Team Chabuk-National Desk: ભીમા કોરોગામ હિંસા સંલગ્ન જોડાયેલ ઘટનામાં ધરપકડ કરાયેલા એક્ટિવિસ્ટ ફાધર સ્ટેન સ્વામીનું સોમવારના રોજ નિધન થઈ ગયું. એ પછી સોશિયલ મીડિયા પર પણ તેની તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. તેઓ 84 વર્ષનાં હતા. છેલ્લા કેટલાક દિવસથી તેઓ નાદુરુસ્ત તબિયતનો સામનો કરી રહ્યા હતા. તબિયત વધારે લથડતા તેમને હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સોમવાર બપોરના રોજ બોમ્બે હાઈકોર્ટને તેમના નિધનની જાણકારી આપવામાં આવી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેન સ્વામી ભારતના સૌથી મોટી વયના વ્યક્તિ હતા જેમના પર આતંકવાદનો આરોપ લાગ્યો હોય. જાન્યુઆરી 2018માં ભીમા કોરેગામમાં ભડકેલી હિંસા સંલગ્ન કેસમાં તેમની ગત્ત વર્ષનાં રોજ ધરપકડ કરવામાં આવી હતી. સ્ટેન સ્વામીને આતંકી ઘટનાઓની તપાસ કરનારી NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) દ્વારા ધરપકડ કરવામાં આવ્યા હતા. NIAએ તેમના પર માઓવાદીયો સાથે સંબંધ હોવાના પણ આરોપ લગાવ્યા હતા. સાથે જ તેમના પર UAPAની કેટલીય કલમો પણ લગાવી હતી.
સ્ટેન સ્વામીનો જન્મ 26 એપ્રિલ 1937નાં રોજ તમિલનાડુના ત્રિચીમાં થયો હતો. તેમણે સમાજશાસ્ત્રમાં એમ.એની ડિગ્રી મેળવી હતી. સમાજશાસ્ત્રમાં એમ.એ કર્યા બાદ તેમણે બેંગ્લોર સ્થિત ઈન્ડિયન સોશિયલ ઈન્સ્ટિટ્યૂટમાં કામ કર્યું હતું. એ પછી તેઓ ઝારખંડમાં આવી ગયા હતા અને અહીંના આદિવાસીઓ અને વંચિતોની સેવામાં લાગી ગયા હતા.
તેમણે પોતાના આરંભના દિવસોમાં પાદરી તરીકેનું કામ કર્યું હતું. એ બાદ આદિવાસીઓનાં અધિકારની લડાઈ લડવા લાગ્યા હતા. માનવઅધિકાર કાર્યકર્તા તરીકે ઝારખંડમાં વિસ્થાપન વિરોધી જનવિકાસ આંદોલનની સ્થાપના કરી હતી. આ સંગઠન આદિવાસીઓ અને દલિતોના અધિકારોની લડાઈ લડે છે. સ્ટેન સ્વામી રાંચીના નામકુમ વિસ્તારમાં આદિવાસી બાળકો માટે શાળા અને ટેકનિકલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ પણ ચલાવે છે.
સ્ટેન સ્વામી પર પત્થલગઢી આંદોલનના મુદ્દા પર તણાવ ભડકાવવા બદલ ઝારખંડ સરકારની વિરૂદ્ધ નિવેદન આપવાનો પણ આરોપ હતો. ઝારખંડની ખૂંટી પોલીસે સ્ટેન સ્વામી સહિત વીસ લોકો પર રાજદ્રોહનો કેસ પણ ફાઈલ કર્યો હતો.
મહારાષ્ટ્રના પુણેમાં ભીમા કોરેગામમાં એક જાન્યુઆરી 2018ના રોજ દલિત સમુદાયનો એક કાર્યક્રમ થયો હતો. એલ્ગાર પરિષદે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સમયે હિંસા ભડકી ગઈ. હિંસામાં જાનમાલને નુકસાન પહોંચાડવામાં આવ્યું. ગાડીઓ સળગાવવામાં આવી. દુકાન અને મકાનોમાં ભારે તોડફોડ મચાવવામાં આવી. હિંસામાં એકનું મૃત્યુ થયું જ્યારે કેટલાય લોકો ઘાયલ થઈ ગયા હતા.
એલ્ગાર પરિષદના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ દેવાના આરોપસર સ્ટેન સ્વામીની ગત વર્ષે NIA દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમના પર પ્રતિબંધિત સંગઠન સીપીઆઈ (માઓવાદી)ના સભ્ય હોવાનો પણ આરોપ લાગ્યો હતો. જોકે અંત સુધી સ્ટેન સ્વામીએ આ આરોપોનો સ્વીકાર નહોતો કર્યો.
ગત્ત વર્ષે તેમણે એક વીડિયો જાહેર કરી જણાવ્યું હતું કે NIA તેમની સામે અનેક દસ્તાવેજ રાખ્યા છે. જે કથિત રીતે તેમનો સંબંધ માઓવાદીઓ સાથે હોવાનું દેખાડે છે. આ તમામ વસ્તુઓને ષડયંત્ર બતાવતા તેમણે જણાવ્યું હતું કે, આ કોઈએ ચોરી કરી તેમના કોમ્પ્યુટરમાં નાખ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત