હું મારા નાના ના અભ્યાસ ખંડને યાદ કરું છું. ચારે બાજુ પુસ્તકો જ હતા. ઓક્ટોબરની શરૂઆત પહેલા વર્ષમાં એક વખત સાફ સફાઈ કરવામાં આવતી હતી. મને વાંચતા નહોતું આવડતું. પણ તે પથ્થરોની કિંમત કરતા હું શીખી ગયો હતો. પુસ્તકો રાખવાના ઘોડામાં ઈંટોની જેમ ક્રમબદ્ધ ગોઠવાયેલી પુસ્તકોની દુનિયા. મને લાગતું કે મારા પરિવારની સમૃદ્ધિ પુસ્તકો પર જ નિર્ભર છે.
મારી મા મને વાર્તાઓ સંભળાવતી હતી. મને આશ્ચર્ય થતું હતું કે પુસ્તકો કેવી રીતે બોલી શકતા હશે? ધીમે ધીમે મને પણ વાંચતા આવડી ગયું. હું હક્ટર માર્લોની નાઈન ફેમિલી પુસ્તક લઈ લેતો, એ મને કંઠસ્થ થઈ ગઈ હતી. ઉપરના માળ પર ચાલ્યો જતો હતો. એ અધકચરૂ વાંચતા વાંચતા જ એક દિવસ હું છેલ્લુ પેજ પૂર્ણ કરી રહ્યો હતો અને વાંચતા શીખી ગયો. મારા આનંદનું કોઈ ઠેકાણું નહોતું. મારા નાના જેનો ઉપયોગ કરતાં હતાં તેનો હું ઉપયોગ કરવાનો હતો. વાંચીને તેના પ્રવચનોથી સૌને ભરી દેવાનો હતો.
મારા બાળપણમાં હું મારી મીઠી મુર્ખતાને યાદ કરું છું. એ કોઈ જગ્યાએ મળતી નથી. હું કોઈ દિવસ માટીથી નથી રમ્યો. ન કોઈ દિવસ ફુલ એકત્ર કર્યા છે. માળા પણ નથી શોધ્યા અને પક્ષીઓને કાંકરા પણ નથી માર્યા. પુસ્તકો જ મારા પક્ષી, મારા માળા, મારા પાળતુ જાનવર, મારા ખેતરો હતા.
એક પુસ્તક કરતાં વધારે કોઈ વસ્તુ મહત્વ નહોતી રાખતી. લાઈબ્રેરી જ મારું મંદિર હતું. દરેક વ્યક્તિનું આગવું સ્થાન હોય છે. એમ મારું આગવું સ્થાન પુસ્તકો જ હતા. કહી શકું કે હું પુસ્તકોમાં જ જન્મ્યો છું અને પુસ્તકોમાં જ મરીશ.
એક દિવસ લક્ઝમબર્ગની બેંચ પર મારી મા સાથે હું બેઠો હતો. આસપાસ બાળકો રમી રહ્યા હતા. તેમની સાથે રમવાની મને કોઈ ઈચ્છા નહોતી. મારી માએ મને પૂછ્યું, ‘એમની સાથે રમીશ નહીં?’
‘નહીં.’
થોડીવાર રહી મેં ફરી કહ્યું, ‘હું એમની માતાઓને પૂછું કે તેમના બાળકોની સાથે તમને રમવા દે.’
‘ના ના.’ મારી માતા તુરંત જ બોલી. એ એકધારી મને જોવા લાગી.
આ છે રાઈટર જ્યાં પોલ સાર્ત્રનું બાળપણ. તેમની આત્મકથા વર્ડ્સમાં છે. એમના વિશે છેલ્લા કેટલાય સમયથી ઓછું લખાય છે. માત્ર સાહિત્યમાં અને વિચારકોમાં જ એ યાદ રહી ગયા છે. ઘણી બધી ખબરો બને છે. એમના વિશે અઢળક લખાય છે. ચર્ચાઓ થાય છે. પણ સાર્ત્રનો મુદ્દો ચગતો નથી. સાહિત્યમાં પણ નહીં અને રાજકારણમાં પણ નહીં. વર્ષો થઈ ગયા. રાજકારણીઓ પણ હવે સાર્ત્રના કોઈ વિધાન વિશે બોલતા નથી.
મૃત્યુ પહેલા એમણે એક ઈન્ટરવ્યૂ આપેલું. જેમાં એમણે કહેલું કે, ‘જો સમગ્ર જીવનને જોઉં તો કહી શકું કે જીવનથી મને કોઈ જાતની ફરિયાદ નથી. જીવને મને તમામ વસ્તુ આપી છે. જેને હું ઈચ્છતો હતો. પણ મેં એ પણ અનુભવ કર્યો છે કે જે કંઈ પણ મળ્યું એ જ બધું નથી હોતું. આ માટે હું કે તમે કરી પણ શું શકીએ છીએ ?’
ઘણા પ્રશ્નો છે. લેખક લખે શું કામે ? સાર્ત્રનું ભેજું કહે છે કે, લેખક એ તમામ વાચકો માટે લખે છે. સાર્વજનિક વાચક માટે. જેની અનિવાર્યતા તમામ લોકો માટે હોય છે. જે લોકો એક જ સમયમાં, એક જ ઘટનામાં જીવન જીવ્યા છે. જેમણે એક જ જેવા સવાલ પૂછ્યા છે કે નકાર્યા છે, જેમના જીવનનો સ્વાદ એક જ છે. પુસ્તક. લેખની એ લોકો વચ્ચે સંપર્ક સ્થાપિત કરે છે. વાંચવું અને લખવું એ એક જ ઐતિહાસિક તથ્યના બે પહેલુ છે અને જે સ્વતંત્રતા માટે લેખક આપણને આમંત્રણ આપે છે. એ મુક્ત થવાની અમૂર્ત ચેતના છે. લેખક પોતાની સ્વતંત્રતાથી એક પરિચિત જગતને વીંધે છે અને જીવંત કરવા માગે છે.
મેમરીઝ ઓફ બ્યુટીફુલ ડોટરના પ્રથમ ખંડમાં સિમોન બોઉઆર લખે છે કે, હું પોતે પણ લેખક બનવા માગતી હતી, પણ સાર્ત્ર તો લખવા માટે જ પેદા થયા હતા. એ શું લખશે તેનું મહત્વ નહોતું ન તો એમના મનમાં આ વિષયને લઈ કોઈ પૂર્વભૂમિકા બંધાયેલી હતી. એમને તો તમામ વસ્તુઓમાં રસ હતો. દરેક વાતની પરીક્ષા કરતા હતા. કોઈ પૂર્વાનુમાનિત સત્ય માટે તેમની સ્વીકૃતિ નહોતી. એમણે પોતાની નોટબુક લખી હતી અને આપણી સાથે જે વાતો કરી, તેમાં એક સ્પષ્ટ વૈચારિક ઝલક વર્તાતી હતી.
સિમોન અને સાર્ત્ર લગ્નના બંધનમાં ન બંધાયા. આ વિશે સિમોને લખ્યું છે, અત્યાર સુધી અમે લગ્ન જેવા સામાજીક બંધન વિશે વિચાર્યું નહોતું. અમે પોતાની અંગત જિંદગી જીવવા માગતા હતા. સમાજની આ દખલગીરી માટે તૈયાર જ નહોતા. અમે કોઈ પણ પ્રકારની સંસ્થાની વિરૂદ્ધ હતા. કારણ કે તેને સ્વીકારવાનો અર્થ હતો સ્વતંત્રતાનો ખતરો.
એ પછી તો સિમોન માર્સેલ ચાલી જાય છે અને સાર્ત્ર પેરિસમાં પોતાના લેખન અને વાંચનમાં ડૂબી જાય છે. ઘણું લખે છે. ઘણું વાંચે છે.
સાર્ત્રના લેખન પર એક નજર કરીએ. 1938માં સાર્ત્ર નૌસિયા નામની નવલકથા લખે છે. સાથે જ અપ્રકાશિત નવલકથાઓ જેમ કે ધ એજ ઓફ રીઝન, આયરન ઈન ધ સોલ અને રિપ્રીવ પણ પ્રગટ થાય છે. રાજનીતિક વિચારોને લઈને એમણે 1944માં ઉઈ ક્લો, 1946માં લ મૂશ, 1946માં જ લે મૈં સાલ, એ જ વર્ષે વિક્ટર્સ, 1948માં ધ ડેવિલ, 1954માં કિન, 1955માં નેક્રાસોવ જેવા નાટકો લખ્યા. 1964ની સાલમાં ઈંગ્લેન્ડના પ્રકાશક દ્રારા બોદલેયર અને સ્યાં જેને પ્રકાશિત થઈ. 80ના દાયકામાં સિચ્યુએશન પણ ઈંગ્લેન્ડના પ્રકાશકો દ્રારા પ્રકાશિત કરવામાં આવી જેના દસ ખંડ હતા. ક્રિટીકના તો બે ખંડ અને કુલ 2,500 પેજ થાય છે. ફ્લોબર્ટની જીવની પર ત્રણ ખંડો લખ્યા. તેમનું લેખન જે છપાયું નહોતું એ તેમની મિત્ર સિમોને સંપાદિત કર્યું. જે એક તૃતિયાંશ થાય છે.
(સમાચાર, રાજકારણ, સાહિત્ય, સિનેમા, પ્રવાસ, રમત-જગત સહિતના વિવિધ વિષયો પર બનતી ઘટનાઓની રસપ્રદ, હળવીશૈલીમાં લેખ અને સમાચાર વાંચવા આજે જ The Chabukના વોટ્સએપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલી લિંક પર ક્લિક કરીને આપ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો.)