોકોના વેશમાં ખેડૂતો પર પથ્થરમારો કરવા પહોંચ્યા તો મનદીપ તે સમયે સ્ટેજની પાસે જ હતો. મનદીપ હરિયાણાનો રહેવાસી હોવાથી આસપાસના નેતાઓ, ધારાસભ્યો, તેમના માણસો અને ગુંડાઓને ઓળખે છે. ગઈકાલે પણ તેણે ભાજપના ગુંડાઓને ઓળખી લીધા. ત્યારબાદ બીજા દિવસે તેણે ફેસબુક લાઈવમાં તમામના નામ લઈને તેઓને ખુલ્લા પાડ્યા. સ્વાભાવિક છે કે મનદીપ પોલીસના પણ ટાર્ગેટ પર આવી ગયો હતો. સવારે મનદીપે વીડિયો બનાવ્યો અને સાંજે સિંઘુ બોર્ડરથી મનદીપની ધરપકડ કરી લેવામાં આવી. તેણે સંઘર્ષ કરીને જમીનમાં અનાજનું બીજ વાવ્યું અને તે પૈસાથી તેણે જમીની પત્રકારિતા કરી.’

कौन है मनदीप पूनिया? क्या है उसकी पूरी कहानी, और हमें उसके लिए क्यों खड़ा होना चाहिए? ——————- मनदीप पूनिया एक…

Posted by Shyam Meera Singh on Saturday, 30 January 2021

મનદીપના સપોર્ટમાં ઉતર્યું મીડિયા

મનદીપ પુનિયાની આ પ્રકારે પોલીસ ધરપકડ કરી લેતાં, પંજાબ અને હરિયાણાના સ્થાનિક પત્રકારો ઉપરાંત કેટલાક નેશનલ મીડિયાના પત્રકારોમાં પણ ગુસ્સો ફાટી નીકળ્યો છે. દયા સાગર નામના એક પત્રકારે મનદીપના સપોર્ટમાં ટ્વિટ કર્યું કે, ‘તે બહાદુર છે, લડવૈયો છે, અને મહત્વનું છે કે તે એક સારો માણસ છે.’

ગગનદિપ સિંહ નામના પંજાબના એક પત્રકારે પણ મનદીપ પુનિયા સામે થયેલી ફરિયાદની એફઆરઆઈની કોપી ટ્વિટ પર મૂકીને મનદીપ પુનિયાને છોડવાની માગ કરી.

એફઆરઆઈની કોપી વાંચતા ખ્યાલ આવ્યો કે પોલીસે તો મનદીપને પત્રકાર માનવાની પણ ના પાડી દીધી છે. એફઆરઆઈમાં લખવામાં આવ્યું છે કે મનદીપે પોલીસ સાથે મારામારી કરી જેમાં પોલીસ કર્મચારીને ઈજા પહોંચી છે.

પ્રિયંકા ગાંધીએ પણ આ અંગે ટ્વિટ કરીને લખ્યું કે, ખેડૂત આંદોલનનું કવરેજ કરી રહેલા પત્રકારોની ધરપકડ કરવામાં આવી રહી છે. તેમના પર કેસ કરવામાં આવી રહ્યો છે. ઘણી જગ્યાએ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. ભાજપ સરકાર ખેડૂતોનો અવાજ દબાવવા માગે છે. પરંતુ તેઓ ભૂલી રહ્યા છે કે જેટલો અવાજ દબાવશો તેનાથી વધારે અવાજ તમારી સામે ઉઠશે.

શું સાચું બોલવાની મળી સજા ?

હાલ સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને ટ્વિટર પર મનદીપ પુનિયાને મુક્ત કરવા માટેની માગણી કરવામાં આવી રહી છે. પત્રકારો અને લોકો કહી રહ્યા છે કે મનદીપને સાચું બોલવાની સજા મળી રહી છે. તેણે પોલીસની કાર્યવાહી અને તંત્રના ષડયંત્રનો પર્દાફાશ કર્યો તેથી તેનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. વરિષ્ઠ પત્રકાર અજીત અંજુમે પણ આ અંગે કહ્યું કે, ભાજપના કાર્યકરોએ સ્થાનિક લોકોના વેશમાં આવીને ખેડૂતો સામે પ્રદર્શન કરીને હટાવવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યું કે, સ્થાનિક લોકોની આડમાં ભાજપના કાર્યકરો આવી રહ્યા છે. તેઓએ આશંકા વ્યક્ત કરી કે ખેડૂતોનો અવાજ બની રહેલા પત્રકારોને સરકાર આ પ્રકારે હેરાન કરી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments