2020ની વિદાય અને 2021નું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે વર્ષ બદલાવાની સાથે તમારી સાથે જોડાયેલી કેટલીક બાબતો અને નિયમો પણ બદલાઈ રહ્યા છે. 1 જાન્યુઆરી 2021થી કેટલાક નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે તો કેટલીક બાબતોનું તમારે ધ્યાન રાખવું પડશે. 1 જાન્યુઆરી 2021થી શું થઈ રહ્યા છે ફેરફાર જાણી લો.
ફાસ્ટટેગ તો જોઈશે
નવા વર્ષમાં સૌથી મોટો ફેરફાર છે ફાસ્ટટેગના નિયમનો. ટોલબુથ ધરાવતા હાઈવે પરથી નવા વર્ષથી નીકળવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો પહેલા ફાસ્ટટેગ મેળવી લેજો. કેમ કે 1 જાન્યુઆરી 2021થી સરકારે ફાસ્ટટેગ ફરજિયાત બનાવી દીધો છે. અને જો ફાસ્ટટેગ નહીં હોય તો ખિસ્સા પર ભાર પડી શકે છે, સમજી ગયાને ? કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 24 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે જો વાહનો પર ફાસ્ટટેગ નહીં લગાવેલું હોય તો 1 જાન્યુઆરીથી તમને ફાસ્ટટેગ લાઈનમાં પ્રવેશ નહીં મળે. અને જો ભૂલથી પણ ફાસ્ટટેગ વિના ફાસ્ટટેગની લાઈનમાં ઘુસી ગયા તો જેટલો ટોલટેક્સ હશે એનો ડબલ ભરવા તૈયારી રાખજો. ફાસ્ટટેગનો નિયમ સરકાર એટલા માટે લાવી છે કે ટોલબુથ પર વાહનોની લાઈનો ન લાગે અને ઝડપથી વાહનો પસાર થઈ શકે. જો તમારા વાહન પર ફાસ્ટટેગ લાગેલું હશે તો ઓટોમેટિક તમારા ખાતામાંથી રૂપિયા કપાઈ જશે. જેથી ટોલબુથ પર કેશ પેમેન્ટ કરવાની ચિંતા નહીં રહે.
કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરવાની સીમા વધી
ઘણી વખત તમે મોલમાં કે કોઈ શોપિંગ માટે જાવ છો તો ત્યાં તમે રોકડા રૂપિયા ચૂકવવાની જગ્યાએ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરતાં હશો. જેના માટે તમે પીઓએસ મશીનમાં સ્વાઈપ કર્યા વગર પેમેન્ટ કરી શકો. મશીનમાં તમારે પીન નંબર નથી નાખવો પડતો. જેને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કહેવાય છે. જેની સીમા અત્યાર સુધી બે હજાર સુધીનું પેમેન્ટ કરવાની જ હતી. જો કે આરબીઆઈએ ક્રેડિટ-ડેબિટ કાર્ડથી થતાં આ કોન્ટેક્ટલેસ પેમેન્ટની લિમિટ વધારીને પાંચ હજાર કરી છે.જેથી હવે પાંચ હજાર સુધીનું પેમેન્ટ કોન્ટેક્ટલેસ થઈ શકશે. જેના માટે ગ્રાહકોએ પીઓએસ મશીનમાં પીન નંબર નહીં નાખવો પડે.
50 હજાર કે તેથી વધુનો ચેક હશે તો આ નિયમ લાગુ પડશે
ઓગસ્ટ 2020માં આરબીઆઈએ બેંકમાં ચેક ક્લિયરન્સ માટે નવો નિયમ જાહેર કર્યો હતો. જેને પોઝિટિવ પે સિસ્ટમ કહેવામાં આવે છે. જેની શરૂઆત 1 જાન્યુઆરી 2021થી થશે. ગ્રાહકોની સુરક્ષા વધારવા માટે 50 હજાર રૂપિયા અથવા તેનાથી ઉપરના તમામ ચેક પેમેન્ટ ઉપર પોઝિટિવ પે વ્યવસ્થા લાગુ પડશે. જેથી તમારે જો 50 હજારનો ચેક ખાતામાં જમા કરવો હશે તો ચેકના આગળના અને પાછળના ભાગનો ફોટો પાડીને બેંકની એપ્લિકેશન પર અપલોડ કરવો પડશે. જેને બેંકના અધિકારી ખરાઈ કરશે ત્યારબાદ જ પેમેન્ટ રિલીઝ થશે. છેતરપિંડીની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિયમ બનાવાયો છે.
તમારી પાસે આ મોબાઈલ હશે તો વોટ્સએપ ગાયબ થઈ જશે
વોટ્સએપ ઉપયોગ કરી રહેલા લોકો માટે આ સૌથી મોટા સમાચાર છે. 1 જાન્યુઆરી 2021થી કેટલાક મોબાઈલ ડિવાઈસમાં વોટ્સએપ બંધ થઈ જશે. ના મેસેજ આવશે કે ના મોકલી શકાશે. પરંતુ બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ નવો નિયમ બધાને લાગુ નહીં પડે પરંતુ જેના મોબાઈલની સિસ્ટમ બાબા આદમના વખતની એટલે કે જુની છે તેને લાગુ પડશે. જેમ કે તમારા મોબાઈલની એન્ડ્રોઈડ સિસ્ટમ 4.0.3 કે તેનાથી નીચા વર્ઝનની હશે તો વોટ્સએપ તમારા મોબાઈલમાંથી 1 જાન્યુઆરીથી ગાયબ થઈ જશે. તેથી જો તમારી પાસે આ પ્રકારના વર્ઝનનો મોબાઈલ હોય અને વોટ્સએપનો ઉપયોગ નિરંતર રાખવા માગતા હોય તો નવો મોબાઈલ ખરીદી લેજો. આ જુની ઓપરેટિંગ સિસ્ટમ ઉપર ચાલતા મોબાઈલના કેટલાક મોડેલની વાત કરીએ તો HTC DESIRE, LG OPTIMUS BLACK, MOTOROLA DROID RAZR, અને SAMSUNG GALAXY S2 છે.
જો તમે iPhoneનો ઉપયોગ કરો છો તો તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ ios 9 અથવા તે પહેલાની હશે તો વોટ્સએપ નહીં ચાલે. iPhone 4 અને તે પહેલાના મોડેલમાં વોટ્સએપ બંધ થઈ જશે. જો કે iPhone 4S, iPhone 5, iPhone 5S, iPhone 5C, iPhone 6, and iPhone 6S ને તમે iOS 9માં અપડેટ કરી શકો છો.
જીએસટીના નિયમ પણ બદલાશે
જીએસટીના જે નિયમ 1 જાન્યુઆરી 2021થી બદલાઈ રહ્યા છે તેની સીધી અસર નાના દુકાનદારો પર પડશે. 5 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર ધરાવતા ધંધાર્થીઓને હવેથી વર્ષમાં માત્ર 8 જીએસટી સેલ્સ રિટર્ન ભરવાના રહેશે. પહેલા 12 રિટર્ન ભરવા પડતાં હતાં. ચાર રિટર્ન GSTR-3Bના અને ચાર રિટર્ન GSTR-1ના ભરવા પડશે. આ બદલાયેલા નિયમની અસર દેશના મોટાભાગના ધંધાર્થીઓ પર પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત