Homeગામનાં ચોરેએવું શું છે કે કાયદામાં સંશોધન નથી થઈ શકતું ?

એવું શું છે કે કાયદામાં સંશોધન નથી થઈ શકતું ?

ગોવાબાપા : હે ચાબુક પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સાફ સાફ કહી દીધું છે કે ત્રણે કૃષિ કાયદાઓ ખેડૂત વિરોધી છે. જોકે આ વાત તો એ પહેલાથી કહેતા આવ્યા છે પણ સરકાર તેમના કાયદા પર અડગ છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે, અમે કાયદાઓની વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં જઈશું. તેમણે ખેડૂતોને કહ્યું કે, જો ખેડૂતો કાયદાને પરત લેવાનું કહે છે તો તમે કાયદો પરત લઈ શકો છો અને પછી ખેડૂત સંગઠનોની સાથે વાતચીત કરી શકો છો કે તમે કયો કાયદો ઈચ્છો છો. પણ રાજ્યમાં શાંતિ લાવવા માટે અને ખેડૂતોને ઘરે પરત લાવવા માટે કાયદાઓને કાઢી નાખવા જોઈએ. જેની તેઓ માગ કરી રહ્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, કોઈ પણ કાયદામાં એ પવિત્રતા નથી જેને અડકી ન શકાય. ઉદાહરણ તરીકે બંધારણને 1950માં રજૂ કર્યા પછી 100 વખત તેમાં સંશોધન કરવામાં આવ્યું હતું. એવું શું છે કે આ કાયદામાં સંશોધન નથી કરી શકાતું અને તમારે તેને પરત નથી જ લેવું.

પાછી ચૂંટણી આવી ગઈ

હવે તો ચૂંટણી ક્યારે આવે છે અને ક્યારે જાય છે એ ખબર જ નથી રહેતી. ચૂંટણી માપવાનું નવું યંત્ર એ છે કે જ્યારે કોરોના હોવા છતાં બધા એકઠા થાય તો ચૂંટણી આવી ગઈ અને જ્યારે ન થાય તો ચૂંટણી ગઈ. હવે ચાબુક ઉત્તર પ્રદેશ, બિહાર અને આંધ્ર પ્રદેશમાં ખાલી થઈ રહેલી વિધાન પરિષદની સીટો માટે મતદાન અને મતગણનાની તારીખ ચૂંટણીપંચે જાહેર કરી છે. કેન્દ્રિય ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલી તારીખ પ્રમાણે આ ત્રણે રાજ્યોમાં જે વિધાન પરિષદની સીટો ખાલી હશે તેમાં 28 જાન્યુઆરીના રોજ મતદાન થશે અને એ જ સાંજે પાંચ વાગ્યે મતગણતરીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. એટલે કે એક જ દિવસમાં ભહેડીયો બોલાવી દેવાની તૈયારીઓ છે.  

ચૂંટણીપંચ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે તે પ્રમાણે તને કઉં તો આંધ્ર પ્રદેશની એક વિધાન પરિષદની સીટ, બિહારની બે વિધાન પરિષદની સીટ અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની 12 સીટો પર 28 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધી મતદાન થશે અને સાંજના 5 વાગ્યાથી થનારી મતગણતરી બાદ પરિણામો સામે આવશે.

હવે આ માટે આ આખા મહિનામાં કઈ કઈ તારીખે કઈ કઈ કામગીરી થાશે એ તને કહી દઉં. 28 જાન્યુઆરીના રોજ જે મતગણના થવાની છે તેના માટે 11 જાન્યુઆરીના રોજ ચૂંટણીપંચ વધારે માહિતી આપશે. ઉમેદવારોના નામાંકનની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી હશે અને નામાંકન પત્રની તપાસ માટે 19 જાન્યુઆરીની તારીખ રાખવામાં આવી છે. જો કોઈ ઉમેદવારને નામ પરત ખેંચવું હોય તો 21 જાન્યુઆરીની તારીખ રાખવામાં આવી છે. એ પછી 28 જાન્યુઆરીના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

મુરઘીનું વેચાણ નહીં

હવે ચાબુક કોરોના તો હજુ સંપૂર્ણ ગયો નથી. વેક્સિનનો માંડ મેળ પડ્યો ત્યાં બર્ડ ફ્લૂનો ખતરો માથે ભમરાવા લાગ્યો છે. અને આ કારણે જ કેરળ અથવા તો દક્ષિણ ભારતના રાજ્યોમાંથી મોકલવામાં આવેલી મુરઘીઓ 10 દિવસ સુધી મધ્યપ્રદેશ રાજ્ય લેશે નહીં. મધ્યપ્રદેશમાં વધી રહેલા બર્ડ ફ્લૂના ભયને નાથવા માટે મધ્યપ્રદેશની સરકારે નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશ રાજ્યમાં જ ચાબુક માલવા જિલ્લો આવેલો છે. જ્યાં તો મુરઘી વેચવા પર જ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

ત્યાંના મુખ્ય નગર પાલિકા અધિકારીની તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં મુરઘી વેચનારાઓને સૂચિત કરવામાં આવ્યા છે કે, હાલના સમયમાં બર્ડ ફ્લૂ જેવી બીમારી ફેલાઈ રહી છે. જેના કારણે કાગડાઓના મૃત્યુ થઈ રહ્યા છે અને બીમારી ન ફેલાય આ માટે તાત્કાલિક મુરઘાઓના વેચાણ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે આગામી આદેશ સુધી મુરઘાઓના વેચાણ પર પ્રતિબંધ રહેશે. જો કોઈ પણ વ્યક્તિ વેચતો જોવા મળ્યો તો નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. 2020 કોરોનામાં એમ ક્યાંક 2021 બર્ડ ફ્લૂમાં નીકળી ન જાય. હાલો તયે મળીએ કાલ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments