Homeતાપણું‘કોંગ્રેસ વિકલ્પ બનવાની ક્ષમતા ખોઈ બેઠો છે’ કહેનારા ઈન્દ્રનીલ ફરી પાછા કોંગ્રેસમાં...

‘કોંગ્રેસ વિકલ્પ બનવાની ક્ષમતા ખોઈ બેઠો છે’ કહેનારા ઈન્દ્રનીલ ફરી પાછા કોંગ્રેસમાં જોડાયા

Team Chabuk-Political Desk: કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ (indranil rajyaguru) ફરી પાછા કોંગ્રેસમાં (congress) જોડાઈ ગયા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટી (aam aadmi party) છોડીને કોંગ્રેસનો પંજો પકડી લીધો છે. સાડા છ મહિના જેટલા ટૂંકા ગાળામાં જ ઈન્દ્રનીલે આમ આદમી પાર્ટી છોડતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 14 એપ્રિલના રોજ રાજકોટ પુર્વ બેઠકના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે આજે તેમણે દિલ્હી ખાતે રઘુ શર્મા અને જગદીશ ઠાકોરની હાજરીમાં ફરીથી કોંગ્રેસ સાથેનો નાતો જોડી લીધો છે.

કોંગ્રેસમાં જોડાતાં જ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે, મારા પિતાના સમયથી કોંગ્રેસમાં રહ્યો છું. કોંગ્રેસ છોડવા પર પરિવાર સહમત નહોતો. હું આમ આદમી પાર્ટીમાં એટલે ગયો કે ભાજપ દેશ માટે ખરાબ પાર્ટી છે અને તેને ગુજરાતમાં હરાવવી જરૂરી છે તેથી મેં AAP જોઈન કરી કદાચ ત્યાંથી હરાવી શકું પણ AAPની જે રીતની ફંક્શનિંગ જોઈ જેમ ભાજપ લોકોને મૂર્ખ બનાવે તેમ આમ આદમી પાર્ટી પણ લોકોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસમાં આવું ક્યારેય નહોતું થતું અને તે મને સારું લાગે છે એટલે હું ફરીથી અહીં આવ્યો છું. આમ આદમી પાર્ટી લોકોને મૂર્ખ બનાવીને ન માત્ર સત્તામાં આવવા માંગે છે પણ ભાજપ સત્તામાં રહે તે માટે B ટીમ તરીકે કામ કરે છે. તેથી હું મારા પોતાના ઘરે આવી ગયો છું અને મને સારું લાગી રહ્યું છે.

મહત્વનું છે કે, ઈન્દ્રનીલ રાજ્યગુરુ 14 એપ્રિલના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે તેમણે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ પક્ષ માટે નહીં ભારતની જનતા માટે કામ કરે છે. આમ આદમીનો જ પક્ષ બને તેવી તેમની માન્યતા છે. તેમની આ વાતથી હું પ્રભાવિત થયો હતો. મારું સ્ટેન્ડ હંમેશા લોકો માટે રહ્યું છે. કોંગ્રેસ વિકલ્પ બનાવની ક્ષમતા ખોઈ બેઠો છે. પુષ્કળ મહેનત કરવા છતાં પણ લોકો મન મનાવીને બેઠા છે કે કોંગ્રેસને મત આપવો નથી.

ઈન્દ્રનીલ રાજ્યગુરુના કોંગ્રેસમાં જોડાવા અંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું છે કે, ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રીનો ચહેરો બનવા માંગતા હતા અને તે માટે તેઓ પાર્ટી પર દબાણ કરતાં હતા. હવે જ્યારે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને કોંગ્રેસ તેમને મુખ્યમંત્રીનો ચહેરો બનાવે તેવી આશા વ્યક્ત કરું છું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments