Team Chabuk-National Desk: દિલ્હી પોલીસના નવા કમિશ્નર તરીકે 1984ની બેંચના ભારતીય પોલીસ સેવાના (IPS) અધિકારી રાકેશ અસ્થાનાની નિમણૂક કરવામાં આવી છે. રાકેશ અસ્થાના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આ આદેશને લઈ બુધવારના રોજ એટલે કે આજથી રાકેશ અસ્થાના પોતાનો ચાર્જ સંભાળશે. રાકેશ અસ્થાના હાલ સીમા સુરક્ષા બળ (બીએસએફ) ના મહાનિર્દેશક (ડીજી) પદ પર નિયુક્ત છે. તેઓ આગામી એક વર્ષ સુધી દિલ્હી પોલીસ કમિશ્નર તરીકેનો પદભાર સંભાળશે. રાકેશ અસ્થાના જ્યારે સુરતના કમિશ્નર હતા ત્યારે આસારામ કેસની તપાસ કરી હતી. જેમાં આસારામ અને તેના દીકરા નારાયણ સાંઈની ધરપકડ કરવામાં આવી હતી.
એ રાકેશ અસ્થાના જ હતા જેમના નેતૃત્વ હેઠળ સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસની તપાસ થઈ હતી. જણાવી દઈએ કે રાકેશ અસ્થાના 1984નાં ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે અને હાલ બીએસએફના ડીજી અને એનસીબીના ચીફ છે. આ પહેલા રાકેશ અસ્થાના સીબીઆઈ સ્પેશિયલ ડિરેક્ટર પદે પણ હતા. રાકેશ અસ્થાનાએ બીએસએફમાં રહેતા કેટલાય મોટા ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું. નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)માં પદભાર સંભાળતા તેમણે દિલ્હી, મુંબઈ અને દેશના કેટલાય રાજ્યોમાં મોટા મોટા ડ્રગ્સ ઓપરેશન પણ કર્યા હતા. હાલમાં સીબીઆઈ ડિરેક્ટર પદ માટે પણ રાકેશ અસ્થાનાના નામની ચર્ચા ચાલી રહી છે.
મેમોરેન્ડમમાં શું કહ્યું?
મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા મેમોરેન્ડમાં લખવામાં આવ્યું છે કે, ‘BSFના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સક્ષમ પ્રાધિકારી ITBPના ડાયરેક્ટર જનરલ એસએસ દેસવાલને BSFના ડારેક્ટર પદનો અતિરિક્ત કાર્યભાર સોંપવામાં આવે છે. તેઓ આ પદ પર યોગ્ય અધિકારી ન મળે ત્યાં સુધી અથવા તો આગામી આદેશ સુધી કાર્યભાર સંભાળશે. રાકેશ અસ્થાનાને તુરંત રિલીવ કરવાનો અનુરોધ કરવામાં આવે છે. જેથી તેઓ દિલ્હી પોલીસ કમિશ્નરના રૂપે જોઈન થઈ શકે.’
મહત્વના કેસ
રાકેશ અસ્થાના ધનબાદમાં સીબીઆઈના લાંચરુશ્વત શાખામાં એસપી રહી ચૂક્યા છે. રાંચીમાં તેઓ ડીઆઈજી પણ રહ્યા હતા. 1994માં તેઓ સનસનાટી મચાવતા પુરુલિયા આર્મ્સ ડ્રોપ કેસનાં ફિલ્ડ ઈન્વેસ્ટિગેશન સુપરવાઈઝર હતા. તેઓને બિહારના ચારા ઘોટાલાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં તેમણે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદની ધરપકડ કરી હતી. અસ્થાના એ પોલીસ ઓફિસર છે જેમણે ધનબાદમાં ડીજીએમએસના મહાનિર્દેશકને લાંચ લેતા પકડ્યા હતા. રાકેશ અસ્થાનાએ ગોધરા કાંડની પણ તપાસ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટના આદેશ પર આર.કે રાઘવનની આગેવાનીમાં ગઠિત થયેલ SITએ પણ યોગ્ય ઠેરવ્યું હતું. અમદાવાદમાં 26 જુલાઈના રોજ 2008માં બોમ્બ બ્લાસ્ટની તપાસમાં રાકેશ અસ્થાના જ હતા. 22 દિવસમાં જ રાકેશે આ કેસ સોલ્વ કરી નાખ્યો હતો.
વિવાદો સાથે નાતો
રાકેશ અસ્થાના દેશના સૌથી ચર્ચિત આઈપીએસ ઓફિસરમાંથી એક છે. કેટલીય વખત મીડિયામાં તેમનું નામ ચમકતું રહ્યું છે. આ અધિકારીએ ગયા વર્ષના વિવાદિત રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત કેસમાં બે એફઆઈઆર ફાઈલ કરી હતી. બીએસએફના ડીજી બનાવતા પહેલા અસ્થાના સીબીઆઈમાં સ્પેશિયલ ડાયરેક્ટર હતા. તેઓ આ પદ પર હતા ત્યારે તત્કાલિન સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માએ તેમના વિરૂદ્ધ કથિત રૂપથી લાંચ લેવાનો કેસ ફાઈલ કરાવ્યો હતો. બીજી બાજુ અસ્થાનાએ પણ આલોક વર્મા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. બાદમાં કેન્દ્ર સરકારે આ બંને અધિકારીઓની અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ કરી નાખી હતી. જોકે આલોક વર્માએ આખરે રાજીનામું આપી દીધું હતું.
એક્સટેન્શન
રાકેશ અસ્થાના નિવૃત્ત થવાના હતા. તારીખ હતી 31 જુલાઈ. એ પહેલા જ સરકારે તેમને એક વર્ષનું એક્સટેન્શન આપી દીધું અને દિલ્હી પોલીસ કમિશ્નર બનાવી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસમાં એવી ચર્ચા છે કે હાલના પોલીસ કમિશ્નર બાલાજી શ્રીવાસ્તવને આ પદભાર સંભાળ્યે માંડ એક મહિનો થયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત