Team Chabuk-Political Desk: પંજાબ કોંગ્રેસમાં રાજકીય ઘમસાણ ચાલી રહ્યું છે. એક બાજુ કેપ્ટન અને સિદ્ધુ છે ત્યાં હવે રાહુલ ગાંધીના નિવેદને નવી ચર્ચા જગાવી છે. રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં પોતાના જ નેતાઓને ભાજપથી ભયભીત રહેનારા અને આરએસએસના સમર્થક ગણાવ્યા છે. રાહુલના આ નિવેદન બાદ ચર્ચા જાગી છે કે રાહુલનો ઈશારો આખરે કયા નેતાઓ પર છે? શું તેઓ એ જૂના જોગીઓની વાત કરી રહ્યા છે, જેઓ હાલ ભાજપમાં છે, કે પછી એમની જેઓ પાર્ટીમાં રહીને જ પાર્ટી વિરૂદ્ધનું કાર્ય કરી રહ્યા છે?
કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલના વોલન્ટીયર્સને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘ઘણા લોકો છે જે ડરી નથી રહ્યા. એ કોંગ્રેસની બહાર છે. એ બધા આપણા લોકો છે અને એમને અંદર લાવવા જોઈએ. જે આપણી અંદર છે તેમને બહાર કાઢવા જોઈએ, જો આરએસએસના છો તો નીકળો. મજા કરો. તમારી કોઈ આવશ્યક્તા નથી. અમને નીડર લોકો જોઈએ છે.’ આ સમયે રાહુલ ગાંધીએ પાર્ટી સાથે છેડો ફાડનારા નેતાઓને કહ્યું હતું કે, ‘જેમને ડર લાગી રહ્યો છે એ ચાલ્યા જાય.
રાજકીય ગલીઓમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે રાહુલ ગાંધીનો હુમલો કયા નેતાઓ પર હતો. શું તેઓ કોંગ્રેસ નેતૃત્વને પડકાર આપનારા જી-23ના નેતાઓને પાર્ટી છોડી જવાનું કહી રહ્યા છે? કે પછી તેમના નિશાના પર રાહુલ ગાંધીના એ નજીકના મિત્રો છે, જે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે ચાલ્યા ગયા છે અને મંત્રીમંડળ પણ મેળવી લીધું છે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું રાહુલ ગાંધીને પોતાના જ નેતાઓ પર ભરોસો નથી રહ્યો.
રાહુલ ગાંધીનો સ્પષ્ટ ઈશારો પાર્ટી છોડીને ચાલ્યા જનારા અને સત્તા માટે તલપાપડ રહેનારા પૂર્વ કોંગ્રેસી નેતાઓ પર લાગી રહ્યો છે. જેઓ આજે ભાજપમાં ચાલ્યા ગયા છે. તો પછી તેમનો સીધો પ્રહાર જ્યોતિરાદિત્ય સિંધિયા પર હતો. સિંધિયા રાહુલ ગાંધીની નજીકના હતા. મધ્યપ્રદેશમાં ભાજપના 15 વર્ષના શાસનને ઉખાડીને ફેંકી દેવાનું કામ સિંધિયા અને કમલનાથની જોડીએ કર્યું હતું, પણ સિંધિયાની જગ્યાએ કમલનાથ ખુરશી પર બેસી ગયા હતા. ભવિષ્યમાં પરિણામ કંઈક એવું આવ્યું કે સિંધિયા કેટલાક ધારાસભ્યોને લઈ ભાજપમાં ચાલ્યા ગયા. આજે તેઓ મંત્રી બની ગયા છે. સિંધિયાને લઈ રાહુલ ગાંધીએ ભૂતકાળમાં એવું નિવેદન આપ્યું હતું કે, ‘સિંધિયા કોંગ્રેસમાં રહેત તો જરૂર મુખ્યપ્રધાન બનેત પણ ભાજપમાં તેઓ પાછલી પાટલીએ છે.’
તેમણે ઉત્તરપ્રદેશનું નિવેદન સામે રાખતા કહ્યું કે, ‘જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે કોરોનાની બીજી લહેરમાં યુપી સરકારે શ્રેષ્ઠ કામ કર્યું તો લોકો તેમના પર હસે છે. જ્યારે પ્રધાનમંત્રી કહે છે કે, ચીન આપણી સીમામાં દાખલ નથી થયું ત્યારે લોકો તેમના પર હસે છે. દરેક વ્યક્તિ જાણે છે.’
બીજી બાજુ કોંગ્રેસના કેટલાય નેતાઓ રાહુલના કામકાજથી નિરાશ થયા છે અને પાર્ટી છોડી ભાજપમાં સામેલ થઈ ગયા છે. જેમાં સૌથી મોટું નામ હેમંત બિસ્વા સરમાની છે. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ તેમને સમય નહોતો આપ્યો અને પોતાના કૂતરાની સાથે રમતા રહ્યા હતા. 2015માં હેમંત બિસ્વા કોંગ્રેસ છોડી ભાજપમાં ચાલ્યા ગયા હતા. 2016માં અસમની ચૂંટણીમાં ભાજપને મજબૂત કરવાની ભૂમિકા ભજવી હતી. પૂર્વોત્તરમાં પણ ભાજપને મજબૂત કરવાની દિશામાં પગલાં ભર્યા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત