Homeગામનાં ચોરેમહાતિરના એક એક જવાબે અમેરિકાને નગ્ન કરી નાખ્યું

મહાતિરના એક એક જવાબે અમેરિકાને નગ્ન કરી નાખ્યું

Team Chabuk-International-Desk : દુનિયાના 20 સૌથી મોટા કંટ્ટરપંથીઓની હરોળમાં મલેશિયાના પૂર્વ પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદનો સમાવેશ કરવામાં આવતા તેમણે લાલ આંખ કરી છે. અમેરિકાની વેબસાઈટ ધ કાઉન્ટર એક્સ્ટ્રેમિઝમ પ્રોજેક્ટે આ યાદી જાહેર કરી છે અને મહાતિર મોહમ્મદને 14માં સ્થાન પર રાખ્યો છે.

મહાતિક મોહમ્મદે આ અંગે ટ્વીટ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું કે, મને એક અમેરિકી વેબસાઈટે 20 સૌથી ખતરનારક કટ્ટરપંથીઓની લિસ્ટમાં સામેલ કર્યો છે. વેબસાઈટે મને પશ્ચિમ, એલજીબીટી અને યહુદીઓની આલોચના કરનારો એક વિવાદિત વ્યક્તિ કહ્યો છે.

વેબસાઈટમાં કહેવામાં આવ્યું છે કે, મહાતિર હિંસાની ઘટનાઓ માટે પ્રત્યક્ષ રીતે જવાબદાર નથી. જોકે તેમના વિવાદિત નિવેદનોની હંમેશાં વિશ્વભરમાં આકરી ઝાટકણી કાઢવામાં આવે છે. તેમના પર આરોપ લાગેલો છે કે તેઓ પશ્ચિમ વિરૂદ્ધ કટ્ટરપંથીઓની હિંસાને ટેકો આપે છે.

મહાતિરે પોતાના પર લાગેલા તમામ આરોપો પરથી ભીનું સંકેલતા કહ્યું હતું કે, ‘આ તમામ વાતો ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોએ ઈસ્લામ પર જે જે નિવેદનો આપ્યા હતા તેના પર કહેવામાં આવી હતી. મેક્રોનું માનવું છે કે, ઈસ્લામ એ આતંકવાદને પ્રોત્સાહિત કરે છે. જે સદંતર ખોટું છે. ઈસ્લામમાં સાફ રીતે કોઈની પણ હત્યા કરવાની મનાઈ છે.  મુસ્લિમ હોય કે નોન-મુસ્લિમ, દરેક હત્યાને માનવતાની હત્યા માનવામાં આવે છે. કોઈ મુસ્લિમ કોઈની હત્યા કરે છે તો ઈસ્લામના નક્શેકદમ પર નથી કરતો.’

મહાતિરે વધુમાં કહ્યું કે, મેં ઈસ્લામને લઈ જે કંઈ પણ કહ્યું, તેને વેબસાઈટે અધૂરી રીતે તોડી મરોડીને રજૂ કર્યું છે કે હું આતંકવાદની ફેવર કરું છું. મેં સાફ રીતે કહ્યું હતું કે મુસ્લિમોમાં બદલાની ભાવના નથી હોતી. તેમણે કહ્યું કે, પશ્ચિમની આલોચના કરવા બદલ મને કટ્ટરપંથીઓની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. જો તમે યહુદીઓની થોડી ઘણી પણ આલોચના કરો છો તો તમને યહુદી વિરોધી બતાવી દેવામાં આવશે.

મહાતિરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લિસ્ટમાં ન સામેલ કરવા પર પણ સવાલો ઊભા કર્યા હતા. મહાતિરે ટ્રમ્પને અનુલક્ષીને કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ યુએસ કેપિટલમાં હિંસા ભડકાવી તો તેમને પણ કટ્ટરપંથીનો ટેગ આપવો જોઈએ. પણ અમેરિકાની વેબસાઈટે તેમને આતંકવાદી જાહેર ન કર્યા. તેની સામે માર્ક ઝકરબર્ગે ટ્રમ્પને લોકતાંત્રિક રૂપથી પસંદ કરવામાં આવેલી સરકારની વિરૂદ્ધ હિંસા ભડકાવવા માટે ફેસબુકનો ઉપયોગ કરવા બદલ બેન કરી દીધો.

મહાતિરે ટ્રમ્પ સિવાય પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશનું પણ ઉદાહરણ ટાંકીને કહ્યું હતું કે, જ્યોર્જ ડબલ્યુ બુશ અને બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી બ્લેયરે ઈરાક પાસે વિધ્વંસક હથિયાર હોવાના ખોટા દાવાના આધાર પર આખા ઈરાકને તબાહ કરી દીધું હતું. ચિલકોટ રિપોર્ટમાં પણ તેનું પ્રમાણ છે. વર્ષ 2003ના હુમલા બાદ સામાન્ય નાગરિકોનો ડેટા રાખી રહેલી વેબસાઈટ ઈરાક બોડી કાઉન્ટના પ્રમાણે આ બંને નેતાઓના એક્શનના પરિણામે 28,800 નાગરિકો અને સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાંથી મોટાભાગના નિર્દોષ નાગરિકો હતા. ઈરાક માટે બોલવામાં આવેલા જુઠ્ઠાણાના કારણે અસંખ્ય નિર્દોષ લોકોનો જીવ ગયો. તો બુશ અને બ્લેયરને કટ્ટરપંથીમાં ખપાવ્યા ? આ નેતાઓએ દાવો કર્યો હતો કે હુમલા બાદ ઈરાકમાં તાનાશાહીની સમસ્યા નેસ્તાનાબુદ થઈ જશે પણ 18 વર્ષ બાદ પણ જેસે થે સ્થિતિ છે.

મહાતિરે ઈઝરાયલના સુરક્ષા દળ પર પણ સવાલો ઊભા કર્યા હતા અને કહ્યું હતું કે, હ્યુમન રાઈટ્સ વોચે જણાવ્યું છે કે 30 માર્ચથી લઈને 19 નવેમ્બર 2018ની વચ્ચે ઈઝરાયલના સુરક્ષા દળોએ 189 ફિલીસ્તીની પ્રદર્શનકારિઓને માર્યા. જેમાં 31 બાળકોનો સમાવેશ થાય છે. ઈઝરાયલના નિર્માણ બાદ જ હજ્જારો ફિલીસ્તીનીઓએ પોતાનો જીવ ગુમાવ્યો પણ આ વેબસાઈટે આજ સુધી એક પણ ઈઝરાયલીને આતંકી કે કટ્ટરપંથીની સૂચિમાં નાખ્યો નથી.

મહાતિરે વેબસાઈટને લઈ કહ્યું કે, વેબસાઈટ બીજાઓને સરળતાથી કટ્ટરપંથી કહી દે છે પણ પોતાની વચ્ચે ઓળખ કરી શકવા સક્ષમ નથી. ફિલીસ્તીનિયોએ વિસ્થાપન માટે જવાબદાર લોકો, ઈરાક અને અફઘાનિસ્તાનમાં કથિત આતંકવાદની વિરૂદ્ધ યુદ્ધનું સમર્થન કરનારાઓનું નામ પણ સામેલ થવું જોઈએ. એવું લાગે છે કે મને મારા વિચારો માટે બદનામ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આતંકવાદી અને હિંસક ગતિવિધિઓને અંજામ આપવા પર પણ બચીને નીકળી જાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments