Homeગામનાં ચોરે‘અખિલેશ તને ભાજપની વેક્સિન પર ભરોસો નહીં કે…?’

‘અખિલેશ તને ભાજપની વેક્સિન પર ભરોસો નહીં કે…?’

ગોવાબાપા : હે ચાબુક હું તને આજે એક મહાન જ્ઞાન આપું. માણસે શબ્દોનો પ્રયોગ સમજી વિચારીને કરવો જોઈએ અને એમ ન થાય તો તેણે બોલવું જ ન જોઈએ. કદાચ ડો.હર્ષવર્ધન આવશેમાં આવી ગયા અને બોલી ગયા કે આખા ભારતના લોકોને વેક્સિન ફ્રી. પછી ખબર પડી કે 3 કરોડ લોકોને જ વેક્સિન ફ્રી મળશે. 1 કરોડ હેલ્થ વર્કર અને 2 કરોડ ફ્રંટ લાઈન વર્કર એમ કુલ ત્રણ કરોડ. એમની ખબર તો વાયુવેગે આખા ભારતમાં પ્રસરી ગઈ.

એ ખબર ફેલાવાની સ્પીડ કોરોના ફેલાયો એટલી જ છે ચાબુક. પહેલા તેઓ બોલ્યા પછી તેમણે ટ્વીટ કરી સાચો આંકડો જણાવ્યો કે આટલા લોકોને જ કોરોનાની વેક્સિન આપવામાં આવશે. એમણે ટ્વીટમાં શું કહ્યું એ નીચે ગુજરાતીમાં ચાબુકના વાંચકો વાંચી શકશે.

‘પહેલા ચરણમાં કોવિડ-19 વેક્સીનેશનમાં સમગ્ર દેશ માટે સૌથી અધિક પ્રાથમિકતાવાળા લોકોને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે. જેમાં એક કરોડ હેલ્થવર્કર અને બે કરોડ ફ્રંન્ટલાઈન વર્કરનો સમાવેશ થાય છે. હવે પ્રાથમિકતાવાળા 27 કરોડ લોકોને કેવી રીતે વેક્સિન દેવી તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.’

ભાજપની વેક્સિન પર ભરોસો નહીં કે…!!

વાત વેક્સિનની જ હોય અને ઉત્તર પ્રદેશથી કંઈ સમાચાર ન આવે તો તો થઈ રહ્યું ચાબુક. ઉત્તર પ્રદેશના અખિલેશભાઈ યાદવ જેમણે વેક્સિન લેવાની સાફ શબ્દોમાં ના પાડી દીધી છે. સમાજવાદી પાર્ટીના સાંસદે શું કહ્યું ચાબુક એ હું તને લીટીએ લીટી કઉં

‘‘કોવિડના નામ પર લોકોનો પગાર કાપવામાં આવ્યો. અહીં કોને કોરોના છે. સરકાર માની જ નથી રહી કે કોરોના છે. સરકાર કોરોના છે તેવું ત્યારે માને છે જ્યારે વિપક્ષ કોઈ કાર્યક્રમ કરે છે. શું જરૂર છે આટલા ફ્રીઝર્સ અને ડ્રાઈ રનની. કોલ્ડ ચેન બનાવવાની. તાળી કે થાળી વગાડી દો કોરોના ચાલ્યો જશે. જે સરકારે તાળી કે થાળી વગાડી હોય, હેલિકોપ્ટર ઉડાવ્યા હોય એમને શું જરૂર. વેક્સિનની શું જરૂર છે. અમે તો વગર માસ્કના અહીંયા બેઠેલા છીએ. એ મોંઘવારી અને બેરોજગારી આની આડમાં છુપાવી રહ્યા છે. જુઓ હું તો નહીં લગાઉં કોરોના વેક્સિન. મેં મારી વાત કહી છે. અને એ પણ ભાજપ લગાવી રહી છે. એનો ભરોસો કરું હું ? અરે જાવ ભાઈ, આપણી સરકાર આવશે તો બધાને ફ્રી વેક્સિન લગાવી દેવામાં આવશે. અમે ભાજપની વેક્સિન નહીં લગાવી શકીએ.ֹ’’

‘‘મને લાગે ગોવાબાપા અખિલેશભાઈની સરકાર આવશે ત્યાં સુધીમાં તો કોરોના સિવાયની બીજી બે ત્રણ મહામારી આવીને ચાલી ગઈ હશે. હું સાચું કઉં, આમણે વેક્સિન લઈ જ લેવાય. પછી લેતા પકડાશે તો ભાજપના નેતાઓ ફોટા મૂક્યા મૂઈક થાશે.’’

સૌરવ ગાંગુલીને હાર્ટ અટેક

48 વર્ષના સૌરવ ગાંગુલીને ચાબુક હાર્ટઅટેક આવી ગયો. સવારમાં કસરત કરતા હતા પછી છાતીમાં દુખાવો ઉપડ્યો. હોસ્પિટલ દાખલ કર્યા અને હવે એમની તબિયત બિલકુલ સ્થિર છે. એટલે ચિંતાની વાત નથી ચાબુક દાદા રિકવર થઈ રહ્યા છે.

AIMIM લડશે

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ચાબુક ગુજરાતમાં ધીમી ગતિએ આગળ વધી રહી છે. તેમના વિશેના સમાચારો પણ ધીમી ગતિએ ગુજરાતી છાપાઓ અને ચેનલોને મળી રહ્યા છે. હવે એમની પાર્ટી AIMIM વોર્ડમાં ચૂંટણી લડે એવી શક્યતા છે. આ માટે ખાસ મુસ્લિમ અગ્રણીઓ સાથે એમણે બેઠક પણ કરી. AIMIM લઘુમતિઓની જ્યાં સંખ્યા હશે ત્યાં જ ચૂંટણી લડશે એ સમીકરણ તો સ્પષ્ટ જ છે ચાબુક. અને એમાં વારોય મોટા સીટી જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટ. વડોદરા સહિતનો જ આવશે.

અમદાવાદમાં કોરોનાની નવી સ્ટ્રેન

પણ આ વચ્ચે દુ:ખ તો એ છે ચાબુક કે અમદાવાદમાં કોરોનાની નવી સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. ચાર દર્દી બ્રિટનથી આવ્યા હતા. એમનો રિપોર્ટ કરી પુણેની લેબમાં મોકલવામાં આવ્યો હતો. પાછા ચાર જ નહીં, બીજા 6 દર્દીઓના રિપોર્ટ પણ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. અને આ તમામ દર્દીઓને SVP હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

‘તમે કાં ઢીલા થઈ ગયા.’

‘મને પાક્કી ખાતરી છે. મને નવી સ્ટ્રેનેય થાશે.’

‘હા અને પછી નવી સ્ટ્રેનને તમે થાશો.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments