Homeગામનાં ચોરેકોંગ્રેસના આ નેતાને ખબર છે કે એ હવે 10-15 વર્ષ જ જીવવાના!!

કોંગ્રેસના આ નેતાને ખબર છે કે એ હવે 10-15 વર્ષ જ જીવવાના!!

ગોવાબાપાઃ ચાબુક મને સવારે વહેલાં ઉઠવાની ટેવ છે એમ દેશના વડાપ્રધાનનેય વહેલા ઉઠવાની ટેવ છે. વડાપ્રધાન તો આજે સવારથી જ સમાચારોમાં છવાય ગયા. હજુ તો ઘણા લોકો ઉંઘતા હતા ત્યાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 6-30 કલાકે રસી લગાવી લીધી. આજે દેશભરમાં રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો. અને મુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી થયું. વડાપ્રધાને દિલ્હીની એઈમ્સમાં રસી લગાવ્યા બાદ દેશભરના મોટા મોટા નેતાઓની રસી લગાવવા માટે લાઈન થઈ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી લગાવ્યા બાદ દેશના ઉપરાષ્ટ્રપતિ એવા વેંકૈયા નાયડુએ પણ રસી લગાવી. વેંકૈયા નાયડુએ ચેન્નઈની સરકારી મેડિકલ કોલેજમાં જઈને રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

વેંકૈયા નાયડુ ઉપરાંત દેશના ગૃહમંત્રી અમિત શાહ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક, કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર, ડૉ. જીતેન્દ્ર સિંહ, રાજસ્થાનના ગવર્નર કલરાજ મિશ્રા, એનસીપી સુપ્રિમો શરદ પવાર જેવા નેતાઓએ કોરોનાની રસીનો ડોઝ લીધો. ચાબુક મહત્વની વાત એ છે કે નેપાળના આર્મી ચીફ પૂર્ણ ચંદ્ર થાપાએ પણ ભારતીય વેક્સિનનો ડોઝ લીધો છે.

આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન આવતીકાલે રસીનો પ્રથમ ડોઝ લેવાના છે. ગુજરાતના મુખ્ય આરોગ્ય સચિવ ડૉ. જયંતી રવિએ પણ આજે રસીનો ડોઝ લગાવ્યો હતો. સમાચાર છે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી 15 દિવસ બાદ રસી લગાવશે. કેમ કે તેઓને તાજેતરમાં જ કોરોના થયો હતો. જેથી હાલ તેઓ રસી નહીં લગાવે.

ખડગેએ કહ્યું, ‘યુવાનોને રસી આપો

દેશભરમાં બીજા તબક્કાનુ રસીકરણ શરૂ થઈ ચૂક્યું છે. બીજા તબક્કામાં 60 વર્ષથી વધુની ઉંમર ધરાવતા અને ગંભીર બીમારીઓથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરનાને રસી આપવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લીકાર્જુન ખડગેએ યુવાનોને રસી આપવી જોઈએ તેમ કહ્યું છે. મલ્લીકાર્જુન ખડગેને પૂછવામાં આવ્યું કે તેઓ ક્યારે રસી લેશે ?  જવાબમાં મલ્લીકાર્જુન ખડગેએ કહ્યું કે, મારી ઉંમર 70 વર્ષથી ઉપરની છે. મારા બદલે યુવાનોને રસી આપવી જોઈએ કેમ કે મારી સરખામણીએ તેઓ હજુ વધુ જીવવાના છે. મારી પાસે જીવવા માટે ફક્ત 10-15 વર્ષ બાકી છે.

રાહુલ ગાંધીના પુશ અપ્સ અને પ્રિયંકાનો ડાન્સ

ચાબુક પાંચ રાજ્યમાં ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજકીય પક્ષો હવે પ્રચારમાં લાગી ગયા છે. દેશના ઘણાય રાજ્યમાં સાફ થઈ ચૂકેલી કોંગ્રેસ પાસે હવે જે રાજ્ય છે તેમાં સત્તા બચાવવા નેતાઓ લાગી ગયા છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના રાહુલ ગાંધીના પુશ અપ્સ અને પ્રિયંકા ગાંધીનો ડાન્સ જોવા મળ્યો છે. આસામમાં પ્રિયંકા ગાંધીએ ઝુમુર ડાન્સ કર્યો તો રાહુલ ગાંધીએ તામિલનાડુમાં પુશ અપ્સ કર્યા અને વિદ્યાર્થીઓને અકિડો શીખવતા પણ દેખાયા. રાહુલ ગાંધીએ તો એક હાથે દંડ પીલીને પોતાની શરીરની મજબૂતાઈનો પરચો આપ્યો. હવે જોઈએ તેમની ફિટનેસની જેમ પાર્ટી ચૂંટણીમાં ફિટ અને હિટ રહે છે કે કેમ.

રાજકારણમાં અભિનેત્રીની એન્ટ્રી

ચાબુક રાજકારણ અને ગ્લેમર જગતને જુનો સંબંધ છે. અનેક અભિનેતા-અભિનેત્રીઓ રાજકારણમાં પોતાનો જાદુ પાથરવા આવી ચૂક્યા છે. આજે આવી બે હસ્તી રાજકારણમાં જોડાઈ છે. મિસ ઇન્ડિયા દિલ્હી-2019ની વિજેતા માનસી સહગલ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગઈ છે તો આ તરફ પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલાં અભિનેત્રી સરબંતી ચેટર્જી ભાજપમાં જોડાઈ ગઈ છે. ચાબુક આ અભિનેતા નેતા બને એટલે પાર્ટીવાળાવને સ્ટાર પ્રચાર ગોતવા ન જવું પડે હો.

રાધવજીભાઈની 25 વર્ષે આંખ ઉઘડી

પહેલાં કોંગ્રેસમાં હતા અને હાલ ભાજપમાં છે એવા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલને 25 વર્ષે પોતે કરેલી ભૂલ સમજાઈ છે. વાત જાણે એમ છે ચાબુક કે આજે વિધાનસભામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા પ્રસ્તાવ મૂકાયો ત્યારે ભાજપના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે ખુલ્લા મનથી ને દિલથી એક વાત કરી. રાઘવજીભાઈ કહ્યું કે, ‘શંકરસિંહ વાઘેલાના બળવાના કારણે જ કેશુબાપાની સરકાર પડી હતી.’ સરકાર પાડવાના કાવાદાવામાં પોતે સામેલ હોવાનો રંજ પણ રાઘવજીભાઈએ વ્યક્ત કર્યો. રાઘવજીભાઈ કહ્યું કે, ‘કેશુભાઈ પટેલ સાથે વિશ્વાસઘાત કર્યો તે મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. મારી ભૂલનું પરિણામ પણ મેં ભોગવ્યું છે. કેશુભાઈ પટેલ સાથે વિશ્વાસઘાત કર્યો એટલે હું ડાયાબિટીસથી પીડાઉ છું.’

આવતીકાલે પરિણામ

ગુજરાત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આવતીકાલે પરિણામ આવશે ચાબુક. મહાનગરપાલિકાઓમાં તો ભાજપે બાજી મારી લીધી છે હવે ગામડા અને નાના શહેરોની જનતાએ કોના માથે તાજ પહેરાવ્યો છે એ આવતીકાલે ખબર પડી જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments