કાનપુર : દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા પોલીસ સ્ટેશન છે અને પોલીસ સ્ટેશનમાં તો કંઈ થાય નહીં. પોતાના જ નાક નીચેથી કોણ હાથ સાફ કરી જવાનું ? દૃશ્યમ ફિલ્મ જોનારાઓને તો ખ્યાલ જ હશે કે અજય દેવગને લાશ પોલીસ સ્ટેશનમાં દાટી દીધેલી. પોલીસ ગામ આખામાં શોધતી રહે પણ નાક નીચે ન શોધે. અને હવે એક આવો જ કિસ્સો કાનપુરમાં બની ગયો છે. જોકે કોઈ ખૂન નથી થયું, પણ કિસ્સો સાંભળશો તો હસી હસીને લોટ પોટ થઈ જશો.
જઈને જોઉં તો કાર દીસે નહીં
વાત છે 31 ડિસેમ્બર 2018ની. એ વખતે પણ વર્ષ પૂર્ણ થવાનું જ હતું. બધા પાર્ટીમાં વ્યસ્ત હતા અને મસ્ત હતા. કાનપુરના રહેવાસી ઓમેંદ્રી સોનીની કાર એક વોશિંગ સેન્ટરની બહારથી ચોરી થઈ ગઈ. રિપોર્ટ લખાવી. ખૂબ જ શોધખોળ કરી. પણ મળી નહીં. બે વર્ષ પછી 2020ની 30મી તારીખે અને બુધવારે તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો. એ એક ફોનથી ઓમેંદ્રી સોનીના હાથમાંથી મોબાઈલ પડતા પડતા રહી ગયો.
ફોનમાં કીધું શું ?
કાનપુરનું બર્રા, બર્રા પોલીસ સ્ટેશનમાં ઓમેન્દ્ર સોનીએ કાર ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી. બુધવારે સર્વિસ સેન્ટરથી ઓમેન્દ્રને ફિડબેક ફોન આવ્યો. આ ફોન ગાડીના માલિકને કરવામાં આવ્યો હતો. ફોન આવવા પર ઓમેંદ્ર ચોંકી ગયા. સર્વિસ સેન્ટર પહોંચ્યા ત્યારે ખબર પડી કે કાર બિઠૂર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કૌશલેન્દ્ર પ્રતાપ સિંહને સર્વિસ બાદ આપેલી હતી. સોની સાહેબ પોલીસ સ્ટેશને પહોંચી ગયા.
પોલીસ પણ દંગ
પાપ તો છાપરે ચડીને પોકારે. પોલીસ સાહેબનું પાપ પણ છુપાયું નહીં. ધીમે ધીમે કાનપુરના વડાઓ પાસે પણ વાયુવેગે વાત પહોંચી ગઈ કે પોલીસે જ આવો કારનામો કર્યો છે. એ પછી પોલીસધ્યક્ષે કારને પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી દીધી. અધિકારીઓએ રિપોર્ટ નોંધી લીધી. કૌશલેન્દ્રએ પોતાના સિનિયર અધિકારીઓને રિપોર્ટ આપી. જેમાં તેણે જણાવ્યું કે, 14 ડિસેમ્બરનાં રોજ કાર મળી હતી ત્યારે તેનો કોઈ માલિક નહોતો. એ પછી કારને પોલીસ સ્ટેશન લાવવામાં આવી. એ જ દિવસે શહેરમાં મોટી ઘટના બની હોવાના કારણે અને તાત્કાલિક પોલીસ પાસે કોઈ વાહન ન હોવાથી આ લાવારિસ વાહનની મદદ લેવી પડી.
પણ પોલીસની થૂ થૂ થઈ ગઈ
હવે જેની કાર ચોરી થઈ છે તે ઓમેન્દ્રજી ખૂબ સારા માણસ કહેવાય કે તેમણે ફરિયાદ પણ દાખલ નથી કરાવી અને મીડિયામાં કોઈ પ્રકારનું નિવેદન પણ નથી આપ્યું. જોકે ખબર સામે આવતા જ કાનપુર સહિત આખા દેશમાં પોલીસની થૂ થૂ થઈ રહી છે. જે કારની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં શોધવા માટે નોંધાવેલી તે બે બે વર્ષથી પોલીસ સ્ટેશનનો જ ઓફિસર ચલાવતો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ તાત્કાલિક તપાસના આદેશ આપી દીધા છે. આ વિશે કાનપુર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું છે કે, વાહનનો ઉપયોગ કરવો એ ખોટું છે. આઈજીએ કહ્યું છે કે, તપાસમાં જે પણ દોષિત સાબિત થશે તેની વિરુદ્ધ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત