Team Chabuk-National Desk: પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં 15 જૂન 2020ના રોજ ચીન સાથેની અથડામણમાં શહીદ થયેલા બિહારના નાયક દીપક સિંહની 23 વર્ષીય પત્ની રેખા દેવીએ પોતાના પતિની રાહ પર ચાલવાનું નક્કી કર્યું છે. મધ્યપ્રદેશના રીવાની રહેવાસી રેખા દેવીએ સૈન્યમાં સામેલ થવા માટેની મહત્વપૂર્ણ પરીક્ષા પાસ કરી લીધી છે. હવે તેણી સૈન્યમાં અધિકારીના રૂપે સેવા આપશે.
વીરચક્ર એનાયત થયો હતો
શહીદ દીપક સિંહ બિહાર રેજીમેન્ટની 16મી બટાલિયનમાં નાયક હતા. તેઓ ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોને ખદેડતા સમયે શહીદ થયા હતા. ગત વર્ષે નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને મરણોપરાંત વીર ચક્રથી સન્માનિત કર્યાં હતા. દીપક સિંહની પત્ની રેખા દેવીએ આ સન્માન ગ્રહણ કર્યું હતું. વીરચક્ર દેશનું ત્રીજા નંબરનું મોટું સૈન્ય સન્માન છે. પરમવીર ચક્ર પ્રથમ જ્યારે મહાવીરચક્ર બીજા સ્થાન પર છે.
એસએસબીની પરીક્ષા પાસ કરી
રેખા દેવીએ શુક્રવારે સર્વિસેસ સિલેક્શન બોર્ડ (એસએસબી)ની પરીક્ષા પાસ કરી લીધી. એક સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર ઈલાહાબાદમાં પાંચ દિવસ ચાલેલા ઈન્ટરવ્યૂ બાદ તેમની પસંદગી કરવામાં આવી હતી. હવે તેમને સેવા પ્રશિક્ષણ (OTA) આપવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોની સૂચિ સંઘ લોક સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવી તે પૂર્વે રેખા દેવીને મેડિકલ ટેસ્ટ પાસ કરવાની રહેશે.
શહીદોની પત્ની માટે શું હોય છે નિયમ?
શહીદ સૈન્ય જવાનો અને અધિકારીઓની પત્નીઓને સેનામાં ભરતી થવા માટે યુપીએસસી દ્વારા કરાવવામાં આવતી સમ્મિલિત રક્ષા સેવા પરીક્ષા સીડીએસમાં સામેલ થવાની છૂટ આપવામાં આવે છે. એ પાસ કર્યાં બાદ જ તે એસએસબી ઈન્ટર્વ્યૂને લાયક ગણાય છે. શહીદોની પત્નીઓને આયુષ્ય મર્યાદામાં છૂટછાટ પ્રાપ્ત થાય છે. હાલ OTA માટે આયુષ્યની મર્યાદા 19થી 25 વર્ષ સુધીની છે.
શહીદ દીપક સિંહ કોણ હતા?
નાયક દીપક સિંહ સેનામાં ચિકિત્સા સહાયક હતા. તેઓએ સમય પર ઈલાજ કરી ત્રીસ ભારતીય જવાનોનો જીવ બચાવ્યો હતો. સાત કલાક ચાલેલા ગલવાન ઘાટી સંઘર્ષમાં વીસ જવાબ શહીદ થયા હતા. સામે ચીનના ચાલીસ કરતા વધારે જવાનો અને અધિકારીઓનું ઢીમ ઢળી ગયું હતું. સંઘર્ષ દરમિયાન જ દીપક સિંહ ઘાયલ જવાનોની મદદ કરવા માટે મોર્ચા પર પહોંચ્યા હતા. એ સમયે ચીની સૈન્ય દ્વારા ઘા કરવામાં આવેલો એક પથ્થર તેમના માથાના ભાગે વાગ્યો હતો. આમ છતાં તેઓ ઘાયલ જવાનોની મદદ કરતા રહ્યા હતા. અંતે ઈલાજ દરમિયાન દીપક સિંહે અંતિમ શ્વાસ લીધા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત