Homeતાપણુંહાર્દિકની હૈયાવરાળઃ ‘કોંગ્રેસે ઉદયપુરમાં ચિંતન શિબિર કરવાની જગ્યાએ પોતાની જાત પર ચિંતન...

હાર્દિકની હૈયાવરાળઃ ‘કોંગ્રેસે ઉદયપુરમાં ચિંતન શિબિર કરવાની જગ્યાએ પોતાની જાત પર ચિંતન કરવાની જરૂર’

Team Chabuk-Political Desk: ગઈકાલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદેથી અને પાર્ટીમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતમાં જાતિવાદની રાજનીતિ કરી રહી છે. હાર્દિક કહ્યું કે, અમે 2015માં ખૂબ ઈમાનદારીથી, સારી ભાવનાથી આંદોલન કર્યું હતું. જે સપના સાથે કોંગ્રેસમાં આવ્યો હતો. 2015 અને 2017ની ચૂંટણીઓમાં અમારી જેવા યુવાનોએ પ્રયાસ કરીને કોંગ્રેસને ફાયદો કરાવ્યો હતો. પરંતુ કોંગ્રેસમાં જોડાયો ત્યારે ખબર પડી. આપણે ત્યાં કહેવત છે કે, જ્યાં સુધી ભોગવો નહીં ત્યાં સુધી ખબર ન પડે.

હાર્દિક પટેલે કહ્યું કે, 2019થી અત્યાર સુધી કોંગ્રેસને નજીકથી જાણી ત્યાર ખબર પડી કે કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે. મને કાર્યકારી પ્રમુખ બનાવ્યો પણ બે વર્ષથી મારી જવાબદારી નક્કી કરવામાં નથી આવી. જનતાનો અવાજ ઉઠાવવાની કોશિશ કરી તેમ છતાં મને જવાબદારી નથી આપી. કોંગ્રેસમાં પાંચ-છ નેતાઓ પોતાને મનફાવે તેવી વાતો કરે છે. કોંગ્રેસ પાર્ટી નેતાઓ, ધારાસભ્યોનો ઉપયોગ કરી ફેંકી દે છે. ચિમનભાઈને પણ આવી જ રીતે હટાવી દેવાયા હતા. નરહરિ અમીનને પણ આવી જ રીતે હટાવી દેવાયા હતા. કોંગ્રેસની અંદર મજબૂતીથી અવાજ ઉઠાવે ત્યારે તેને હટાવી દેવાય છે.

હાર્દિકે કહ્યું કે, કોંગ્રેસમાં સાચી વાત કરવાની કોશિશ કરી ત્યારે અમારી વિરુદ્ધ ખોટી વાતો કરી. કોંગ્રેસમાં અન્ય સમાજના ધારાસભ્યો સાથે પણ અન્યાય થયો છે. હાર્દિકે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસે ઉદયપુરમાં બેસીને ચિંતન શિબિર કરવાની જગ્યાએ પોતાની જાત પર ચિંતન કરવાની જરૂર છે.

કોંગ્રેસમાં મારા વ્યક્તિને ટિકિટ આપવામાં આવે છે સારા વ્યક્તિને નહીં. કોંગ્રેસ પોતાના સ્વાર્થ માટે જનતાનો ઉપયોગ કરે છે. દિલ્હીની અંદર બેઠેલા ગુજરાતના નેતાઓ રાહુલ ગાંધીને કહે છે કે ગુજરાતમાં ક્યારેય રિઝલ્ટ મળવાનું નથી બહું ધ્યાન ન આપો. ગુજરાતના નેતાઓ રાહુલજીને કઈ ચિકન સેન્ડવીચ આપવાની છે એની ચિંતા કરે  છે મુદ્દા આપવાની વાત નથી કરતાં. 2017ની ચૂંટણીમાં અમારા જેવા લોકોનો ઉપયોગ થયો છે. કોંગ્રેસ ના ગુજરાતનું સારું કરવા માંગે છે ના ગુજરાતની જનતાનું.

છેલ્લા સાત વર્ષમાં કોંગ્રેસના નેતાઓના મોઢે અદાણી-અંબાણીને ગાળો સાંભળી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મેં એક-એક વાત કરી છે. કોંગ્રેસને મેં આપ્યું છે, લીધું નથી. મારા બાપ કોઈ મંત્રી કે ધારાસભ્ય ન હતા. જે લોકો તમને કામ જ ન કરવા દેવાના હોય તેની સાથે રહીને કોઈ ફાયદો ન હતો.

ભાજપમાં જોડાવા અંગે હાર્દિક પટેલે કહ્યું કે, ભાજપમાં જવાનો કોઈ નિર્ણય નથી. જે દિવસે નિર્ણય કરીશ તે દિવસે સ્પષ્ટ કરીશ. સમયાંતરે તમારે જનતાના હિત માટેના નિર્ણય કરવાનો છે. મેં મારા ત્રણ વર્ષ બગાડ્યા તેનો મને અફસોસ છે. આ ત્રણ વર્ષ હું જનતાની સેવા કરી શક્યો હોત. મેં કોંગ્રેસનો ઉપયોગ નથી કર્યો કોંગ્રેસે મારો ઉપયોગ કર્યો છે.

મેં નરેશ પટેલ અંગે કહ્યું હતું કે, હું જે નિર્ણય લઈશ તે નરેશભાઈને પૂછીને જ લઈશ. અમે થોડા દિવસ પહેલાં મળ્યા ત્યારે મેં નરેશભાઈને કહ્યું હતું કે, કોંગ્રેસે 2017માં મારો ઉપયોગ કર્યો હતો તેમ 2022માં તમારો ઉપયોગ કરશે ધ્યાન રાખજો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments