Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં જન્મ દેનારી જનેતાને ક્રુરતાપૂર્વક રહેંસી નાખનારા એક પાપી પુત્રને મહારાષ્ટ્રની કોર્ટે મોતની સજા સંભળાવી છે. આ પાપી પુત્રએ માતાની સાથે જે કર્યું હતું તેનાથી તેને મોતની સજા પણ ઓછી પડે. જિલ્લા અને સત્ર ન્યાયાધીશ મહેશ જાધવે આ હત્યાને રેયરેસ્ટ ઓફ ધ રેયરમાં ખપાવી હતી. અર્થાત્ દુર્લભ કેસ.
28 ઓગસ્ટ 2017માં મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના મકડવાડા સોસાઈટીની આ ઘટના છે. બપોરના બે વાગ્યે આરોપી સુનીલ રામા કુચકોરવીએ પોતાની 62 વર્ષીય માતા યલ્લવા રામા કુચકોરવી પાસેથી દારૂના રૂપિયા માગ્યા હતા. માતાએ રૂપિયા આપવાની ના પાડતા આ યુવકે પિત્તો ગુમાવ્યો હતો. તેણે તીક્ષ્ણ હથિયારથી માતાને રહેંસી નાખી હતી. પાડોશીઓને જ્યારે કમકમાટી ઉપજાવતી આ ઘટનાની જાણકારી મળે ત્યારે આરોપી ત્યાંથી ભાગી છૂટવાની ફિરાકમાં હતો. લોકોએ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ હત્યા કર્યા બાદ મૃતદેહના ટૂકડા ટૂકડા કરી નાખ્યા હતા અને તેને પકવવાની કોશિશ કરી હતી. તેના મોઢાના ભાગે પણ લોહી લાગ્યું હતું. પોલીસે આ સમગ્ર ઘટનામાં 12 વિટનેસને હાજર કર્યા હતા. જોકે હત્યાનો કોઈ પ્રત્યક્ષદર્શી નહોતો મળ્યો. એવામાં કોર્ટે પરિસ્થિતિજન્ય પ્રમાણના આધાર પર માતાની હત્યા કરનારા નરાધમ પુત્રને દોષિત ઠેરવ્યો હતો.
આ સમગ્ર કેસની તપાસ કરનારા પોલીસ ઈન્સપેક્ટર એસ.એસ.મોરેએ કેસના ગૂંચવાયેલા કોયડાને ઉકેલવા માટે ડીએનએ પ્રોફાઈલિંગની મદદ લીધી હતી. આ વિશે મોરેએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘મેં મારી પોલીસ તરીકેની કારકિર્દીમાં મુંબઈથી લઈને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પણ લાશ જોઈ છે. આ તેમાં સૌથી જધન્ય ક્રુત્ય હતું. અમે સાવધાનીપૂર્વક આરોપીના પેટની અંદર, હાથ અને પગમાંથી ડીએનએના નમૂના એકત્રિત કર્યા હતા. તમામ નમૂનાઓ મૃતકની સાથે મેચ થતાં હતાં. 12 વિટનેસે પણ અમને સહકાર આપ્યો હતો. એ સિવાય મર્ડરની જગ્યાની સ્થિતિ અને લાશની દશા એ સાબિત કરવા માટે પર્યાપ્ત હતા કે આરોપીએ કેટલી બર્બરતા આચરી છે.’
નિર્ણય આવ્યા બાદ જિલ્લાના એસપીએ આ હત્યાકાંડની ગુત્થીનો ઉકેલ લાવનારી ટીમને 15 હજાર રૂપિયાનું ઈનામ આપ્યું છે. કોર્ટે આરોપી સુનીલને મૃત્યુદંડ આપવા સિવાય 25 હજાર રૂપિયાનો જુર્માનો પણ લગાવ્યો છે. જો આરોપી આ પૈસા નથી ભરતો તો તેને અતિરિક્ત છ મહિના જેલમાં વિતાવવાના રહેશે.
આ સમગ્ર ઘટનામાં બચાવ પક્ષના વકિલ વિજય લંબોરેએ જણાવ્યું હતું કે, ‘આરોપીના પરિવારજનો આ નિર્ણયથી સંતુષ્ટ નથી. તેઓ આ નિર્ણયની વિરૂદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરશે. અમે કેસ સાથે સંલગ્ન તમામ કાગળો તેમના પરિવારજનોને સોંપી દીધા છે. જેથી તે આગામી કાયદાકીય કાર્યવાહી કરી શકે.’
મોતની સજાની વાત કરવામાં આવે તો વર્ષ 2000થી 2020 સુધીમાં દેશમાં 10 લોકોને ફાંસી આપવામાં આવી છે. 31 ડિસેમ્બર 2020 સુધીમાં દેશભરમાં 404 એવા કેદી હતા જે ફાંસીની સજાની પ્રતિક્ષામાં છે. સૌથી વધારે સંખ્યા ઉત્તર પ્રદેશ જિલ્લાના કેદીઓની છે. અહીંની જેલમાં એવા 59 કેદીઓ છે જેને ફાંસીની સજા મળવાની છે. એ પછી મહારાષ્ટ્રમાં 45 અને મધ્યપ્રદેશમાં 37 કેદીઓ છે. છેલ્લે નિર્ભયા હત્યાકાંડના દોષિતોને ફાંસીના માચડે ચડાવવામાં આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત