Team Chabuk National Desk: દેશમાં અવાર-નવાર પ્રાણીઓને ઈજા પહોંચાડવા કે તેને મારી નાખવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી જ રહે છે. પશુ-પ્રાણીઓ સાથે બર્બરતાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. પશુ-પ્રાણીઓ સાથે બનતી આવી ઘટનાઓને જોઈને સવાલ થાય કે માનવી આટલો ક્રૂર કેમ બની ગયો. તાજેતરમાં ગુજરાતમાં ત્રણ આવી મોટી ઘટના બની ગઈ છે. તેના પર એક નજર કરીએ.
નંબર-1
સુરતમાં કોઈ વ્યક્તિએ શ્વાનને ચિકનમાં ઝેર ભેળવીને ખવડાવી દીધુ. પાછળથી ખબર પડી હતી કે તેમાંથી એક કૂતરીને ગર્ભ હતો તે ટૂંક સમયમાં બચ્ચાંને જન્મ આપવાની હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ખૂબ વિરોધ થયો અને દોષિત સામે કાર્યાવાહીની માગણી પણ થઈ.
નંબર-2
ગીર સોમનાથ જિલ્લામાં કોઈએ આંખલનાના પેટમાં સળિયો ભોંકી દીધો હતો. આંખલાની સારવાર પણ કરાઈ. જો કે, કમનસીબે આજે એ આપણી વચ્ચે નથી. ત્યારબાદ ફરી ઘટના રિપીટ થઈ સોશિયલ મીડિયા પર લોકોએ રોષ ઠાલવ્યો. પરંતુ દોષિતો હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસ તેમનું પગેરું શોધી શકી નથી.
નંબર-3
ગીરના જંગલમાંથી સિંહનો શિકાર કરતી ટોળકી ઝડપાઈ છે. કેટલાક હજુ પણ ફરાર છે. ફાંસલામાં ફસાયેલા સિંહબાળને લેવા જતાં ગેંગના મુખ્ય આરોપી પર સિંહણે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
તો કેરળમાં ગર્ભવતી હાથણી સાથે બનેલી ઘટના પણ કેમ ભૂલી શકાય ?
પ્રાણીઓ સાથે ક્રુરતા સાંખી નહીં લેવાય. ઉપરની આ ઘટનાઓ એટલા માટે યાદ કરાવી છે કારણ કે, અત્યાર સુધીમાં આવા લોકો કોઈને કોઈ રીતે છૂટી જતાં હોય છે. દંડ પણ માત્ર સામાન્ય 50 રૂપિયા જેટલો હતો. સરકાર 60 વર્ષ જૂના પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટૂ એનિમલ્સ એક્ટ (PCA)માં સંશોધન કરી દંડની રકમ 75 હજાર રૂપિયા કરવાની વિચારણા કરી રહી છે. તેના માટે પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ ઉપરાંત પાંચ વર્ષની સજા અથવા સજા અને દંડ બંનેનો પણ પ્રસ્તાવ રજૂ કરાયો છે.
ડ્રાફ્ટમાં ત્રણ કેટેગરીમાં ગુનાઓની દરખાસ્ત કરવામાં આવી છે. આમાં નાની ઇજાઓ, મોટી ઇજાઓ જે કાયમી અપંગતાનું કારણ બને છે અને ક્રૂર અભ્યાસના કારણે પ્રાણીનું મૃત્યુ પણ સામેલ છે. આ મુસદ્દામાં વિવિધ ગુનાઓ માટે રૂ.750થી 75,000 સુધીની દંડ અને પાંચ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.
અત્યારે કેટલો દંડ ?
વર્તમાન કાયદા હેઠળ કોઈપણ પ્રાણીને મારવા, લાત મારવી, ત્રાસ આપવો, ભૂખે મારવું, ઓવરલોડિંગ, ઓવરરાઈડિંગ જેવી ક્રૂરતા બદલ 10થી 50 રૂપિયાના દંડની જોગવાઈ છે. આમાં ક્રુરતા માટે વિવિધ પ્રકારના ગુનાઓ સામેલ નથી.
રાજ્યસભામાં ગૂંજ્યો મુદ્દો
કાયદામાં પ્રાણીની વ્યાખ્યા મનુષ્ય સિવાયના કોઈ પણ જીવિત પ્રાણી તરીકે કરવામાં આવી છે. શુક્રવારે રાજ્યસભામાં સંસદના પ્રશ્નના લેખિત જવાબમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી પ્રધાન ગિરિરાજસિંહે કહ્યું હતું કે ‘પીસીએ, 1960માં સુધારો કરવાની જરૂરિયાતને સરકારે વધુ કડક સજાઓ લગાવીને માન્યતા આપી છે. તૈયાર કરેલા સુધારામાં નાણાકીય દંડ અને સજાની જોગવાઈઓનો સમાવેશ થાય છે.
હાથણીના મોત અંગે પૂછાયો હતો સવાલ
જોકે મંત્રીએ નાણાકીય દંડ અને સજાના પ્રમાણની વિગતો આપી નથી. રાજ્યસભાના સાંસદ રાજીવ ચંદ્રશેખરે કેરળના એક કેસનો ઉલ્લેખ કરતાં પૂછ્યું હતું કે, ગયા વર્ષે એક હાથણી ફટાકડાથી ભરેલું અનાનસ ખાઈ ગઈ અને બોમ્બ તેના મોઢામાં ફૂટ્યો ત્યારબાદ તેનું મોત થયું હતું. આ મુદ્દે કરેલા સવાલના જવાબમાં જ ગિરિરાજ સિંહે જવાબ આપ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત