Homeગામનાં ચોરેCBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા આ બે વિકલ્પો પર યોજાઈ શકે છે,...

CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા આ બે વિકલ્પો પર યોજાઈ શકે છે, શિક્ષણ મંત્રાલય દ્વારા મળેલી બેઠકમાં ચર્ચા

Team Chabuk-National Desk: CBSE બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 12ની પરીક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા આજે શિક્ષણ મંત્રાલય દ્વારા વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજવામાં આવી હતી. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આજે દેશના તમામ રાજ્યના શિક્ષણ મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી CBSE બોર્ડ દ્વારા ધોરણ 12ની જાહેર પરીક્ષા યોજવા માટેના વિવિધ વિકલ્પો તથા NEET, JEE અને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ માટેની પરીક્ષા યોજવા બાબતે ચર્ચા કરાઈ હતી. તમામ પરીક્ષા યોજવા બાબતે રાજ્યો પણ કેવી રીતે તૈયાર છે તે અંગે સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી.

આ બેઠકમાં CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા યોજવા માટેના બે વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી.

વિકલ્પ નંબર 1- હાલની ત્રણ કલાકના સમયગાળાની પરીક્ષા પદ્ધતિથી વર્ણાત્મક સ્વરૂપની લેખિત પરીક્ષા યોજવી અને તે માટે પરિણામ જાહેર કરવા સુધીના સમયગાળાની ચર્ચા કરવામાં આવી હતી.

વિકલ્પ નંબર 2- નિયત કરેલા અભ્યાસક્રમના બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો અને ટૂંક જવાબી પ્રશ્નોના માળખાને ધ્યાને લઈ 90 મિનિટમાં પ્રશ્નપત્ર પૂર્ણ થાય તેવા પ્રશ્નપત્રનો ઉપયોગ કરીને પરીક્ષા યોજવાના વિકલ્પ વિશે ચર્ચા કરાઈ હતી.

આમ ઉપરોક્ત બે વિકલ્પમાંથી જે યોગ્ય હશે તે અંગે પરીક્ષા યોજવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. CBSE બોર્ડ પાસે પરીક્ષાને લઈને બે વિકલ્પ ઉપલબ્ધ છે. માત્ર મુખ્ય વિષયોની પરીક્ષા નક્કી કરાયેલા સેન્ટર્સ પર લેવામાં આવી શકે છે અને આ પરીક્ષાના ગુણના આધારે અન્ય વિષયોના ગુણ નક્કી કરવામાં આવી શકે છે. આ વિકલ્પ ત્યારે જ અમલમાં મૂકી શકાશે જ્યારે CBSC પાસે 3 મહિનાની વિન્ડો ઉપલબ્ધ હોય.

બેઠકમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા રહ્યા હાજર

દેશના તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ આ હાઈ લેવલની બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રહ્યા હતા. આ બેઠકની ચર્ચામાં ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ભાગ લીધો હતો. બેઠક બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની કારકિર્દી મહત્વની છે, તેટલી જ તેઓની સુરક્ષા પણ મહત્વની છે. પરીક્ષાઓ યોજતી વખતે કોવિડ-19ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરીને પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા યોજવામાં આવતી ઉચ્ચ અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષાઓ માટે જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવશે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની પરીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પરિસ્થિતિની સમીક્ષા અને પરામર્શ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

વેક્સિન આપ્યા વગર પરીક્ષા યોજવી યોગ્ય નથીઃ સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને વેક્સિન આપ્યા વગર ધોરણ 12ની પરીક્ષા યોજવી બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. 12મા ધોરણના 95 ટકા વિદ્યાર્થીઓની ઉંમર 17 વર્ષથી વધુ છે. એવામાં આપણે નિષ્ણાતો સાથે વાત કરવી જોઈએ કે તેઓને કોવિશીલ્ડ અથવા કોવેક્સિન આપી શકાય કે નહીં. કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓના વેક્સિનેશન માટે ફાઈજર સાથે પણ વાત કરવી જોઈએ.

સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ મંત્રીઓ, અધિકારીઓ ઉપરાંત કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને પ્રકાશ જાવડેકર સામેલ થયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments