ગોવાબાપા : હે ચાબુક શરૂઆતમાં જ્યારે મને ખબર પડી કે પુણેની સીરમ ઈન્સ્ટીટ્યુટમાં ધડાકાભેર આગ લાગી ગઈ છે તો મારો જીવ તો તાળવે ચોંટી ગયો, ક્યાંક વેક્સિન તો નહીં સળગી ગઈ હોય ને. ? કારણ કે હજુ તો કોરોનાની માથાકૂટમાંથી બેઠા થવા જઈ રહ્યા છીએ ને ત્યાં આટલો મોટો આંચકો ? વેબસાઈટોમાં બે બે ફકરા વાંચ્યા ત્યાં સુધી તો હ્રદય હેઠું નહોતું બેહતું, ત્રીજો ફકરો વાંચ્યો ત્યારે ખબર પડી કે વેક્સિનને કંઈ નથી થયું. આ સમાચારવાળા ક્યારે બીવડાવવાના બંધ કરશે ખબર નહીં. હાલ જો હું તને આખે આખી વાત કઉં.
મહારાષ્ટ્રના પુણેમાં સીરમ ઈન્સસ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના ટર્મિનલ એક ગેટમાં આગ લાગી ગઈ. આગ લાગ્યા ભેગા ફાયરના બંબા વાઉ… વાઉ… વાઉ કરતા આવી પહોંચ્યા. એ પછી આગ ઠારવાની સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી.
કયા ઠેકાણે લાગેલી એ તને કઉં તો પુણેમાં મંજરી સ્થિત સીરમ ઈન્સસ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના નવા પ્લાન્ટમાં લાગી હતી. 300 કરોડના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર થયો હતો. ગત્ત વર્ષે જ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને તેનું ઉદ્ધાટન કર્યું હતું. આ એ ભાગ હતો જે અંડરકન્સ્ટ્રક્શનમાં આવતો હતો. સાચું કામ તો બીજા ભાગમાં ચાલતું હતું. જેથી વેક્સિનને કોઈ અસર નથી થઈ. આગ વધારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે એવું તેના ધુમાડાના ગોટે ગોટાના કારણે લાગતું હતું.
હવે ચાબુક છેલ્લી ખબર પ્રમાણે તો સીરમ ઈન્સ્ટીટ્યુટના સીઈઓ અદાર પુનાવાલાએ કીધું છે કે, ‘‘અમને તુરંત દુ:ખદ ખબર મળી. આ ઘટનામાં કેટલાક લોકોનો જીવ ગયો છે. અમે ખૂબ જ દુ:ખી છીએ અને પીડિત પરિવારના સભ્યો સાથે અમારી સહાનુભૂતિ છે.’’
તો ચાબુક આગની આ ઘટનામાં કુલ 5 લોકો મોતને ભેટ્યા છે.
ગૌતમ ગંભીરે દાન કર્યું
હવે આપણે જઈએ રામ મંદિર અને ગૌતમ ગંભીર પાસે. હમણાં હમણાં તો રામ મંદિર માટે દાન થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દાન કર્યું એ પછી ગૌતમ ગંભીરે પણ રામ મંદિર માટે દાન કર્યું છે. તો ઘણા ઠેકાણેથી એવા સમાચાર પણ આવ્યા કે રામ મંદિર માટે નકલી ફાળો એકઠો કરતા નબીરા જબ્બે થયા છે.
ગૌતમ ગંભીરે એક કરોડ રૂપિયા દાન કરતા કહ્યું છે કે, આખરે એક જૂનો મુદ્દો પૂરો થઈ ગયો છે. આનાથી એકતા અને શાંતિનો માર્ગ સામે આવશે. મેં અને મારા પરિવારે એક નાનું યોગદાન આપ્યું છે.
હવે તને લિસ્ટ આપું કે કોણ કોણ છે જેણે રામ મંદિર માટે દાન કર્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૌતમ ગંભીર સિવાય, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના લોકોએ રામ મંદિર માટે દાન કર્યું છે.
શેર ઉછળ્યા
ચાબુક વાત કરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકઆંકની. 21 જાન્યુઆરીએ તો એણે રેકોર્ડ તોડી નાખ્યો. પહેલી વખત સેનસેક્સનો આંકડો 50 હજાર ઉપર વયો ગ્યો. સવારમાં 304 આંકડા સુધી હતો એ ઝડપ પકડતા 50,096એ ખુલ્યો. ત્યાં નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી પણ આગળ વધ્યો. એ 86ના આંકડાથી 14,730ના અંક પર ખુલ્યો.
જેના શેર વધ્યા છે એમાં બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ, યુપીએલ, ઈડસઈડ બેંકનો સમાવેશ થાય છે. હવે તને કારણ કઉં ચાબુક કે સેન્સેક્સ આટલું આગળ કેવી રીતે વધી ગયું. અચાનક એણે ઐતિહાસિક ભૂસકો કેમ માર્યો ? તો કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાયડને શપથ ગ્રહણ કર્યા એ પછી તેણે ઝડપ પકડી. 20 જાન્યુઆરીના રોજ એમણે શપથ લીધા. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પછી સત્તા પરિવર્તન કરતા દેશ વિદેશના શેરબજારો ઊંચા થઈ ગયા.
આ પહેલી વખત નથી હો ચાબુક. બુધવારે પણ બજાર વધ્યું હતું. વેપારની શરૂઆતમાં સેન્સેક્સ 110 આંકડાઓથી વધીને 49,508.79 પર ખુલ્યો હતો અને થોડા જ વખતમાં 209 અંકનો ઉછાળ આવી ગયો હતો. આને શું કહેવાય ?
‘હા મોજ હા…’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત