Homeગામનાં ચોરેPM મોદી મન કી બાત કરે ત્યારે લોકો પોતાના ઘરે રહીને થાળી...

PM મોદી મન કી બાત કરે ત્યારે લોકો પોતાના ઘરે રહીને થાળી વગાડે

કેન્દ્રની મોદી સરકારના ત્રણ કૃષિ બિલને લઈને ખેડૂતોનું આંદોલન દિવસે ને દિવસે તેજ થઈ રહ્યું છે. વાતચીતથી કોઈ સમાધાન નથી નીકળી રહ્યું. ખેડૂતો બિલ પરત લેવા માટે અડગ છે. દિલ્હી બોર્ડર પર ખેડૂતો મન બનાવીને બેઠાં છે કે જ્યાં સુધી બિલ પરત નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી તેઓ અહીંથી નહીં હટે. સામે પક્ષે સરકાર પણ બિલ પરત લેવાના મૂડમાં નથી. સરકાર ખેડૂતોને બિલના ફાયદા સમજાવી રહી છે પરંતુ ખેડૂતો બિલ પરત લેવા સિવાય સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી ત્યારે હવે મોદી સરકાર સામે ખેડૂતોએ વિરોધ માટેનો નવો રસ્તો શોધી કાઢ્યો છે.

રવિવારે આંદોલન સ્થળ પર ખેડૂતોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અલગ અલગ ખેડૂત આગેવાનોએ આગામી સમયમાં સરકારના આ બિલનો કેવી રીતે વિરોધ કરવો તેની રણનીતિ જાહેર કરી હતી.

થાળી વગાડી વિરોધ

27 ડિસેમ્બરે વર્ષ 2020ની છેલ્લી મન કી બાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે ત્યારે આ મન કી બાત દરમિયાન વિરોધ નોંધાવવા ભારતીય કિશાન યુનિયને લોકોને અપીલ કરી છે. ભારતીય કિશાન યુનિયનના જગજીત સિંહ ડલ્લેવાલાએ લોકોને અપીલ કરતાં કહ્યું છે કે, ’27 ડિસેમ્બરે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કરે ત્યારે લોકો પોતાના ઘરે રહીને થાળી વગાડે. જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમમાં બોલતા રહે ત્યાં સુધી લોકો ઘરે થાળી વગાડે અને વિરોધ નોંધાવે.’

આમ ખેડૂતો હવે દિલ્હી બોર્ડર પરથી તો સરકારના આ બિલનો વિરોધ નોંધાવી રહ્યા છે સાથે સાથે દેશની જનતાને પણ ઘરે રહીને આ પ્રકારે વિરોધ કરીને સરકારને બિલ પરત લેવા માટે દબાણ કરવા કહી રહ્યા છે. જો કે 27 તારીખે ખેડૂતોના આ વિરોધમાં કેટલા લોકો જોડાય છે તે મહત્વનું છે.

આ પહેલા પણ ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપીને સરકારનો વિરોધ કરવા માટે દેશની જનતાને અપીલ કરી હતી. ભારત બંધના આ એલાનમાં ઘણી બધી જગ્યાએથી સમર્થન મળ્યું હતું તો ઘણી જગ્યાએ બજારો ખુલ્લી પણ જોવા મળી હતી.

થાળી વગાડવાનો આઈડીયા પીએમ મોદીનો જ છે

ભારતીય કિશાન યુનિયન દ્વારા મન કી બાત દરમિયાન થાળી વગાડીને વિરોધ નોંધાવવાની વાત કરી છે. ત્યારે કહી શકાય કે થાળી વગાડવાનો આ આઈડીયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ છે. લોકડાઉન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ દેશવાસીઓને અપીલ કરી હતી કે લોકો ઘરે થાળી વગાડીને કોરોના વોરિયર્સનું સન્માન કરે. વડાપ્રધાનની આ અપીલને દેશવાસીઓએ ઝીલી લીધી હતી અને કોરોના વોરિયર્સના માનમાં ઠેર ઠેર લોકોએ થાળી વગાડીને સમર્થન આપ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ આઈડીયા આંદોલન કરી રહેલા ખેડૂતો હવે વડાપ્રધાનનો જ વિરોધ કરવા માટે અપનાવી રહ્યા છે.

એક દિવસ માટે ભૂખ્યા રહો

તો બીજી તરફ ભારતીય કિશાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે દેશવાસીઓને એક દિવસ ભૂખ્યા રહેવાની અપીલ કરી છે. રાકેશ ટિકેતે કહ્યું છે કે, ‘જ્યાં સુધી બિલ પરત નહીં લેવામાં આવે, એમએસપી પર કાયદો નહીં બને ત્યાં સુધી ખેડૂતો અહીંથી હટવાના નથી. 23 તારીખે ખેડૂત દિવસના અવસરે ખેડૂતો કહી રહ્યા છે કે એક ટાઈમ ભોજન ગ્રહણ ન કરો અને ખેડૂત આંદોલનને યાદ કરો.’ મહત્વનું છે કે ખેડૂત દિવસ પર આંદોલન સ્થળ પર બપોરે ભોજન નહીં બને, ખેડૂતો બપોરે ભોજન ગ્રહણ નહીં કરે.

રિલે હંગર સ્ટ્રાઈક

સ્વરાજ ઇન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘અમે તમામ આંદોલન સ્થળ પર 24 કલાકની રિલે હંગર સ્ટ્રાઈકનું આયોજન કર્યું છે. જેની શરૂઆત સોમવારે સિંઘુ બોર્ડરથી કરાઈ છે. તમામ આંદોલન સ્થળ પર આ રિલે ભુખ હડતાળ કરવામાં આવશે.’

આમ ખેડૂતોનું આંદોલન દિવસે દિવસે વધુ આક્રમક બની રહ્યું છે. ખેડૂતો વિરોધની નવી નવી રણનીતિ અપનાવી રહ્યા છે. સરકારને ભીંસમાં લેવાના તમામ પ્રયત્નો આંદોલનકારી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં સરકાર પર વધુ દબાણ આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments