Homeગામનાં ચોરેમંત્રીમંડળમાં ફેરફાર બાદ મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં કોરોનાને લઈને મોટો નિર્ણય લેવાયો

મંત્રીમંડળમાં ફેરફાર બાદ મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં કોરોનાને લઈને મોટો નિર્ણય લેવાયો

Team Chabuk-National Desk: નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ આજે સાંજે પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થયેલી કેબિનેટ બેઠકમાં ખેડૂત, કોરોના મહામારી વગેરે મુદ્દાઓ પર મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. કોરોના માહામારી સામે લડવા માટે 23123 કરોડના ઇમરજન્સી હેલ્થ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત એક લાખ કરોડ રૂપિયા મંડી મારફતે ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, મનસુખ માંડવિયા અને નરેન્દ્ર સિંહ તોમરે આ અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.

સાંજે પાંચ વાગ્યે શરૂ થયેલી બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, સરકાર મંડીઓનું સશક્તિકરણ કરવા માંગે છે. સરકારે આ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. જે પ્રમાણે એક લાખ કરોડ રૂપિયા મંડીઓ મારફતે ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે માહિતી આપતા જણાવ્યું કે, એપીએમસી મંડીઓને વધુ મજબૂત કરવામાં આવી રહી છે. કૃષિ મંડીઓને વધુ સંશાધનો આપવામાં આવશે. મંડી બંધ થવાની નથી. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, આપણા દેશમાં એક મોટો વિસ્તાર છે જ્યાં નારિયેળની ખેતી થાય છે, નારિયેળનું ઉત્પાદન વધે તે માટે નારિયળ બોર્ડ 1981માં બન્યું હતું. આ બોર્ડમાં સરકાર સંશોધન કરવા જઈ રહી છે. બોર્ડના અધ્યક્ષ ખેડૂત સમૂદાયમાંથી જ હશે અને તે ગ્રાઉન્ડ લેવલની હકીકતને સાચી રીતે સમજી શકશે. આ ઉપરાંત એક્ઝિક્યુટીવ પાવર માટે એક સીઆઈઓ બનાવવામાં આવશે. બોર્ડમાં બે પ્રકારના સભ્યો હશે. કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરે જણાવ્યું કે, મંડીઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ઉપયોગ પણ કરી શકશે.

નવા બનેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સ્વાસ્થ્ય વિભાગમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દેશના તમામ 736 જિલ્લામાં પેડિયાટ્રિક યુનિટ બનાવવામાં આવશે. 20 હજાર નવા આઈસીયુ બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કોરોના સામે લડવા માટે ઈમરજન્સી હેલ્થ પેકેજ અંગે પણ સ્વાસ્થ્ય મંત્રીએ જાણકારી આપી હતી. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, કોરોના સામે લડવા માટે 23123 કરોડનું ઈમરજન્સી હેલ્થ પેકેજ બનાવવામાં આવ્યું છે.

મહત્વનું છે કે ગઈકાલે સાંજે મોદી સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર સાથે 43 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ પહેલા જ આજની કેબિનેટ બેઠક નક્કી કરી દેવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. કેબિનેટ બેઠક બાદ મંત્રી પરિષદની બેઠક પણ બોલાવવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments